Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ગાંધીનગરમાં સરકારી કર્મયોગીઓને દિપાવલી પર્વે પ૬૦ સરકારી આવાસોની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

માર્ગ મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી, ગાંધીનગરના નવનિયુકત મેયરની વિશેષ ઉપસ્થિતી : વીર ભગતસિંહ નગર’ વસાહતમાં ‘બી’ અને ‘સી’ ટાઇપના કુલ પ૬૦ આવાસો રૂ ૧પ૦ કરોડના ખર્ચે નિર્માણ પામ્યા મુખ્યમંત્રીએ આવાસોમાં જઇને સુવિધાઓનું બારીકાઇથી નિરીક્ષણ કર્યુ : ગાંધીનગરમાં છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ર૧૯ કરોડના ખર્ચે ૧૧ર૦ સુવિધાસભર આવાસો કર્મયોગીઓ માટે રાજ્ય સરકારે નિર્માણ કર્યા : રૂ. ૩૬પ કરોડના ખર્ચે ૧૪પ૬ આવાસોનું કાર્ય પ્રગતિમાં

રાજકોટ તા.૨ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં રાજ્ય સરકારના કર્મયોગીઓ માટે રૂ. ૧૪૯.૮૦ કરોડના ખર્ચે નવનિર્મિત પ૬૦ બહુમાળી આવાસોનું લોકાર્પણ દિપાવલીના પર્વ પ્રારંભે કરીને કર્મયોગીઓને રાજ્ય સરકાર તરફથી દિપાવલી ભેટ અર્પણ કરી હતી.

રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા નિર્માણ પામેલા ‘બી’ ટાઇપના ર૮૦ અને ‘સી’ ટાઇપના ર૮૦ આવાસોની આ વસાહતના લોકાર્પણ અવસરે માર્ગ મકાન મંત્રી શ્રી પૂર્ણેશ મોદી, સાંસદ શ્રી નરહરિ અમીન, ગાંધીનગરના નવનિયુકત મેયર  હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શ્રી જશવંતભાઇ પટેલ, સચિવ શ્રી સંદીપ વસાવા, મુખ્ય ઇજનેર શ્રી પટેલિયા અને નગરસેવકો, અગ્રણીઓ, શહેર પ્રમુખ શ્રી રૂચિરભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આવાસોના લોકાર્પણ વેળાએ એક દિકરી પાસે કુંભ ઘડો મૂકાવી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો અને ‘સી’ ટાઇપ આવાસ બ્લોકની પ્રત્યક્ષ મૂલાકાત લઇને પૂરી પાડવામાં આવેલી સુવિધાઓનું બારીકાઇથી નિરીક્ષણ કર્યુ હતું. 

આ વસાહતના આવાસોમાં વીટ્રીફાઇડ ટાઇલ્સ, ફિક્સ ફર્નીચર, PNG ગેસ પાઇપ લાઇન કનેકશન, લિફટ, ફાયર સેફટી સુવિધા, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન, વિશાળ પાર્કિંગ અને સિક્યુરિટી કેબિન જેવી અદ્યતન સવલતો પણ પૂરી પાડવામાં આવી છે તેની જાણકારી મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી. 

તેમણે આવાસ ફાળવણી પત્રોનું પ્રતિક રૂપે પાંચ લાભાર્થી કર્મયોગીઓને વિતરણ પણ કર્યુ હતું.

સરકારી વસાહતોને રાષ્ટ્રવીરોનું નામાભિધાન આપવાની નવતર પરંપરા રૂપે આ પ૬૦ આવાસોની વસાહતને ‘‘વીર ભગતસિંહ નગર’’ નામ આપવામાં આવ્યું છે.

     ગાંધીનગરમાં પાછલા પાંચ વર્ષમાં શ્યામજીકૃષ્ણ વર્મા પાર્ક, વીર સાવરકર નગર અને વંદેમાતરમ પાર્ક નામકરણ સાથે કુલ ૧૧ર૦ આવાસો રૂ. ર૧૯ કરોડના ખર્ચે માર્ગ મકાન વિભાગ દ્વારા તૈયાર કરી લાભાર્થી કમર્યોગીઓને આવાસ સુવિધા પૂરી પાડવામાં આવી છે. એટલું જ નહિ, ૧૪પ૬ આવાસોનું રૂ. ૩૬પ કરોડના ખર્ચે નિર્માણ કાર્ય પ્રગતિમાં છે.

 

દિપાવલી પર્વ પ્રસંગે સરકારી આવાસની ફાળવણી થવાથી ખૂશહાલ કર્મયોગીઓ તથા તેમના પરિવારજનો આ લોકાર્પણ પ્રસંગે સહભાગી થયા હતા. 

(12:49 pm IST)