Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓને દર મહિને મળી શકશે ૫ થી ૭ હજાર રૂપિયા : જાણો કઇ રીતે મેળવવી ફેલોશીપ

‘કિશોર વૈજ્ઞાનિક પ્રોત્‍સાહન યોજના' કરિયર બનાવા માટે ખૂબ જ મદદગાર સાબિત

અમદાવાદ તા. ૩ : શાળા, કોલેજ અને યુનિવર્સિટીઓમાં વિજ્ઞાન સંબંધિત વિષયો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્‍ય માટે ભારત સરકાર તરફથી શિષ્‍યવૃતિ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ૧૧માં, ૧૨માં ધોરણ અને ગ્રેજયુએશન કરી રહેલા વિદ્યાર્થીઓને ફેલોશિપ આપવામાં આવે છે. ભારતીય વિજ્ઞાન સંસ્‍થાન બેંગલુરૂ આ યોજનાનું સંચાલન કરે છે. આ યોજનાનો કિશોર વૈજ્ઞાનિક પ્રોત્‍સાહન યોજના એવું નામ આપવામાં આવ્‍યુ છે. જે અંતર્ગત વિજ્ઞાન, ટેકનોલોજી અને ઔષધી ક્ષેત્રમાં કામ કરતા વિદ્યાર્થીઓને ફેલોશિપ આપવામાં આવે છે

વિદ્યાર્થીઓને મળશે ૫થી ૭ હજાર રૂપિયા ‘કિશોર વૈજ્ઞાનિક પ્રોત્‍સાહન યોજના' ફેલોશિપ છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને વિજ્ઞાનના ક્ષેત્રમાં કરિયર બનાવા માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ રહી છે.

આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ૫ હજાર રૂપિયા અને ૭ હજાર રૂપિયા પ્રતિમાસ એમ બે અલગ અલગ ફેલોશિપ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ ફેલોશિપ માટે અરજી કરવાની રહેશે.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે આ યોજનાની શરૂઆત વર્ષ ૧૯૯૯માં કરી હતી. આ યોજનાનો મુખ્‍ય હેતૂ દેશભરમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા માટે દેશના અને વિદ્યાર્થીઓના આવનારા ભવિષ્‍યને ઉજ્જવળ બનાવી શકાય. રાષ્ટ્રીય સ્‍તરે વિદ્યાર્થીઓની પસંદગી માટે આ યોજનાના ઉચ્‍ચ સ્‍તરીય પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવે છે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન એપ્‍ટિટ્‍યૂડ ટેસ્‍ટ અને બીજા તબક્કામાં ઈન્‍ટરવ્‍યૂ થાય છે.

આ યોજનામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ગણિત વિષયમાં ૭૫ ટકા લાવવા જરૂરી બને છે. આ સાથે જ અનુસૂચિત જાતિ, જનજાતિ તથા અન્‍ય પછાત વર્ગના વિદ્યાર્થીઓને ૧૦ ટકાની છૂટ આપવામાં આવે છે. તો વળી સ્‍નાતકના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ૧૨માં ધોરણમાં ૬૦ ટકા લાવવા જરૂરી છે. તો વળી અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્‍ય પછાત વર્ગ માટે ૧૦ ટકા છૂટ સાથે ૫૦ ટકા લાવા જરૂરી બને છે.

(2:42 pm IST)