Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

કામરેજના આશીર્વાદ માનવ મંદિરમાં રેપીડ ટેસ્ટ: એક સામટા 80 કોરોના પોઝીટીવ મળતા દોડધામ

18 દર્દીઓને સુરત સિવિલમાં અને અન્ય 62 લોકોને સંસ્થામાં ક્વોરેન્ટાઇન કરાયા: પોઝીટીવ પૈકી 20 ટકા દર્દીઓ માનસિક વિકલાંગ : ત્રણ કર્મચારીઓ પણ કોરોનાની ચપેટમાં

બારડોલી : સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે આવેલી માનવ સેવા ટ્રસ્ટ નામની સંસ્થામાં એકસાથે 80 વ્યક્તિઓનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. 80 પૈકી 18 વ્યક્તિઓને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જ્યારે બાકીના 62ને સંસ્થામાં જ ક્વોરોન્ટાઇન કરાયા છે.

 

  કામરેજ તાલુકા ધોરણ પારડી ખાતે આવેલ શારીરિક અને માનસિક વિકલાંગ લોકોની દેખરેખ રાખતી સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિરમાં શારીરિક માનસિક વિકલાંગ, બિનવારસી મળી આવેલ વ્યક્તિઓ, એચ.આઈ.વી. પોઝીટીવ વ્યક્તિઓ જેવા કુલ 227 વ્યક્તિઓને આશ્રય આપવામાં આવી રહ્યો છે. કામરેજ તાલુકા આરોગ્યની ટીમ દ્વારા આ સંસ્થામાં સામુહિક રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કુલ 214 રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા જે પૈકી 80 વ્યક્તિઓને કોરોના પોઝીટીવ હોવાની પુષ્ટિ થઈ હતી. જેમાંથી 18ને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે અન્ય 62 વ્યક્તિઓને સંસ્થામાં જ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન કિશોર માહયાવંશીએ જણાવ્યું હતું.
   બીજી તરફ સંસ્થાના સંચાલક જેરામભાઈ ભગત સાથે થયેલી વાતચીત મુજબ સંસ્થાના પોઝીટીવ પૈકી 20 ટકા દર્દીઓ માનસિક વિકલાંગ છે. જ્યારે સંસ્થાના ત્રણ કર્મચારીઓ પણ કોરોનાની ચપેટમાં આવ્યા હોવાનું અને હાલ તમામની તબિયત સ્થિર હોવાનું તેમણે જણાવ્યું હતું.

 

(8:14 am IST)