Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

પાલનપુર ખાતે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈઃ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન અને અમીરગઢ પોલીસ સ્ટેશનને PSI કક્ષા માંથી અપગ્રેડ કરી PI કક્ષાના કરાશે: લોકોની સુરક્ષા અને સલામતિ માટે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ૭૯ સ્થળોને ૫૨૭ સી.સી.ટી.વી. કેમેરાઓથી સજ્જ કરાશે:મંત્રી પ્રદિપસિંહ જાડેજા

પાલનપુર :બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધારેલા ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરી ખાતે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મંત્રીએ બનાસકાંઠા જિલ્લાની કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ વિભાગની કામગીરીની સમીક્ષા કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

 ક્રાઇમ કોન્ફરન્સ બાદ મિડીયાની મુલાકાતમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થયાં છે. આ પાંચ વર્ષમાં પ્રજાલક્ષી, વિકાસલક્ષી તેમજ આદિવાસીઓના હિતલક્ષી અનેક યોજનાઓ અને નિર્ણયો આ સંવેદનશીલ સરકારે કર્યા છે.  આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ લાભો ગુજરાતને આપ્યાં છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય અને આંતરરાષ્ટ્રી ય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં ગૌવંશ હત્યા, દારૂના વેચાણ અને હેરાફેરી તથા લેન્ડ ગ્રેબિંગ એક્ટ, લવ જેહાદના કાયદાનો કડકાઈથી અમલ થાય તે માટે જવાબદાર અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાંથી સ્ટેટ હાઈવે પસાર થાય છે, માર્ગ અકસ્માતોમાં ઘટાડો થાય અને બાયોડીઝલના નામે ભેળસેળ કરતા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવે જેનાથી પર્યાવરણને થતાં નુકશાનને અટકાવી શકાય. તેમણે જણાવ્યું કે, આ સરહદી જિલ્લામાં હાઈવે પર થતી ચોરીઓ અને લૂંટ બંધ થાય તે માટે પોલીસ વિભાગ ઉત્તમ કામગીરી કરી રહ્યું છે. તેમણે ઉમેર્યુ કે આપણા રાજ્યને દારૂની બદીથી મુક્ત રાખવા, ગુજરાતની ઈચ્છાને પરિણામલક્ષી સ્વરૂપ આપવા દારૂબંધી કાયદાની કડક અમલવારી કરવા પોલીસ વિભાગ કટીબદ્ધ છે.
  મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન અને અમીરગઢ પોલીસ સ્ટેશનને પી.એસ.આઈ. કક્ષા માંથી અપગ્રેડ કરી પી.આઈ. કક્ષાના કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, લોકોની સુરક્ષા અને સલામતિ માટે ગુજરાત રાજ્યમાં રૂ. ૩૨૯ કરોડના ખર્ચથી વિશ્વાસ-૧ પ્રોજેકટ હેઠળ સી.સી.ટી.વી. નેટવર્કના માધ્યમથી ક્રાઈમને અંકુશમાં લેવા કેમેરા લગાવવામાં આવ્યા છે, જે ગુનાઓ શોધવામાં ખુબ ઉપયોગી થાય છે તેમજ વિશ્વાસ-૨ પ્રોજેકટ હેઠળ નવા ૩૨૧ સી.સી.ટી.વી. ઉમેરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં ફેઝ-૧ અને ફેઝ-૨ માં મળી ત્રણ શહેરો તથા યાત્રાધામ અંબાજીને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરાશે. તેમણે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં વિશ્વાસ-૨ પ્રોજેકટ હેઠળ ડીસા તાલુકામાં કુલ-૩૩ સ્થળોએ કુલ-૨૦૪ સી.સી.ટી.વી. કેમેરા અને થરાદ તાલુકામાં કુલ-૧૯ સ્થળોએ કુલ-૧૧૭ સી.સી.ટી.વી. કેમેરાથી પોલીસ વિભાગ બાજ નજર રાખશે. આમ વિશ્વાસ-૨ પ્રોજેકટ હેઠળ જિલ્લામાં કુલ-૫૨ સ્થળોએ કુલ-૩૨૧ સી.સી.ટી.વી. કેમેરા લગાવાશે. તેમજ વિશ્વાસ-૧ પ્રોજેકટ હેઠળ પાલનપુર ખાતે કુલ-૧૮ સ્થળોએ કુલ-૧૫૭ સી.સી.ટી.વી કેમરા જ્યારે અંબાજીમાં કુલ-૯ સ્થળોએ કુલ-૪૯ કેમેરાઓ આમ કુલ મળીને વિશ્વાસ-૧ પ્રોજેકટ હેઠળ જિલ્લામાં કુલ-૨૭ સ્થળોએ કુલ-૨૦૬ સી.સી.ટી.વી. કેમેરાઓ ગુના શોધવા માટે પોલીસ વિભાગને ખૂબ જ સાબિત ઉપયોગી થશે. બનાસકાંઠા જિલ્લામાં કુલ-૭૯ સ્થળોએ કુલ-૫૨૭ સી.સી.ટી.વી. કેમેરાઓ લગાવી ગુનાખોરીને અટકાવી શકાશે.  
    મંત્રીના હસ્તે જીવન અનમોલ કેન્દ્રનું ઇ-લોન્ચીંગ કરવામાં આવ્યું હતું તથા કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટે કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
   બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલે પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગૃહ રાજ્ય મંત્રી સમક્ષ રજૂ કરી હતી. કોન્ફરન્સમાં કલેકટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીરલ ખરે, ભૂજ રેન્જ આઇ. જી. જે. આર. મોથલીયા, સહિત પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ ઊપસ્થિત રહ્યાં હતાં.

(6:28 pm IST)