News of Tuesday, 2nd October 2018
પ્રિયા અધ્યારુ મજિઠિયા, અમદાવાદઃ શહેરનો જ 21 વર્ષીય હોનહાર યુવાન શ્રીપાલ પાલખીવાલા લગભગ એક વર્ષ પહેલા એન્જિનિયરિંગમાં વધુ ભણવા માટે જર્મની જવાનો હતો. પરંતુ તે પોતાના સપનાના રસ્તા પર ચાલી શકે તે પહેલા જ શહેરાના રસ્તા પર એક્સિડન્ટમાં તેનું મૃત્યુ થયું હતું. લાડકવાયા પુત્રનું આ રીતે અચાનક અવસાન થઈ જતા હજુ પણ તેના માતા-પિતા શોકમાંથી બહાર આવી શક્યા નથી. અને તેમાં ઉપરથી શ્રીપાલના વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેની કોઈને કોઈ યાદ સામે આવી જાય છે અને તેઓ એ પણ નથી જાણતા કે ડિજિટલ દુનિયામાં હજુ પણ જીવંત તેમના પુત્રની આ ડિજિટલ લાઇફ પર કઈ રીતે પૂર્ણવિરામ મુકવું.
આપણે સોશિયલ મીડિયામાં લાઇફની ઘણી યાદગાર ક્ષણોને પોસ્ટ કરીને સાચવીએ છીએ. પરંતુ જ્યારે આપણે મરી જઈએ પછી આપણી તે યાદ આપણા પરિવાર અને મિત્રોને સતત એક ઘોસ્ટની જેમ હોન્ટ કરે છે. તેમજ તમારા મોબાઈલથી લઈને બેંકના ડિજિટલ પાસવર્ડ અને અન્ય વેબસાઇટના ડિજિટલ એકાઉન્ટનું પણ શું થાય જો તમે પાસવર્ડ કે તેના અંગે કોઈ માહિતી મુકી ગયા ન હોવ.
અમદાવાદમાં જ આવેલ સાયબર સિક્યોરિટી ફર્મના નિષ્ણાંત સની વાઘેલા કહે છે કે, ‘જો આવા ડિજિટલ એકાઉન્ટ ઘણા સમય સુધી અન અટેન્ડેટ રહે તો તેનું ઘણું નુકસાન થઈ શકે છે. કેટલાક હેકર્સ આવા એકાઉન્ટને હેક કરીને તેનો ગેરફાયદો ઉઠાવે છે. સામાન્ય રીતે મોટાભાગની વેબાસાઇટ કોઈ વ્યક્તિનો ડેટા શેર કરતી નથી માટે ખૂબ જરુરી છે કે તમે તમારા તમામ ડિજિટલ એકાઉન્ટનું પણ એક વસિયતનામુ બનાવી જાવ જેથી આ એકાઉન્ટ ઓપરેટ કરવાનો જેતે વ્યક્તિને કાયદેસરનો હક્ક મળે.’
હવે ઘણા નેટિઝન્સ આ નવા ડિજિટલ વીલ કોન્સેપ્ટને અપનાવાતા થયા છે. શહેરમાં આર્ટ ગેલેરી સાથે સંકળાયેલ અનિલ રેલિયા(61)એ કહ્યું કે, ‘મે મારા ફેસબુકથી લઈને બેંક એકાઉન્ટ અને અન્ય બિઝનેસ એકાઉન્ટના પાસવર્ડ અને તમામ જરુરી ચીજવસ્તુઓનું એક લિસ્ટ બનાવ્યું છે. જે મારા પુત્ર મનને સોંપ્યું છે.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘હું જ્યારે પણ એવા વિસ્તારોમાં હોઉં છું જ્યાં નેટવર્કનો પ્રોબ્લેમ હોય તો મનન મારુ એકાઉન્ટ સંભાળે છે. એટલું જ નહીં તમામ નાણાંકીય ટ્રાન્ઝેક્શન અંગે પણ તે જ સંભાળ રાખે છે. આજના ડિજિટલ યુગમાં તમારા બધા જ ડિજિટલ એકાઉન્ટની ઇન્વેન્ટરી બનાવીને તેને કોઈ ફેમિલી મેમ્બર, પતિ કે પત્ની, સોશિયલ મીડિયા અથવા લીગલ કન્સલ્ટન્ટને આપવું ખૂબ જરૂરી છે.’
ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અંગેના નિષ્ણાંત વકીલ જતિન ત્રિવેદી કહે છે કે, ‘બધા લોકોને ખબર છે કે પ્રોપર્ટી માટે વસિયતનામુ જરુરી છે તેમ ડિજિટલ પ્રોપર્ટી માટે+ પણ વીલ ખૂબ જરુરી છે. તમારા ડિજિટલ એકાઉન્ટ તમારી અમૂર્ત સંપત્તિ છે. તમારા અનુગામીને તમારે જણાવવું જ જોઈએ કે તમારી ગેરહાજરીમાં તેનું શું કરવાનું છે.’