Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ગુજરાતમાં ગણેશ મહોત્સવની ધૂમ : દાદાનું વિધિવત સ્થાપન

ગણપતિ બાપ્પા મૌરયા, મંગલમૂર્તિ મૌરયાના નારા : બેન્ડ-વાજા, ઢોલ-ત્રાંસા અને અબીલ-ગુલાલ વચ્ચે વિશાળ પંડાલ, શામિયાણામાં દાદાનું વિધિવત્ સ્થાપન કરી દેવાયું

અમદાવાદ,તા. ૨ : અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આજથી વિધ્નહર્તા દેવ ગણપતિદાદાના મહોત્સવનો ગણેશ ચતુર્થીના આજના પવિત્ર દિને ભારે ભકિતભાવ અને હર્ષોલ્લાસ વચ્ચે રંગેચંગે પ્રારંભ થયો હતો ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા શહેર સહિત રાજયભરમાં ગણેશ ભકતોમાં ગણપતિ દાદાની ભકિતનો માહોલ છવાયો છે. ગણેશ ભકતો દ્વારા બેન્ડ-વાજા, ઢોલ-ત્રાંસા અને અબીલ-ગુલાલની છોળો વચ્ચે આજે શહેર સહિત રાજયભરમાં ગણપતિ દાદાની અવનવી, આકર્ષક અને મનોહર મૂર્તિઓ ખરીદી ટાટા ૪૦૭, ટ્રેકટર, મીની ટ્રક, કાર, જીપ સહિતના વાહનોમાં લઇ જઇ તેમના શેરી, મહોલ્લા અને વિસ્તારમાં ઉભા કરાયેલા વિશાળ મંડપ, પંડાલ અને શામિયાણિામાં વિધિવત્ રીતે સ્થાપન કરાયું હતું. દાદાની ભારે ભકિતભાવ સાથે આરતી ઉતારી પૂજા કરી ભકતજનોને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. શહેરમાં આ વખતે કેટલાક પંડાલ અને શામિયાણામાં તો અનોખા અને આકર્ષક ગણપતિ સ્વરૂપો જોવા મળી રહ્યા છે, જેને લઇ નગરજનોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ જોવા મળી રહ્યો છે.  બીજીબાજુ, શહેર સહિત રાજયભરમાં ગણેશભકતોમાં ગણપતિ બાપ્પા મૌરયા, મંગલમૂર્તિ મૌરયા નારા ગુંજી ઉઠયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જનતાને ગણેશોત્સવ અને સંવત્સરીની શુભેચ્છાઓ પાઠવી હતી.

        આ વખતે રાજયમાં માટીની અને ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓનો ક્રેઝ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે, તેનું કારણ લોકોમાં આ અંગેની જાગૃતિ વધી છે. રાજ્યમાં આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. શંકર-પાર્વતીના પુત્ર ગણેશ ભગવાન એ સદ્બુધ્ધી, ધન-વૈભવ અને સૌભાગ્યના અધિપતિ દેવતા કહેવાય છે અને સર્વ દેવોમાં તેમની સૌથી પહેલી પૂજા થાય છે ત્યારે ગણેશ મહોત્સવને લઇ શહેર સહિત રાજયભરના ગણેશભકતોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશ મહોત્સવને લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા યુવક મંડળો દ્વારા શહેરના ગુલબાઇ ટેકરા, બાપુનગર સહિતના વિસ્તારોમાંથી ગણેશ ભકતોએ દાદાની મૂર્તિઓ ખરીદી દુંદાળા દેવ ગણપતિજીની વાજતે-ગાજતે, ફટકડાની આતશબાજી અને અબીલગુલાલની છોળો વચ્ચે શાહી સવારી કાઢી પોતપોતાના વિસ્તારોના પંડાલ-શામિયાણામાં વિવિધ સ્વરૂપોની આકર્ષક મૂર્તિઓનું વિધિવત્ રીતે સ્થાપન કરવામાં આવ્યું હતું. દાદાની વિશાળ રેલી, સરઘસ અને શાહી સવારી દરમ્યાન અબીલ-ગુલાલ અને રંગોની છોળો અને ડીજેના તાલ વચ્ચે ગણેશભકતો થીરકતા જોવા મળ્યા હતા. અમદાવાદ શહેરમાં આ વખતે આશરે ચારેક હજારથી વધુ સ્થળોએ ગણપતિદાદાની મૂર્તિઓનું સ્થાપન કરાયું છે. તો, સેંકડો ગણેશભકતોએ દાદાની નાની-મોટી આકર્ષક મૂર્તિઓની પોતાના ઘર-નિવાસસ્થાનમાં પધરામઈ અને સ્થાપન કરી પૂજા-ભકિતનો પ્રારંભ કર્યો હતો. શહેરના આઁબાવાડી વિસ્તારમાં  સહજાનંદ કોલેજ પાસે સાત ફુટ ઉંચી સંપૂર્ણ માટીમાંથી બનાવાયેલી ઇકો ફ્રેન્ડલી અમદાવાદના રાજાના થીમવાળી ગણેશ મૂર્તિએ ભારે આકર્ષણ ઉભુ કર્યું છે.

       તો, ભદ્ર વસંતચોક વિસ્તારમાં ભદ્ર યુવક મંડળ દ્વારા મનમોહક ગણપતિ દાદા, ગુરૂકુળ રોડ પર મુંબઇના દગડુ શેઠના સ્વરૂપમાં ગુરૂકુળના મહારાજા, મેમનગર ગામમાં શિવ-પાર્વતીની પ્રદક્ષિણા કરતાં ગણપતિજી, મેમનગરમાં જ તરૂણનગર પાસેે દાદાની વિશાળ મૂર્તિ સહિતની નવા વાડજમાં ભીમજીપુરા ચાર રસ્તા પાસે, શાહપુર હલીમની ખડકી પાસે સદાશિવ મંદિર પાસે, સેટેલાઇટ, વસ્ત્રાપુર, નારણપુરા, નવરંગપુરા, મણિનગર, પાલડી, વાસણા, વેજલપુર, જોધપુર, સરસપુર, નરોડા, કુબેરનગર, બાપુનગર, મેૅઘાણીનગર, અમરાઇવાડી સહિતના વિસ્તારોમાં દાદાના અવનવા અને આકર્ષક સ્વરૂપો સાથેની મૂર્તિઓ, ઝળહળતી લાઇટીંગ અને આકર્ષણોએ ગણેશ મહોત્સવની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધા છે. દાદાના વિશાલ મંડપ, પંડાલ અને શામિયાણામાં હજારો શ્રધ્ધાળુઓએ દાદાના દર્શન અને આરતી માટે પડાપડી કરી હતી.

દસ દિવસ સુધી ગણપતિદાદાનું ભકિતભાવ અને હર્ષોલ્લાસ સાથે પૂજન કરી દાદાનો મહોત્સવ રંગેચંગે મનાવાશે અને છેલ્લે અનંતચતુર્દશીના દિવસે દાદાની મૂર્તિઓનું ગણપતિ બાપ્પા મૌરયા, પુઢચ્યા વરસી લવકરિયા એટલે કે, દાદા આવતા વર્ષે વહેલા પધારજોના નારા સાથે વિસર્જન કરવામાં આવશે. રાત્રિના સમયે પણ શ્રધ્ધાળુ ભકતો અને નગરજનો દર્શન કરી શકે તે હેતુથી ઝળહળતી લાઇટો અને રંગબેરંગી રોશનીથી પંડાલ-શામિયાણાને સુશોભિત કરાયા છે, જેને લઇ ભારે આકર્ષણ અને જમાવટ થઇ છે. લોકોના ઘરોમાં પણ ગણેશભકિતનો માહોલ છવાયો છે.

(8:08 pm IST)