Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

પંચમહાલ સહીત મધ્ય ગુજરાતમાં વરસાદ નહીવત જેવો વરસતા પાણીના અભાવે ડાંગર અને મકાઇનો પાક નિષ્ફળ જવાની ભીતીથી ખેડુતોમાં ચિંતા

પંચમહાલઃ છેલ્લા ઘણા સમયથી જિલ્લાઓમાં વરસાદ નહીવત જેવો વરસ્યો છે જેને લઇ ખેડુતો ચિંતાતુર બન્યા છે. ખાસ કરીને પંચમહાલ અને દાહોદ જિલ્લાની સરહદો વચ્ચે આવેલા તાલુકા વંદેલી, મેથાન અને આસપાસના અનેક ખેડુતોની હાલત કફીડી બની છે. આ વિસ્તારની પ૦૦ હેકટરથી વધુ જમીન પર દાહોદ જિલ્લાના કબુતરી ડેમમાંથી કેનાલ મારફત સિંચાઇનું પાણી આપવામાં આવતું હતું. પરંતુ હવે આ વિસ્તારમાં ડાંગરની રોપણી કરવાની તૈયારી છે અને મકાઇનો પાક પણ તૈયાર થવાને આરે છે ત્યારે પાણીના અભાવે. આ બંન્ને પાક નિષ્ફળ જવાની ભીતી સેવાઇ રહી છે.

પંચમહાલ અને દાહોદ જિલ્લાના છેવાડે આવેલા મોરવા હડફ તાલુકાની અંદાજી પ૦૦ હેકટર જમીનમાં ચોમાસાની ખેતી આધારીત ખેતી માટે ડાંગર અને મકાઇનું પાકનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે વરસાદે વિરામ લેતા હાલ ડાંગરનો તૈયાર કરેલો પાક નષ્ટ થવાના આરે છે. તો સાથે જ મકાઇનો તૈયાર થયેલ પાક પાણી વિના નિષ્ફળ જવાની ભીતી છે.

યોગ્ય વરસાદના અભાવે કયારડાની ડાંગરની રોપણી થઇ શકી નથી. બીજી તરફ ઉપરોકત ત્રણ ગામોમાંથી કબુતરી જળાશય યોજના અંતર્ગત સિ઼ચાઇ કે પુલની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ હાલ કેનાલમાં સિંચાઇ પાણી બંધ છે. બીજી તરફ ખેડુતોને ડાંગર રોપણી માટે પાણી અત્યંત જરૂરીયાત છે. પરંતુ કેનાલમાં પાણી આપવામાં આવી રહયું નથી. પાક બચાવવા માટે કેનાલ મારફતે ખેડુતો સિંચાઇ પાણી આપવા માંગ કરી રહયા છે. જે અંગે તાલુકા સદસ્ય પ્રભાતભાઇ ભેદી અને ખેડુતોએડેમ ખાતે જઇ સિ઼ચાઇ પાણી આપવાની માંગણી માટે ડેમના સતાધીશોનો સંપર્ક કરવા પ્રયત્ન કરી જાણ કરી હતી. પરંતુ યોગ્ય જવાબ ન મળતા ખેડુતોમાં નારાજગી વ્યાપી છે.

(6:04 pm IST)