Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

શહેરના મંદિરમાં ઘંટને સ્પર્શ કરવા ઉપર પ્રતિબંધ લદાયો

અધિકારીઓએ કડક દેખરેખ રાખવાનું શરૂ કર્યું છે : ભક્તોના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે કોર્પોરેશન અને શહેર પોલીસે મંદિરમાં ઘંટને સ્પર્શ કરવા પર રોક લગાવી

અમદાવાદ, તા. ૨ : કોરોના મહામારીને પગલે મંદિરની ઘંટીઓ શાંત પડી છે. મંદિરમાં આવતા ભક્તોના સ્વાસ્થ્યને વધુ સુરક્ષિત રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસે મંદિરમાં ઘંટને સ્પર્શ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. મુલાકાતીઓ ઘંટને સ્પર્શ ન કરે તે માટે અધિકારીઓએ કડક દેખરેખ રાખવાનું શરૂ કર્યું છે. સુત્રોના જણાવ્યાનુસાર મંદિરના ઘંટ શ્રદ્ધાળુઓના મોતનું કારણ ન બને તે માટે કવાયત હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જ તેમને મળ્યા હતા અને સલાહ આપી હતી કે ભક્તો ઘંટ ન વગાડી શકે તે માટે ઘંટ ઉપર કાપડ અથવા રૂમાલ બાંધે. મંદિરમાં આરતી દરમિયાન ઘંટનો ઉપયોગ થાય છે, જે મશીન દ્વારા ચલાવવામાં આવે છે, પરંતુ તે ભક્તોથી દૂર હોય છે. તેમણે કહ્યું કે, અમને જ્યાં સુધી આગળની સૂચનાઓ ન મળે ત્યાં સુધી આ સૂચનાઓનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.

          અમે અન્ય ઘંટીઓ પણ કવર કરી લીધી છે. કર્ણાવતી વિદવત પરિષદના અધ્યક્ષ સમીર રાવલે જણાવ્યું હતું કે, રિંગિંગ બેલ્સનો અવાજ આ ક્ષેત્રમાં પોઝિટિવ એનર્જી પેદા કરે છે. શાસ્ત્રીજી તરીકે જાણીતા રાવલ જે ભૂલાભાઇ ચાર રસ્તા ખાતે બહુચરમાતા મંદિરના પૂજારી છે. તેઓએ જણાવ્યું કે, પ્રાચીન હિન્દુ શાસ્ત્રોમાં રિંગિંગ બેલ્સના કંપનથી સકારાત્મકતા કેવી રીતે સર્જાય છે તેનો વિશે ઉલ્લેખ છે. જણાવી દઈએ કે, બે મહિનાથી વધુ સમયના વિરામ બાદ કેન્દ્રની ગાઈડલાઈનનું પાલન કરતા ૮ જૂને ગુજરાતમાં મંદિરો ફરીથી ખુલ્યા હતા.

            મંદિરમાં દર્શનની લાઈન સાથે સર્કલ દોરવામાં આવ્યાં છે. ચહેરા પર ફરજિયાત માસ્કથી લઈને સિંગલ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ સુધી બંને બાજુ સ્ટીલની સળિયા લગાવવા, સેનિટાઇઝર, થર્મલ સ્કેનરો લગાવવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે સુનિશ્ચિત કરવા માટે વધારાની સુરક્ષા સુધીની વિવિધ સાવચેતી રાખ્યા પછી ગુજરાતના મંદિરો ફરીથી ખોલવામાં આવ્યા છે. કેટલાક મંદિરના અધિકારીઓએ ઇ-આરતી શરૂ કરી દીધી છે કારણ કે ગાઈડલાઈન મુજબ લોકોને આરતી દરમિયાન એકત્રિત થવા પર પ્રતિબંધ છે. નારણપુરાના વિવિધ મંદિરોના પૂજારી કુણાલ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ઘણા લોકોને મંદિરમાં પ્રવેશતા સમયે ઘંટ વાગવાની ટેવ હોય છે. તેમણે કહ્યું કે, 'જો કોવિડ -૧૯ દર્દી ઘંટને સ્પર્શે કરે તો તે અન્ય ભક્તોનાં જીવ જોખમમાં મૂકી શકે છે. અધિકારીઓએ યોગ્ય નિર્ણય લીધો છે અને અમે તેનો કડક અમલ કરી રહ્યા છીએ.

(10:26 pm IST)