Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

ગાંધીનગર સંસદીય ક્ષેત્રિય વિસ્‍તારમાં ૩૩.૧૯ કરોડના વિવિધ વિકાસ કામો ખુલ્‍લુ મુકાતા અમીતભાઇ શાહ

ચાંદલોડિયા રેલ્વે સ્ટેશન ખાતે ઉચ્ચ સ્તરીય પ્લેટફોર્મ અને બુકિંગ કાઉન્ટરનો તથા ચાંદલોડિયા – ખોડીયાર રેલવે અંડરબ્રિજનું ઉદઘાટન

ગાંધીનગર: ગાંધીનગર સંસદીય ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહના શુભ હસ્તે ચાંદલોડિયા ખાતે એએમસી તથા પશ્ચિમ રેલવેના રૂ. ૩૩.૨૯ કરોડના વિભિન્ન વિકાસ કાર્યોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા હતા. તે પૂર્વે  શાહે ચાંદલોડિયા રેલ્વે સ્ટેશન ખાતે ઉચ્ચ સ્તરીય પ્લેટફોર્મ અને બુકિંગ કાઉન્ટરનો તથા ચાંદલોડિયા – ખોડીયાર રેલવે અંડરબ્રિજનું ઉદઘાટન સહિતના વિવિધ જનલક્ષી કાર્યોને વેગ આપ્યો હતો.

અમિત શાહે ચાંદલોડિયા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તેમના સંબોધનમાં કહ્યું હતું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર અને સાબરમતી વિધાનસભા માટે રેલવે સુવિધાઓના સંદર્ભે આજે ખૂબ મહત્વનો અને મોટો દિવસ છે. સાબરમતી વિધાનસભા ક્ષેત્ર રેલ્વે લાઈનોથી વીંટળાયેલું હોય નાગરિકોને અનેક ફાટક નડતરરૂપ હતા. છેલ્લા 15 વર્ષમાં ચાંદલોડિયામાં ઓવરબ્રિજથી લઈ અને આજે લોકાર્પણ થયેલ અન્ડરબ્રીજ અને નવા ત્રણ બ્રિજના ખાતમુહૂર્ત દ્વારા વાહનોની અવરજવરમાં ક્યાંય પણ ફાટક ન નડે તેવી લોકાભિમુખ વ્યવસ્થા કરવામાં આપણે સફળ રહ્યા છીએ.શાહે કહ્યું કે ચાંદલોડિયાથી ટ્રેનની ટિકિટ લેવા છેક કાલુપુર મીઠાખળી જવું પડતું હતું પરંતુ હવે ચાંદલોડિયા રેલ્વે સ્ટેશન પર જ બુકિંગ કાઉન્ટર ખુલવાથી કન્યાકુમારી – કાશ્મીર સહિત સમગ્ર ભારતની ટિકિટોનું બુકિંગ અહીંથી થઈ શકશે અને નાગરિકોના સમય અને નાણાની પણ બચત થશે. ચાંદલોડિયા રેલ્વે સ્ટેશન પરના ઓછી ઊંચાઈના પ્લેટફોર્મના કારણે મુસાફરોને ઉતરવામાં તકલીફ પડતી હતી આજે બીજા પ્લેટફોર્મનું પણ ઊંચાઈ વધારીને લોકાર્પણ કરવામાં આવ્યું છે જેનાથી મુસાફરોને ખૂબ સુગમતા રહેશે. સાબરમતી રેલવે સ્ટેશન પર યાત્રીઓ માટે પ્રતીક્ષાલયનું લોકાર્પણ,  ચાંદલોડિયા રેલ્વે સ્ટેશન પર એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા ફુટ ઓવરબ્રિજ અને ત્રણ અલગ અલગ જગ્યાએ અંડરબ્રિજના ખાતમુહૂર્ત આજે થયા છે.

અમિત શાહે કહ્યું હતું કે રેલવેના અનેક પ્રશ્નો અને સમસ્યાઓનો આજે અંત આવ્યો છે. પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકારે ૨૦૧૯-૨૦ માં ત્રણ, ૨૦૨૦-૨૧ માં ચાર અને ૨૦૨૧-૨૨ માં ત્રણ એમ ત્રણ વર્ષમાં ૧૦ ઓવર અને અંડરબ્રિજ બનાવી ક્રોસિંગ મુક્ત ગુજરાતની વિભાવના સાકાર કરી છે. ચાંદલોડિયા અને સાબરમતી રેલવે સ્ટેશન પર આજથી ૧૦ જેટલી ટ્રેનોના સ્ટોપેજ શરૂ થશે. ગોરખપુર – ઓખા, સોમનાથ – જબલપુર, બાંદ્રા – વેરાવળ, મુંબઈ – ઓખા, અમદાવાદ – સોમનાથ આબલી ખાતે, વડોદરા – જામનગર, બિકાનેર – દાદર, મુઝફરપુર- અમદાવાદ સહિતની ટ્રેનોનો લાભ હવે આ બંને સ્ટેશનો પરથી મળશે.  શાહે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રેલવેની કાયાપલટ થવાની સાથે મુસાફરોની સુવિધામાં પણ વધારો થયો છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે દર વર્ષે ગુજરાતમાં રેલવે પાછળ ૫૯૦ કરોડ રૂપિયા ખર્ચાતા હતા આજે  ભાજપાની સરકારમાં એ ૫૯૦ કરોડથી વધીને ૩૯૬૦ કરોડ ખર્ચાઈ રહ્યા છે.તેઓએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના વિકાસ માટે અનેક કાર્યો કર્યા છે. અમદાવાદ જેવો રિવરફ્રન્ટ દેશમાં ક્યાંય નથી, તમામ જરૂરી સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ છે. દેશમાં અમદાવાદ સિવાય બીઆરટીએસ પણ ક્યાંય સફળ નથી થઈ અને હવે ટૂંક સમયમાં મેટ્રોની સુવિધા પણ ઉપલબ્ધ થશે.

મિત શાહે જણાવ્યું હતું કે  નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા અને આજે  ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે અને  નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે ત્યારે વિકાસ કાર્યોની દરખાસ્ત તુરંત સ્વીકારી ત્વરિત પ્રતિક્રિયા આપી છે. તેઓએ ઉપસ્થિત સૌને વ્યક્તિ દીઠ વૃક્ષ વાવી તેની કાળજી લેવા, આપણા માટે જ આપણા પર્યાવરણના જતન હેતુ સામૂહિક રીતે કટિબદ્ધ બનવા અનુરોધ કર્યો હતો. અંતમાં  શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર દેશમાં સૌથી વધુ વિકસિત લોકસભા ક્ષેત્ર બનશે તેવો આ ક્ષેત્રના સાંસદ તરીકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર મતી ગીતાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમીન, સાંસદ હસમુખભાઈ પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ સહ કોષાધ્યક્ષ  ધર્મેન્દ્રભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ, ધારાસભ્યઓ, ગાંધીનગર લોકસભા ઇન્ચાર્જ ડૉ. હર્ષદભાઈ પટેલ, પ્રદેશ ભાજપા સહ પ્રવકતા ડૉ. ઋત્વિજભાઈ પટેલ, કર્ણાવતી શહેર ભાજપ પ્રમુખ  અમિત શાહ, નગરસેવકો, કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

(5:35 pm IST)