Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

દક્ષિણ ગુજરાતમાં ૧૦૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે : પ૦૦૦ લોકોનું સ્થળાંતર : NDRF ટીમ ખડેપગે

વલસાડ-નવસારીમાં વિશેષ તકેદારી : અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આપેલ માહિતી

ગાંધીનગર, તા. ૩ : નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને પગલે રાજયનું વહીવટી તંત્ર સતર્ક અને સુસજ્જ છે. સમગ્ર પરિસ્થિતિ પર રાતભર ચાપતી નજર રાખવામાં આવી છે. અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું હતું કે, તમામ આગોતરી કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી જિલ્લામાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને પગલે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૦૦ થી ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાક તીવ્રતાથી પવનના સપાટાની સંભાવના છે. ભરુચ અને અન્ય વિસ્તારોમાં ૭૦ થી ૮૦ કિલોમીટરની તીવ્રતાથી પવન ફુંકાવાની સંભાવના છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા પણ જોવાઈ રહી છે. રાજયના અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમારે આજે સવારે જણાવ્યું હતું કે, આ સંભાવનાઓને પગલે દક્ષિણ ગુજરાતમાં ૫૦,૦૦૦થી વધુ લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ તમામ આશ્રયસ્થાનો પર કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

શ્રી પંકજ કુમારે જણાવ્યું હતું કે, કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓને કોઈ જ તકલીફ ન પડે એ રીતે વીજ પુરવઠાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડી આરએફની ૧૫ ટીમો, એસડીઆરએફ ની ૬ ટીમો તહેનાત કરવામાં આવી છે. રાજયમાં તમામ માછીમારોને પાછા કાંઠે બોલાવી લેવામાં આવ્યા છે. ભારે પવનની સંભાવનાને પગલે વાપી અને સુરત આસપાસના વિસ્તારોના કેમિકલ ઉદ્યોગો સાથે જિલ્લા વહીવટી તંત્રે વિચાર વિમર્શ કરીને સલામતી માટે પૂરતા પગલાં લીધા છે. વાપીમાં મોટાભાગની ઇન્ડસ્ટ્રીને આજે બંધ રાખવાની સુચના આપવામાં આવી છે. એટલું જ નહીં, ઝીંગા ફાર્મ અને મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમીકોને પણ સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. સુરત, વલસાડ અને અન્ય શહેરોમાં ૨૩૬ જેટલા વિશાળકાય હોર્ડિંગ્સ સલામતીના કારણોસર ઉતારી લેવામાં આવ્યા છે. ૧૨૦થી વધુ હાઈ માસ્ટ લાઈટને નીચે ઉતારી લેવામાં આવી છે.

અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું હતું કે, રાજય સરકારના તમામ ખાતાઓ જિલ્લા અને તાલુકાના વહીવટી તંત્ર સાથે સીધા સંપર્કમાં છે. પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડાની અસરની સંભાવનાવાળા વિસ્તારોમાં ૨૫૦ થી વધુ સગર્ભા મહિલાઓને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવી છે. ૨૫૦થી વધુ એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે અને ૧૭૦ જેટલી મેડિકલ ઈમરજન્સી ટીમો આ વિસ્તારોમાં તૈનાત રાખવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલ્ટો

રાજકોટ તા. ૩: ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે, જેના કારણે સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ થયો. સાંજના સમયે ધુળની ડમરીઓ ઉડી હતી, અને ધોધમાર વારસાદ શરૂ થયો હતો. દિવસ દરમિયાન ભારે બફારા બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી સાથે સાથે નુકસાની પણ વેઠવી પડે તેમ છે.

(4:10 pm IST)