Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

સુરતની કોરોના ઈન્ફેક્શન રેટ ઘટ્યો : રિકવરી રેટ વધ્યો: વિજયભાઈ રૂપાણી

સુરતમાં મુખ્યમંત્રી રૂપાણીએ તંત્રવાહકો, પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને IMA અગ્રણી તબીબો ચર્ચા કરી

મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ પોતાના 64માં જન્મદિવસે સુરત શહેર અને જીલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરી હતી.સુરત ખાતે મુખ્યમંત્રી રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કોરોના સંક્રમણ અને નિયંત્રણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા વરિષ્ઠ ઉચ્ચ અધિકારીઓ સાથે કરી હતી.તેમજ તંત્રવાહકો, પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને IMA અગ્રણી તબીબો સાથે બેઠક કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

  મુખ્યમંત્રી રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોવિડ-19″ ના સંક્રમણને નાથવામાં સુરત શહેર તથા જિલ્લાએ સારી અને પરિણામલક્ષી કામગીરી કરી છે. ગત 4 જુલાઈની મુલાકાતથી લઈ આજે 2 ઓગસ્ટ સુધીની સ્થિતિનુ આકલન કરતા દરેક બાબતે ઉત્તરોત્તર સુધારો જોવા મળ્યો છે. રાજ્ય સરકાર કોરોના સંક્રમણને રોકવા તેમજ સંક્રમિતોની સારવાર સેવામાં રાજ્યમાં માઇક્રો પ્લાનીંગ અને સ્ટ્રેટેજી સાથે આરોગ્ય તંત્ર આગળ વધ્યું છે.

સુરતમાં વધી રહેલા સંક્રમણને રોકવા માટે ઘણા અંશે સફળતા મળી હોવાનું જણાવતા કહ્યું કે, રાજયની લેબોરેટરીમાં પહેલા ચાર થી પાંચ હજાર ટેસ્ટ થતા હતા આજે ટેસ્ટનું પ્રમાણ વધારીને 26000 કરવામાં આવ્યું છે.

સુરતનો રીકવરી રેટ પહેલા 60 ટકા હતો જે આજે 70 ટકા જેટલો થયો છે. જયારે રાજયનો રીકવરી રેટ 73 ટકા થયો છે.પોઝિટિવ દર ચાર ટકા હતો જે ઘટીને બે ટકા થયો છે. શહેરમાં 121 ધનવંતરી રથ દ્વારા ઘરે ઘરે જઈને રોજના 35 થી 40 હજાર લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે.બેડની સંખ્યા 4856 થી વધારીને 7030 આવનાર છે. શહેરને તત્કાલ 600 વેન્ટીલેટરની ફાળવણી કરવામાં આવી છે જેમાંથી 128 ખાનગી હોસ્પિટલોને આપવામાં આવ્યા છે.

આ પહેલા મુખ્યમંત્રી રૂપાણીએ નવી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડીંગમાં 800 બેડની કોવિડ-19 હોસ્પિટલની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. “કોરોના” સામે લાંબી લડાઈ લડવાની છે તેમ જણાવતા વિજય રૂપાણીએ સૌના સહિયારા પુરુષાર્થથી આ લડાઈ જીતવાની છે તેમ જણાવ્યું હતું.

ખાનગી તબીબોને સાત દિવસની માનદ સેવા બદલ રોજના ₹ 5 હજાર લેખે કુલ ₹ 35 હજાર પ્લસ ક્વોરનટાઇન પિરિયડ દરમિયાન બીજા ₹ 10 હજાર મળી કુલ ₹ 45 હજાર રાજ્ય સરકાર તરફથી પ્રોત્સાહન પેટે અપાશે, “કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર” ભારતભરમાં માત્ર સુરત ખાતે સફળતાપૂર્વક ચાલી રહ્યા છે, જે દેશને અનોખી પ્રેરણા પુરી પાડી રહ્યા છે.

સરકારના સર્વગ્રાહી પ્રયાસોને કારણે ગુજરાત અને સુરતની કામગીરીમાં ખૂબ જ સુધારા સાથે, પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ નવી સિવિલ કોવિડ-19 હોસ્પિટલ ખાતેના હેલ્પડેસ્કની મુલાકાત લઈ કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને દર્દીઓની તબિયત અંગે અને ત્યારબાદ સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી.

સિવિલ હોસ્પિટલના કોવિડ-19 ટ્રેનિંગ સેન્ટર ખાતે મુખ્યમંત્રીએ કોરોના ફ્રન્ટલાઈન વોરિયર તબીબો, નર્સો, એમબીબીએસના વિદ્યાર્થીઓ, આરોગ્યકર્મીઓ અને સફાઈકર્મીઓને સંબોધતા જણાવ્યું હતું કે, લોકોની જેઓ સેવા કરે છે, તેમના સન્માન કરવાનો આ મોકો પણ છે, અને જન્મ દિવસને યાદગાર બનાવ્યો છે.

ફિજિયોથેરાપી કોલેજના કોવિડ ટ્રેનિંગ સેન્ટર ખાતે મુખ્યમંત્રી સાથે વાતચીત વેળાએ ડો. અશ્વિન વસાવાએ પ્રતિભાવ આપતાં કહ્યું કે, કોરોનાની મહામારીમાં આરોગ્ય તંત્રનો એક એક કર્મચારી દર્દીઓની સેવાને નૈતિક ફરજ સમજે છે.મારી ફરજ નિશાની આપીશ પ્રાધાન્ય આપીશ ડોક્ટર અશ્વિન વસાવાએ જણાવ્યું હતું કે ‘રાજ્ય સરકાર સૌને સાથે લઈને કોરોના દર્દીઓની સાથે કોરોના યોદ્ધાઓની પણ કાળજી લઇ રહી છે.

ગાંધીનગરથી સચિવઓ અને વરિષ્ઠ અધિકારીઓ અમને હંમેશા સતત મોટીવેશન અને માર્ગદર્શન આપીને સહાયરૂપ બન્યા છે. સુરતની કોઈપણ આરોગ્યલક્ષી જરૂરિયાત પર વિશેષ ધ્યાન આપ્યું છે.

સુરતને જયારે જરૂર પડી છે, ત્યારે અમદાવાદ, ગાંધીનગરની સ્પેશ્યલ ટીમો સુરત આવીને અમને માર્ગદર્શન આપ્યું છે.તેમણે મુખ્યમંત્રી જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવતા જણાવ્યું કે, રાજ્ય સરકારની સાથે અમે પણ કોરોના સામે ક્યારેય ઝૂકીશું નહીં, અને સતત લડત આપીશું..’

સફાઈકર્મી દિપક સંતોષ સૈદાણેએ જણાવ્યું કે,“હું છેલ્લા ચાર મહિનાથી સતત ફરજ બજાવી મારું યોગદાન આપી રહ્યો છું. જ્યાં સુધી કોરોનાની વિદાય નહીં થાય ત્યાં સુધી હું જીવની પરવા કર્યા વિના મારી ફરજ બજાવીશ. સિવિલ હોસ્પિટલના હેડ નર્સ વસંતીબેન નાયરે દર્દીઓની સારવાર અને પોતાની સલામતી માટે માસ્ક, સેનિટાઇઝર, તમામ સંસાધનો, સગવડો પૂરતાં પ્રમાણમાં મળ્યા છે. હોસ્પિટલ તંત્ર દ્વારા ઉત્તમ ટ્રાન્સપોર્ટેશન સુવિધા મળી છે એમ જણાવ્યું હતું.

MBBS, ફાઈનલ યરના વિદ્યાર્થી ડો.કીર્તિ બોરીચાએ પ્રતિભાવમાં જણાવ્યું કે,સરકાર તરફથી સતત મળી રહેલું પ્રોત્સાહન અમારુ ચાલકબળ બની રહે છે. એક તબીબી વિદ્યાર્થી તરીકે હું કોરોનાગ્રસ્તોનીએ સેવા કરવાને મારૂ સૌભાગ્ય સમજુ છું. આમ, આરોગ્ય સેનાનીઓએ કોરોનાના અંત સુધી અમે ઝૂકીશું નહીં, થાકીશું નહીંકહી એકસૂર વ્યક્ત કર્યો હતો.

 

(10:50 pm IST)