Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

સાણંદમાં ૧૦મી મે સુધી વેપારીઓનું સ્વૈચ્છિક લોકડાઉન

સાણંદ વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય : જીવન જરુરી ચીજવસ્તુ, દૂધ, દવાની દુકાનો ખુલ્લી રહેશે

અમદાવાદ, તા. : ગુજરાતમાં કોરોના સંક્રમણની બીજી લહેર શહેરો નહીં પરંતુ ગામડાઓને પણ શિકાર બનાવી ચૂકી છે. એવામાં રાજ્યના અનેક નાના મોટા ગામ સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરી સંક્રમણની ચેઇન અને મૃત્યુદર પર કાબૂ મેળવવાના યથાગ પ્રયત્ન કરી રહ્યા છે. અમદાવાદ જીલ્લાના સાણંદમાં પણ વેપારીઓ દ્વારા સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

ગત શુક્રવારે સાણંદ વેપારી એસોસિએશન તરફથી કોરોના સંક્રમણની વકરેલી સ્થિતિને મુદ્દે મહત્વની બેઠક યોજાઇ હતી. જે દરમિયાન વેપારી એસોસિએશનએ અન્ય ગામડા અને શહેરી વિસ્તારોની જેમ દુકાનો સંદતર બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે. સાણંદ વેપારી એસોસિએશન મુજબ હાલમાં કોરોના સંક્રમણના કેસનું પ્રમાણ જોખમી સ્તરે વધી ગયું છે, એવામાં બજારોમાં પણ કેટલાક સંક્રમિત લોકો બેરોકટોક ફરી રહ્યા છે. જેના કારણે સંક્રમણ ફેલાવાનું પ્રમાણ વધી જાય એમ છે.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંક્રમણના વધતા વ્યાપને અટકાવવા માટે સાણંદ વેપારી સંગઠને સ્વૈચ્છિક લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. જે મુજબ સાણંદની તમાં બજાર, તમામ દુકાનો, તમામ નાના મોટા વેપારી એકમો (ઔદ્યોગિક એકમો સિવાય) ૩મેથી ૧૦ મેસુધી સદંતર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેનો અમલ ફરજીયાત પણ કરવાનો રહેશે. નિર્ણયના અમલ માટે વેપારી સંગઠન અને શહેરની નગરપાલિકા કાર્યરત રહેશે.

સાણંદના વેપારી એસોસિએશન દ્વારા લેવાયેલા સ્વૈચ્છિત લોકડાઉન દરમિયાન જીવન જરુરી ચીજવસ્તુઓ, જેવી કે દૂધ,દવાની દુકાનો ખુલ્લી રહેશે, જ્યારે શાકભાજી માર્કેટ સવારના પાંચથી ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે. જે દરમિયાન કોરોના નિયમોનું પાલન ફરજીયાત પણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સ્વૈચ્છિક લોકડાઉનના અમલ માટે વેપારી સંગઠને પોલીસની મદદ લેતાં પેટ્રોલિંગની અપીલ કરી હતી.

(9:35 pm IST)