Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

સાબરકાંઠાનું ચોરવાડ ગામ 10 દિવસ માટે બંધઃ કોરોના સંક્રમણ વધતા ગ્રામજનોએ કર્યું સ્‍વૈચ્‍છિક લોકડાઉન

સાબરકાંઠાઃ ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે રાજ્ય સરકારે ચાર મેટ્રો શહેરોમાં તો રાત્રી કર્ફ્યૂ લગાવ્યું છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગામના લોકો કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સ્વયંભૂ બંધ રાખી રહ્યાં છે. સાબરકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારો બાદ હવે ગ્રામ્ય વિસ્તારો પણ બંધ રાખી રહ્યાં છે.

સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં કોરોના કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. જેને અટકાવવા માટે સ્થાનિકો અને સ્થાનિક વેપારીઓએ સ્વંયભૂ બંધ પાળ્યો હતો. બાદમાં હવે ગ્રામ્ય પંથકમાં પણ કોરોના સંક્રમિતો વધતા હવે ગ્રામ્ય પંથક પણ સ્વંયભૂ બંધ રાખવાની શરુઆત થઈ છે. સાબરકાંઠાના ચોરીવાડ ગામમાં લોકોએ સ્વૈચ્છિક બંધ જાહેર કર્યું છે. કોરોના સંક્રમણ અટકાવવા અહીં 10 દિવસ સજ્જડ બંધ અમલી બનાવવામાં આવ્યું છે. સાથે જ માસ્ક ના પહેરનારાઓ પર ગામમાં જ આકરો દંડ વસુલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગામમા ફેરિયાઓને પણ નો એન્ટ્રી જાહેર કરાઈ છે. ચોરીવાડમાં અત્યાર સુધીમાં ૧૦ જેટલા કોરોના પોઝીટીવના કેસો આવ્યા છે. જેથી અહીં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ૧૦  દિવસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી ૧૦ દિવસ માટે ચોરીવાડ ગામ બંધ રહેશે. 10  ડીસેમ્બર થી ૧૦ ડીસેમ્બર સુધી સવારે ૭ થી ૧૧ વાગ્યા સુધી જ ગામમાં દુકાનો ખુલ્લી રહેશે.

5000 જેટલી વસ્તી ધરાવતું ચોરીવાડ ગામમાં મોટું ખરીદી બજાર છે. સાથે જ આજુ બાજુના ગામના લોકો પણ અહીંયા ખરીદી અર્થે આવતા હોય છે.  ત્યારે જરૂરી સેવાઓ જેવી કે દૂધ, શાકભાજી, મેડીકલની દુકાનો જ ખુલ્લી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત 11 વાગ્યા બાદ કોઈ પણ દુકાનો ખોલશે તો રૂ 1100 દંડ વસુલ કરવાનું પંચાયતે ઠરાવ્યું છે. સાથે જ ગામના કોઈ પણ વ્યક્તિ ગામમાં માસ્ક વિના જણાય તો પણ ગ્રામજનો પાસેથી 200 રૂપિયા દંડ વસુલવાનું પંચાયતે ઠરાવ્યું છે.

ચોરીવાડ ગામે સ્વયંભૂ ગામ બંધ કરી નિયમનો કડક અમલ કરાવી આજુબાજુના ગામો અને શહેરોને કોરોના ચેન તોડવા બાબતે અમલવારી માટે પ્રેરણા રૂપ બન્યું છે.

(5:45 pm IST)