Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીના મહત્વને વધારવા કાર્યશાળા

ગાંધીનગર મહાત્મા મંદિરમાં કાલે કાર્યશાળા : કાર્યશાળામાં વિજય રૂપાણી, નીતિન પટેલની ઉપસ્થિતિમાં ખેત ઉત્પાદન વધારવા માટે ખુબ જરૂરી માર્ગદર્શન અપાશે

અમદાવાદ,તા.૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ વર્ષમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાના તથા ખેતીમાં રસાયણોના ઓછા ઉપયોગ માટે ખેડૂતોને કરેલ આહવાનને ફળીભૂત કરવાના પ્રયાસના ભાગરૂપે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી અંગેના સુભાષ પાલેકરના અભિગમ ઉપર એક કાર્યશાળાનું આવતીકાલ તા.૦૪/૦૯/૨૦૧૯ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ કૃત્રિમ ખાતરો, જંતુનાશકો વગર અને સ્થાનિક ખેત સામગ્રીથી દેશી નસલની ગાયની મદદથી ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા ખેત ઉત્પાદન કરવાના સિદ્ધાંત પર આધારિત છે. આ પદ્ધતિના જીવામૃત, બીજામૃત, આચ્છા'દન, વાપશા એમ  મુખ્ય ચાર આધાર સ્થંભો છે. રાજ્યના ખેડૂતો સુભાષ પાલેકરના માર્ગદર્શન હેઠળ આ ખેતી અપનાવતા થયા છે જેમાં ખેડૂતોનો ખેત સામગ્રીનો ખર્ચ ઘટતાં એકંદરે આવકમાં વધારો થાય છે.

    આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી અંગે અને પદ્મશ્રી ડૉ. સુભાષ પાલેકર તરફથી ઓછા ખર્ચની પ્રાકૃતિક ખેતીની સમજ અને જરૂરીયાત અંગે માર્ગદર્શન આપવામાં આવશે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ. રાજીવ કુમાર ઓછા ખર્ચની પ્રાકૃતિક ખેતી બાબતે નીતિ આયોગનો અભિગમ રજૂ કરશે. હિમાચલ પ્રદેશ રાજયમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ અમલમાં છે. જેના એકઝીકયુટીવ ડાયરેકટર પ્રો રાજેશ્વરસિંઘ ચંડેલ પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવાના કાર્યક્રમનું અમલીકરણના અનુભવો રજૂ કરશે. પ્રાકૃતિક ખેતી વિશેષ નિષ્ણાંતો તથા ખેડૂતો પોતાના મંતવ્ય રજૂ કરશે. મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ કાર્યશાળામાં મંત્રી મંડળના સભ્યો ઉપરાંત નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ. રાજીવકુમાર, સાંસદઓ, ધારાસભ્યઓ, કેન્દ્ર સરકાર અને ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચરલ રીસર્ચના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં સ્થાનિક વહીવટી તંત્ર, કૃષિ યુનિવર્સિટી તેમજ ખ્યાતનામ સંસ્થાઓના પ્રોફેસર, કૃષિ વૈજ્ઞાનિકો, ડેરી સંઘ તથ સહકારી સંગઠનના હોદ્દેદારો, રાજ્યના કૃષિ અને સહકાર વિભાગના તેમજ ક્ષેત્રિય કૃષિ વિસ્તરણ તંત્રના અધિકારીઓ/ કર્મચારીઓ, કૃષિ સંબંધિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, સામાજિક સંસ્થાઓના કાર્યકરો અને પ્રગતિશીલ ખેડૂતો મળીને આશરે ૮,૦૦૦ જેટલા મહાનુભાવો ઉપસ્થિત રહેશે, એમ ખેતીનિયામકની યાદીમાં જણાવાયું છે.

(8:52 pm IST)