Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ગુજરાતની દિવ્યતા તપસ્વી લોકોને જ આભારી રહી છે

૧૮૦ ઉપવાસનું તપ કરનારને વિજય રૂપાણી દ્વારા પારણા :ભાવનગર જૈન શ્વૈતામ્બર તપાસંઘ ખાતે વિજય રૂપાણીની હાજરી

અમદાવાદ,તા.૩ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, પર્યુષણનું પર્વ આધ્યાત્મિક ચેતના જગાડનાર, પ્રેમ, કરુણા, અનુકંપા અને મૈત્રીભાવ પ્રસરાવનારુ પર્વ છે. ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા તેઓના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ પિન્કીબેન શાહને પારણા કરાવ્યા હતા. પિન્કીબેન શાહના ૧૮૦ દિવસના ઉપવાસના ઉગ્ર તપને બિરદાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આવુ ઉગ્રતપ વર્ષો બાદ ભાગ્યે જ જોવા મળતું હોય છે જેના પારણા કરાવવાનો અવસર સૌભાગ્ય સમાન છે. તીર્થંકરો અને ગુરુ ભગવંતોની કૃપાથી પિન્કીબેન શાહ ૧૮૦ દિવસના ઉપવાસની ભિષ્મ તપશ્ચર્યા કરી શક્યા તે બદલ અભિનંદનને પાત્ર છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતની પવિત્રતા, દિવ્યતા અને ભવ્યતા આવા તપસ્વીઓ થકી છે અને આથી જ ગુજરાત શાંતિ અને સમૃધ્ધિથી શોભી રહ્યું છે.

      રાજ્ય સરકારે જીવહિંસા રોકવા કડક નિયમો બનાવ્યા છે તીર્થસ્થાનોની પવિત્રતા જળવાય તે માટે આવશ્યક પગલાં ભર્યાં છે. પર્યાવરણ-પ્રકૃતીની જાળવણી, અહિંસા, અપરિગ્રહ, અનેકાંત, તમામ જીવોને અભયદાન એ નીતિ-રીતિથી રાજ્ય સરકાર આગળ વધી રહી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સંતો-ભગવંતો દ્વારા પ્રબોધિત સત્ય, ન્યાય અને અહિંસાના આદર્શો પ્રમાણે રાજ્યનું શાસન ચલાવવાની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યુ-ઇન્ડિયાના સપનાને પરિપૂર્ણ કરવા ગુજરાત પ્લાસ્ટિક મુક્ત-પ્રદૂષણ મુક્ત થઈ હરિયાળું રાજ્ય બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

(8:53 pm IST)