Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

પૌત્રીની સગાઈમાં 'શકિત પ્રદર્શન' કરનારા કાંતિ ગામિત સામે બિનજામીનપાત્ર ગુનો દાખલ કરવા આદેશ

કાંતિ ગામિતની ગમે તે દ્યડીએ થઈ શકે છે ધરપકડઃ પૌત્રીની સગાઈમાં છ હજાર લોકો એકઠા થયાનો વીડિયો થયો હતો વાયરલ

અમદાવાદ, તા.૨: પૌત્રીની સગાઈમાં છ હજાર જેટલા લોકો એકઠા કરનારા ભાજપના નેતા કાંતિ ગામિત ની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. મીડિયામાં વહેતા થયેલા અહેવાલો અને હાઈકોર્ટની ટકોર બાદ સરકારે કાંતિ ગામિત સામે બિનજામીનપાત્ર ગુનો દાખલ કરવાનો આદેશ તાપી જિલ્લા પોલીસ વડાને આદેશ આપી દીધો છે. આથી હવે પોલીસ ગમે ત્યારે કાંતિ ગામિતની ધરપકડ કરી લેશે. આ ઉપરાંત આ કેસમાં કાંતી ગામિતના સરપંચ પુત્ર સામે સોનગઢ પોલીસે મંગળવારે જ કોરોના ગાઇડલાઇનના ભંગનો ગુનો દાખલ કર્યો હતો. જોકે, આ મામલે હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

મંગળવારે સામે આવેલા વીડિયો બાદ તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતા કાંતિ ગામિતના પુત્ર જીતુ ગામિત સામે ગુનો દાખલ થયો છે. પોલીસ સ્ટેશન ખાતે જીતુ ગામિત સામે કોરોનાની ગાઇડલાઇનના ભંગનો ગુનો દાખલ થયો છે. જોકે, બુધવારે બપોર સુધી આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

તાપી જિલ્લા ખાતે બીજેપીના નેતાના ઘરે યોજાયેલા પ્રસંગના વીડિયો મામલે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. આ મામલે કોર્ટે સરકારને સવાલો પૂછ્યા હતા કે, પ્રસંગમાં આટલી ભીડ કયાંથી આવી? અમે આ અંગેનો વીડિયો જોયા છે. સરકારે છ હજારની ભીડ સામે શું પગલાં લીધા? આ મામલે રાજય સરકાર વતી સરકારી વકીલે રજુઆત કરી હતી કે, આ કેસમાં રાજય સરકારના આદેશથી પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે આ મામલે તપાસના પણ આદેશ આપ્યા છે.

મંગળવારે તાપી જિલ્લાના સોનગઢમાંથી ભાજપના નેતા અને પૂર્વ આદિજાતિ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઇના કેટલાક વીડિયો વાયરલ થયા હતા. જેમાં જોઈ શકાતું હતું કે, સોનગઢનાં ડોસવાડા ગામમાં સગાઈ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. દાવો કરવામાં આવ્યો છે કે અહીં એક સાથે છ હજાર જેટલા લોકો એકઠા થયા હતા. એટલે કે આખું ગામ એકઠું થયું હતું.

વીડિયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો ગરબા રમી રહ્યા છે. છ હજાર લોકો એકઠા થાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ તો કેવી રીતે જળવાય તે સ્વાભાવિક છે. આ ઉપરાંત તમામ લોકોએ માસ્ક પહેરી રાખ્યું હશે તેવી આશા રાખવી થોડી વધારે પડતી છે. ગુજરાતમાં હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સરકારે લગ્ન પ્રસંગમાં ૨૦૦ લોકોની મંજૂરી હતી તેને પરત લઈને ફકત ૧૦૦ લોકોને મંજૂરી આપી છે. બીજી તરફ ભાજપના જ એક નેતા આ નિયમની ઐસીતૈસી કરી રહ્યા છે.

(3:47 pm IST)