Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

આદિવાસીઓના વિરોધનો મુદ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરબારમાં પહોંચી ગયો

તાર-ફેનસિંગ કામગીરીનો ઉગ્ર વિરોધ : રોજે રોજ પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણના બનાવો

રાજપીપળા, તા. ૩ : કોરોનાની મહામારીમાં લોકડાઉન દરમિયાન રોજગારી અર્થે અન્ય શહેરોમાં ગયેલા આદિવાસીઓ પોતાના વતનમાં પરત ફર્યા છે. એ પૈકી મોટે ભાગના આદિવાસીઓની હાલત દયનીય બની છે. તો બીજી બાજુ લોકડાઉન દરમિયાન વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તંત્ર દ્વારા કરાઈ રહેલી તાર-ફેનસિંગ કામગીરીનો પણ સ્થાનિક આદિવાસીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, રોજે રોજ પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણના બનાવો બને છે. તો આવા જ ગુજરાતના આદિવાસીઓના અન્ય વિવિધ વિકટ પ્રશ્નો મુદ્દે આદિવાસી નેતા અને ધારાસભ્ય પિતા-પુત્ર છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાએ પીએમ મોદીને ફરિયાદ કરતો એક પત્ર લખ્યો છે. એમણે પોતાના પત્રમાં એમ જણાવ્યુંં છે કે, ગુજરાતના ભરૂચ, નર્મદા સહિત અન્ય આદિવાસી જિલ્લાઓમાં આદિવાસીઓના આવાસ, રોજગાર, સ્વાસ્થ્ય, જંગલ, જમીન, ખનીજ તથા સિંચાઈ સંબંધિત સમસ્યાઓનું હવે નિરાકરણ લાવવું જરૂરી બન્યું છે.

                 કેન્દ્ર સરકારનો પેસા કાયદો અને સંવિધાન ૫ની અનુસૂચિ પૂર્ણ સ્વરૂપે લાગુ કરવું જોઈએ. ૧૯૬૧-૬૨ માં નર્મદા ડેમ બનાવવા આદિવાસીઓની જમીન સંપાદિત થઈ હતી, બાદમાં ડેમ બીજે બન્યો જેથી ખાલી પડેલી જમીન પુંજીપતીઓને હોટેલ બનાવવા માટે વેચવામાં આવે છે, જમીનના વ્યાપારિકરણ પર નિયંત્રણ જરૂરી છે. તેમણે પત્રમાં આગળ જણાવ્યુંં કે, કેવડિયામાં આદિવાસીઓ સાથે જે અમાનવીય અત્યાચાર થાય છે એની અને લોકડાઉન દરમિયાન પોતાના વતન જઈ રહેલા આદિવાસીઓ પર થતા પોલીસ દમનની યોગ્ય તપાસ થવી જોઈએ. સરદાર સરોવર પરિયોજનાઓનો લાભ સ્થાનિક અદિવાસીઓને મળતો નથી. અમારા વિસ્તારમાં કૃષિ અને ઔદ્યોગિક મજૂરોને સમયસર વેતન મળતું નથી, આદિવાસી વિસ્તારમાં ભૂગર્ભ જળસ્ત્રોત વધારવા વોટર રિચાર્જ યોજના લાગુ કરવી જોઈએ. આદિવાસીઓ પાસે ખેતીલાયક જમીન નથી, જંગલના અધિકાર અમલ નથી થતા.

 આદિવાસી વિસ્તારના સ્વાસ્થ્ય કેન્દ્રોમાં અપર્યાપ્ત માત્રામાં દવા, મેડિકલ સ્ટાફ હોવાથી આદિવાસીઓએ સારવાર માટે શહેરી વિસ્તારોમાં જવું પડે છે. ગુજરાત રાજ્યસભાની ૪ બેઠકો માટેની આગામી ૧૯મી નવેમ્બરે ચૂંટણી યોજવાની છે. હાલની સ્થિતિ મુજબ, કોંગ્રેસ ૧ અને ભાજપ ૩ બેઠકો પર જીતી શકે એમ છે. પણ આ જીત મ્ઁ ના બે ધારાસભ્યો છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા પર નિર્ભર છે. જો સરકાર કેવડિયા બાબતે આ બન્ને ધારાસભ્યોની વાત નહિ માને તો ભાજપ માટે રાજ્યસભાની ૩ બેઠકો જીતવી અઘરી થઈ પડે છે. આ બાબતે ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ જણાવ્યુંં હતું કે, રાજ્યસભામાં કોને મત આપવો એ મામલે અમે હજુ સ્પષ્ટ નથી, કોંગ્રેસ પણ વિરોધ કરી રાજનીતિ કરી રહી છે.

(7:55 pm IST)