Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

રાજપીપળાના એક સ્મશાનમાં મૃતદેહોના અડધા બળેલા અંગો નજીકની નદીમાં પધરાવતા હોવાની બુમ

એક તરફ સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ કોવિડ સ્મશાનની સેવા ઉભી કરી માનવતાનું કામ કરે છે ત્યારે શરીર ના અંગો કોઈ નદીમાં પધરાવે એ ગંભીર બાબત કહેવાય:નજીકમાં રહેતા લોકો એ નજરે નિહાળતા એમને જાણ કરી હોય તંત્ર એ તાત્કાલિક રોક લગાવવી જરૂરી

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા શહેરમાં હાલ કોરોનાનો કહેર વધી રહ્યો છે જેમાં કાછીયાવાડ વિસ્તારમાં રોજ નવા નવા કેસો આવતા હોય અમુક વિસ્તારો રેડ ઝોન જાહેર કર્યા બાદ પણ ત્યાંથી બિન્દાસ અવર જવર ચાલુ હોય તેવા સંજોગોમાં અન્ય વિસ્તારોમાં પણ સંક્રમણ વધવાની પુરી શક્યતાઓ રહેલી છે. 

 પોલીસ કડક હાથે કામ લઈ કાયદેસર કાર્યવાહી કરે તો બદનામીનો તાજ તેના સિરે મૂકી કેટલાક વિસ્તારના લોકો પોતાની મનમાની કરી રહ્યાનું પણ જોવા મળ્યું હતું. તેવા સંજોગોમાં રાજપીપળાના એક સ્મશાન માંથી અડધા બળેલા મૃતદેહના અંગો નજીકની નદી માં પધરાવતા હોવાની બુમ સાંભળવા મળી હોય તો તંત્ર આ બાબતને ગંભીરતા થી લઈ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

  નજીકમાં રહેતા એક જાગૃત નાગરીકે અમને આ બાબત ની જાણ કરી કોરોના મહામારી વચ્ચે આ ગંભીર બાબત હોય તંત્ર નું ધ્યાન દોરવા જણાવ્યું ત્યારે આ બાબતે અમે તપાસ કરતા જાણવા મળ્યું કે અમુક વિસ્તારના લોકો કોઈક કારણોસર મૃતદેહ ને અંતિમ સંસ્કાર માટે લાવ્યા બાદ સગા કે મિત્રો અધવચ્ચેથી મૃતદેહની વિધિ પૂર્ણ કર્યા વિના ચાલ્યા જતા હોય ત્યાર બાદ કોઈક આમ વ્યકતિ ને પૈસા આપી સ્મશાનની સાફ સફાઈ કરાવતા હોય તેમાં ઉતાવળે અમુક અંગો બળ્યા ન હોય તો નદીમાં પધરાવતા હોય તેવું બની શકે બાકી આવી વાત અત્યાર સુધી સંભળાઈ નથી પરંતુ કોરોના ના હાઉ વચ્ચે આવું શક્ય બની શકે છે.અને જો વાત સાચી હોય તો તપાસ બાદ તંત્ર એ તેને ગંભીરતાથી લઈ પગલાં લેવા જરૂરી છે.

  જોકે વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળા દ્વારા નવું ઉભું કરાયેલું કોવિડ સ્મશાન એક ઉમદા કાર્ય છે અને ત્યાં નજીકમાં 25 ફૂટ ઊંડો ખાડો પણ કરાયો છે જેમાં કોરોના દર્દીના અંતિમ સંસ્કાર બાદ અમુક વસ્તુ આ ખાડામાં દાટી દેવાય છે.ત્યારે એક તરફ આ સમાજ કોરોના બાબતે ખડે પગે સેવાકાર્ય કરતું હોય બીજી તરફ કોઈક દ્વારા આવી ગંભીર બેદરકારી થતી હોય તો પગલાં જરૂરી બને છે.

 

(5:20 pm IST)