Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

વડોદરામાં વૈષ્‍ણોદેવી વિશે અફવા ફેલાવનાર મોહમ્‍મદ શેખને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો

વડોદરા: હાલ કોરોનાને ડરને કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતી ઉદ્ભવી છે. લોકોને તંત્ર દ્વારા ઘરમાં રહેવા માટે જ અપીલ કરવામાં આવી રહી છે. અકારણ લોકોને એકત્ર પણ નહી થવા માટે જણાવાઇ રહ્યું છે. તેવામાં દિલ્હીની નિઝામુદ્દીન ખાતે તબલીગી જમાતનાં કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ તબ્લિગી જમાતમાંથી ચેપગ્રસ્ત થઇને અનેક અનુયાયીઓ સમગ્ર દેશમાં પણ ગયા અને જાણે અજાણે તેમણે દેશનાં અનેક હિસ્સાઓમાં કોરોનાનો ચેપ ફેલાવ્યો. જેના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે.

જો કે આ તમામ દાવાઓ વચ્ચે પણ ગુજરાતમાં કેટલાક જમાતમાં ગયેલા શખ્સો હજી પણ છુપાઇને બેઠા છે. તેઓ સામે આવવા માંગતા નથી. જેના કારણે તંત્ર દ્વારા સર્વેલન્સ સહિતનાં ઇન્ટેલિજન્સ દ્વારા તેમને પકડવા માટેનાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તો બીજી તરફ આ સ્થિતીમાં લાજવાને બદલે ગાજી રહેલા કેટલાક શખ્સો વાતાવરણનો ફાયદો ઉઠાવીને અફવા ફેલાવવા લાગ્યા છે. અન્ય ધર્મો અને તેનાં લોકોને બદનામ કરવા માટે ખોટા મેસેજ વાયરલ કરી રહ્યા છે. જેના અનુસંધાને પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર કોરોના વાયરસ અંગે અફવા ફેલાવનારા મોહમ્મદ અબરાર શેખની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોહમ્મદે પોતાની ફેસબુક વોલ પર માતા વૈષ્ણોદેવીનાં દર્શન કરનારા 400 લોકો પૈકી 145 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની ખોટી અફવા ફેલાવી હતી. જેના કારણે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોહમ્મદ અબરાર શેખની ધરપકડ કરવામાં આવી હતી. વિવિધ કલમ હેઠળ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોઇ પણ પ્રકારની અફવા ન ફેલાય તે માટે પોલીસ સતત પગલા ઉઠાવી રહી છે અને સતર્ક પણ છે.

(5:10 pm IST)