Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ગીરમાં સિંહના મોતનો આંક વધી ૨૧ પર પહોંચ્યો : તંત્ર દોડતું થયું

અમેરિકાથી ખાસ વેક્સિન આવશે : નિષ્ણાતોની ટીમો ગીર પહોંચશે : સારવાર દરમિયાન ૧૪ સિંહના મોત થયા અને સાતના મૃતદેહ મળ્યા બાદ મૃતાંક ૨૧ : હાલમાં ૯ સિંહ સારવાર હેઠળ : ગુજરાત સરકાર પણ હચમચી

અમદાવાદ, તા.૧ : જૂનાગઢના ગીર પંથકમાં દલખાણિયા અને જસાધાર રેન્જમાં વધુ પાંચ સિંહના મૃતદેહ મળી આવતા મોતનો આંકડો વધીને ૨૧ ઉપર પહોંચી ગયો છે. બીજી બાજુ હજુ પણ હાલત કફોડી બનેલી છે. સિંહોના મોતનો આંકડો ઝડપથી વધતાં અમેરિકાથી પણ વિશેષ પ્રકારની દવાઓ મંગાવવામાં આવી રહી છે. દેશભરમાંથી નિષ્ણાતોની ટુકડીઓ પણ પહોંચી રહી છે. હાલમાં મોટી સંખ્યામાં સિંહ સારવાર હેઠળ છે. બીજી બાજુ સારવાર દરમિયાન ૧૪ સિંહના મોત થયા છે. સાતના મૃતદેહ હાથ લાગ્યા છે. અહેવાલમાં જણાવામાં આવ્યું છે કે, હાલમાં નવ સિંહની તબિયત ખરાબ હોવાનું જાણવા મળી રહ્યું છે. ૧૧થી ૧૯મી સપ્ટેમ્બરના ગાળા દરમિયાન ૧૧ સિંહના મોત થયા છે જ્યારે ૨૦થી ૩૦મી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં વધુ ૧૦ સિંહના મોત થયા છે. બિમારીના કારણે સિંહની તબિયત ખરાબ હોવાનું પણ પ્રાથમિકરીતે બહાર આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ ૨૧ સિંહોના મોત થયો હોવાનો આખરે રાજયના વનવિભાગ દ્વારા ેએકરાર કરવામાં આવ્યો છે અને આ સત્તાવાર મૃત્યુઆંક આજે જાહેર કરાયો હતો. ગીરમાં ૨૧ સિંહોના મોતનો સાચો મૃત્યુઆંક બહાર આવતાં ચોતરફ ખળભળાટ મચી ગયો છે. પ્રકૃતિપ્રેમીઓ અને વન્ય પ્રેમીઓમાં તો જબરદસ્ત આક્રોશ ફેલાયો છે કે, ગીર પંથકમાં સિંહોના મોતને લઇ સમગ્ર પરિસ્થિતિ ગંભીર અને સંવેદનશીલ હતી, પરંતુ તેમછતાં સરકાર અને વનવિભાગ દ્વારા બહુ હીનપ્રકારે ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ થયો છે પરંતુ આ સમગ્ર મામલામાં જે કોઇ જવાબદાર હોય તે તમામ સામે હવે કાયદાકીય રાહે પગલાં લેવાવા જોઇએે. બીજીબાજુ, ગુજરાતના રાજકારણના પીઢ નેતા શંકરસિંહ વાઘેલાએ હવે સમગ્ર મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, સિંહોના મોત મામલામાં રાજય સરકારની સીધી અને ગંભીર બેદરકારી અને ઉદાસીનતા સ્પષ્ટ થઇ ગઇ છે. દરમ્યાન ગીર પંથકમાં હવે ૨૧ સિંહોના મોત બાદ હવે સફાળા જાગેલા વનવિભાગ દ્વારા દેશભરમાંથી ઝુના નિષ્ણાતો અને તજજ્ઞ વન્ય પ્રાણી ચિકિત્સકોને ગીર બોલાવવાનું નક્કી કર્યું છે. વનવિભાગ દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર આંક મુજબ, તા.૧૨ સપ્ટેમ્બરથી તા.૧૯ સપ્ટેમ્બર દરમ્યાન ૧૧ સિંહોના મોત નોંધાયા હતા, જયારે તા.૨૦ સપ્ટેમ્બરથી તા.૩૦ સપ્ટેમ્બર દરમ્યાન ૧૦ સિંહોના મોત નોંધાયા હતા. આમ, અત્યારસુધીમાં કુલ ૨૧ સિંહોના મોત નીપજયા હોવાની વાત સ્પષ્ટ થઇ ગઇ છે. એકસાથે આટલા ટૂંકા સમયમાં ૨૧ સિંહોના મોતને લઇ હવે માત્ર ગુજરાત જ નહી, દેશભરમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે, એશિયાટીક લાયનને લઇ ગુજરાતની આગવી ઓળખ વિશ્વભરમાં બની રહી છે ત્યારે તેનું જ અસ્તિત્વ મટી રહ્યું હોઇ વન્ય અને પ્રકૃતિ પ્રેમીઓ આઘાતમાં ગરકાવ બન્યા છે. તો, સિંહોના મોત મામલે હવે પરિસ્થિતિ ગંભીર અને બેકાબૂ બનતાં વન વિભાગ અને રાજય સરકાર દ્વારા દેશભરમાંથી ઝુના નિષ્ણાતો અને તજજ્ઞ વન્યપ્રાણી ડોકટરોને બોલાવવાનું નક્કી કરાયું છે. તો, સાથે સાથે હવે અમેરિકાથી સિંહો માટે ખાસ વેકસીન-રસી મંગાવવામાં આવનાર છે. કેટલાક સિંહોના શરીરમાં વાયરસનું પ્રમાણ પણ જોવા મળ્યું હોઇ વનવિભાગ તે મામલે પણ દોડતું થયું છે. તા.૨૪ સપ્ટેમ્બરથી અત્યારસુધીમાં ૫૫૦થી વધુ કર્મચારીઓએ ૬૦૦ સિંહોનું નીરીક્ષણ અને તપાસ(ચેકીંગ) હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ૯ સિંહો બિમાર જણાયા છે, પાંચને રેસ્કયુ કરી સારવાર માટે ખસેડાયા છે અને ચાર સિંહોને સ્થળ પર જ સારવાર આપી મુકત કરાયા છે. વનવિભાગના દાવા મુજબ, કુલ ૨૧ સિંહોના મોતમાં ૧૪ સિંહોના સારવાર દરમ્યાન મોત નીપજયા છે, જયારે સાત સિંહોના મૃતદેહ જંગલમાંથી મળી આવ્યા છે. તે ઇન્ફાઇટમાં મોતને ભેટયા હોવાનું જણાય છે. વનવિભાગ દ્વારા હવે સિંહોની તપાસ બાદ તેના જુદા જુદા સેમ્પલો લઇ તેના નમૂનાઓ એનઆવી, પૂના ખાતે મોકલવામાં આવ્યા છે. તો, સાથે સાથે રાજયની એફએસએલ કચેરીમાં પણ આ નમૂનાઓ મોકલાયા છે. સરસીયા નજીક આવેલ સેમરડી વિસ્તારના સિંહોને રેસ્કયુ કરી જામવાળા મોકલવામાં આવ્યા છે. જો કે, વનવિભાગ દ્વારા ૨૧ સિંહોના મોતનો સત્તાવાર આંક જાહેર થયા બાદ હવે ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચી ગયો છે.

સિંહોની સ્થિતિ..........

         અમદાવાદ, તા. ૧ : ગીર રેંજમાં મોટી સંખ્યામાં સિંહના મોતથી વ્યાપક દહેશત ફેલાઈ ગઈ છે. નિષ્ણાતોની ટીમ ચકાસણીમાં લાગેલી છે. સિંહોની સ્થિતિ નીચે મુજબ છે.

સિંહોની ચકાસણી............................................ ૬૦૦

કર્મચારી જોડાયા............................................ ૫૫૦

કુલ સિંહના મોત............................................... ૨૧

હાલમાં સિંહ બિમાર........................................... ૦૯

સારવાર દરમિયાન સિંહના મોત........................ ૧૪

સિંહોના મૃતદેહ મળ્યા…………………………………..૦૭

(8:13 pm IST)