Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

તબલિગી જમાતના ૬૮ વ્‍યકિતઓની શોધખોળઃ ગુજરાત સરકારે હાઇકોર્ટમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ કર્યો

અમદાવાદ: આજે અમદાવાદમાં કોરોનાના કુલ 7 નવા કેસ આવ્યા, જેમાંથી એક દિલ્હીના નિઝામુદ્દીન તબલિગી જમાતના મરકજમાં હાજરી આપનાર શખ્સ પણ છે. આજે હાઈકોર્ટમાં કોરોના વાયરસ મામલે સુનવણી શરૂ થઈ. જેમાં ગુજરાત સરકારે કોર્ટમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ કર્યો છે. રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે, નિઝામુદ્દીન તબગિલી જમાતના કાર્યક્રમમાથી 68 લોકોની શોધખોળ થઈ શકી નથી. પોલીસ હજુ તેઓની શોધખોળ કરી રહી છે. 83 લોકોને આઇડેન્ટિફાઈ કરીને કવોરંટાઇન કરાયા છે. આ તમામ તબલિગી જમાતમાં ભાગ લીધેલા અથવા નિઝામુદ્દીન જઇ આવેલા લોકો છે. આવા લોકોની ભાળ મેળવવા માટે RAWની મદદ પણ લેવાઈ રહી છે. આવી અનેક રજૂઆત એડવોકેટ જનરલે હઈકોર્ટમાં કરી છે.

હાઇકોર્ટમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો કે, દિલ્હીમાં આયોજીત પબ્લિકે જમાતની સભામાં ભાગ લઈને ગુજરાત પરત ફરેલા 68 લોકોની શોધ થઈ નથી. હાલ પોલીસ આ લોકોની તપાસ અને શોધખોળ કરી રહી છે.  83 લોકોની ભાળ મેળવીને તેમને ક્વોરેન્ટાઈન કરાયા છે.

સુનાવણી દરમિયાન હાઇકોર્ટમાં અન્ય બે અરજીઓ પણ કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, લોકોને મફતમાં રાશન યોગ્ય રીતે પૂરું પાડવામાં આવે. ચાલી અને મહોલ્લામાં પણ સેનેટાઈઝિંગ કરીને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે. તેમજ સ્ક્રીનિંગ કરવામાં આવે. અનેક ડોક્ટરોએ તેમના ખાનગી હોસ્પિટલ બંધ કર્યા છે. તેને ચાલુ કરવા માટે આદેશ આપવામાં આવે. ત્યારે આ અંગે હાઇકોર્ટે ટકોર કરી હતી કે, સરકાર દ્વારા કોરોનાને નાથવા માટે યોગ્ય પગલા લેવાઈ રહ્યા છે. આ ઉપરાંત ચાળી અને મહોલ્લામાં સ્ક્રીનિંગ કરવું હોય તો મોડેલ એજન્સીઓને રજૂઆત કરો અને ખાનગી ડૉક્ટરોને તેમના પ્રાઈવેટ હોસ્પિટલ ચાલુ રાખવા માટે હાઈકોર્ટ કોઈ નિર્દેશ આપશે નહિ.

આ ઉપરાંત હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે કે, કોરોના પહેલા શું પગલાં લીધા હતા અને આ સ્થિતિ સર્જાયા પછી શું પગલાં લીધા છે અને હાઇકોર્ટના આદેશ બાદ કોરોના પર અંકુશ લાવવા માટે શું પગલાં લીધા છે, તે અંગે જવાબ રજૂ કરો.

જમાતથી આવેલ એક દર્દીને કોરોના પોઝિટિવ આવ્યો

અમદાવાદના જે 7 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમાં 4 કાલુપુર વિસ્તારના અને 2 બાપુનગર વિસ્તારના છે. ત્યારે હાલ સૌથી ચોંકાવનારી માહિતી એ છે કે, કાલુપુરમાં કોરોના પોઝિટિવ આવેલા એક દર્દીનું દિલ્હી કનેક્શન સામે આવ્યું છે. આ શખ્સે નિઝામુદ્દીન તબલિગી જમાતની મરકજમાં હાજરી આપી હતી. 65 વર્ષીય પુરૂષ દિલ્હીની મરકજમાં ગયા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી પણ અનેક લોકોએ દિલ્હીમાં નિઝામુદ્દી તબલિગી જમાતના મરકજમાં હાજરી આપી હતી.

તો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મીડિયા સંબોધનમાં આ અંગે કહ્યું કે, સરકારની લાપરવાહીના કારણે આજે દેશ પરિણામ ભોગવી રહ્યો છે. સરકારે પહેલાથી જ કડક અમલવારી કરાવવાની જરૂર હતી. ધર્મના આધારે નહિ, પણ એક થઈ કોરોના સામે લડવાની જરૂર છે.

(5:08 pm IST)