Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ગાંધીનગરના સે-26માં બપોરના સમયે પાર્કિંગ બાબતે પતિએ પત્નીને છરીના ઘા જીકી મોતનેઘાટ ઉતારતા પોલીસે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી

ગાંધીનગર: શહેરના સે-ર૬માં આવેલા શોપીંગના પાર્કીંગમાં આજે ખુની ખેલ ખેલાયો હતો. જેમાં પતિએ છરીના ઘા ઝીંકીને પત્નિની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાની પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીકના મુળ ખોરજ ડાભીના રહેવાસી અને હાલ કોલવડા રામજી મંદિર પાસે રહેતાં હરેશભાઈ ડાભીની પુત્રી દિવ્યાએ બે વર્ષ અગાઉ અમદાવાદના સ્વામીનારાયણ પાર્ક ખાતે રહેતાં યોગેશ ભગવાનદાસ પાટીલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. દિવ્યા અમદાવાદ કૃષ્ણનગર ખાતે રહેવા જતી હતી ત્યારે યોગેશ સાથે તેને પ્રેમ થયો હતો અને ત્યારબાદ તેમણે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. જો કે નાની ઉંમરમાં દિવ્યાએ લગ્ન કર્યા હોવાથી યુવાન સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. દિવ્યા સાથે પરિવારજનોએ સંબંધ પણ કાપી નાંખ્યો હતો. જો કે યોગેશ સાથે દિવ્યાને અણબનાવ શરૃ થયા હતા અને સાસરીયાઓ દ્વારા તેણીને શારીરીક માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી દોઢ મહિના અગાઉ તે સાસરીમાંથી પિયર આવી ગઈ હતી અને પિયરીયાઓએ તેની સ્થિતિ જોઈને સ્વીકારી લીધી હતી. ત્યારબાદ તેણીને સે-ર૬માં આવેલી દુકાનમાં નોકરી પણ શરૃ કરી દીધી હતી. બીજી બાજુ યોગેશ અને દિવ્યા વચ્ચે અણબનાવ વધતાં મામલો છુટાછેડા સુધી પહોંચયો હતો અને પરીવારજનો પણ દિવ્યાને યોગેશથી મુક્ત કરાવવા માંગતા હતા. દરમ્યાનમાં છેલ્લા બે ત્રણ દિવસથી યોગેશે દિવ્યા સાથે સંપર્ક શરૃ કર્યા હતા અને તેને મળવા માટે સે-ર૬માં આવતો હતો. આજે બપોરના સમયે દિવ્યા દુકાને હતી તે દરમ્યાન યોગેશે ફોન કરીને તેનો સામાન આપવા આવ્યો છું તેમ કહી બોલાવી હતી. જયાં શોપીંગ નજીક પાર્કીંગમાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી અને યોગેશે ઉશ્કેરાઈને તેની પાસે રહેલી છરી વડે દિવ્યા ઉપર ઘા ઝીંકી દીધા હતા. લોહીથી લથપથ થયેલું દિવ્યાનું પ્રાણપંખેરૃ ઉડી ગયું હતું અને યોગેશ ત્યાંથી નાસી છુટયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સે-ર૧ પોલીસને જાણ કરતાં પોલીસ ઈન્સ્પેકટર એમ.ડી.ભરવાડ પણ સ્ટાફના માણસો સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા જયાં દિવ્યાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પીટલ મોકલી આપી ગુનો નોંધવાની તજવીજ શરૃ કરી હતી અને આરોપી યોગેશને પકડવા માટે દોડધામ શરૃ કરી છે. 

(4:52 pm IST)