Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

જ્‍યાં સુધી શ્રીરામ મંદિર નિર્માણ ન થાય ત્‍યાં સુધી મિઠાઇ ન ખાવાની રાજ્‍યના શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ પ્રતિજ્ઞા લીધી હતી

અમદાવાદ:  હાલ રામ મંદિરના ભૂમિપૂજનની તૈયારી ચાલી રહી છે અને નજીકના સમયમાં અયોધ્યામાં દિવાળી આવી રહી છે, ત્યારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ પ્રતિજ્ઞા લીધે હતી કે રામ મંદિર બને ત્યાર પછી જ મીઠાઈ ખાઇશ.

ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે જોગાનુજોગ અમરેલી જિલ્લાના સહકાર નેતા દિલીપ સંઘાણીના મહેમાન બન્યા છે. ત્યારે આજથી ત્રીસ વર્ષ પહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રામ મંદિરની વાત અને ચર્ચા નીકળતા તેમણે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી રામ મંદિર નિર્માણ નહીં થાય ત્યાં સુધી હું મીઠાઈ ખાઇશ નહી.

ત્યારબાદ થોડા સમય બાદ જ દિલીપ સંઘાણી અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જોગાનુજોગ અયોધ્યા ગયા ત્યાં જઈ રામ લલ્લાની પ્રતિમા સામે જ આ પ્રતિજ્ઞાને જાહેર કરી. જ્યાં સુધી રામ મંદિરનો પ્રશ્ન પૂરો નહીં થાય ત્યાં સુધી હું મિઠાઈ ખાઇશ નહી. જ્યારે આ પ્રતિજ્ઞાને 30 વર્ષના વાણા વાઈ ગયા છે.

જોગાનુજોગ દિલીપ સંઘાણીના ઘરે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા અને એ વાતને યાદ કરતા દિલીપ સંઘાણીએ ભુપેન્દ્રસિંહને કહ્યું કે હવે તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા આવશે અને રામ મંદિર મુદ્દો તમારી પ્રતિજ્ઞા લઈને પૂરો થાય છે.

આ પ્રતિજ્ઞાનો હું સાક્ષી છું અને આજે એ મુદ્દો પૂર્ણ થાય છે તેનો પણ હું સાક્ષી છું એટલે હવે આજે તમને મારા હાથે જ મોં મીઠા કરાવવાનો છું અને પ્રતિજ્ઞા પૂરી કરો. તેમ કહેતા જ દિલીપ સંઘાણી અને સાંસદ નારણ કાછડીયાએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મીઠાઈ ખવડાવી કે પ્રતિજ્ઞા પૂર્ણ કરી અને શંખનાદ સાથે જયશ્રી રામના નારા પણ બોલાવ્યા હતા.

(4:56 pm IST)