Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

રાજ્યના ખૂણે ખૂણે ધનવંતરી આરોગ્ય રથની શરૂઆત થઈ

કોવિડ-૧૯ના ૩૬૮ દર્દી સાજા થઈ ઘરે પાછા ફર્યા : રાજ્યનાં કોરોનાના ૬૭૫ નવા દર્દી, ૨૧નાં મોત : કુલ ૩,૮૦,૬૪૦ ટેસ્ટ : ૨,૫૦,૩૫૭ લોકો ક્વોરેન્ટાઈન

અમદાવાદ, તા. ૧ : રાજ્યમાં કોરોનાનો કહેર વ્યાપક બનતો જાય છે. લોકડાઉન બાદ અનલોક-૧ અને હવે અનલોક-૨ને લીધે સરકાર દ્વારા જનજીવનને થાળે પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે એવામાં સંક્રમિતોની વધતી સંખ્યાએ વહિવટી તંત્રની ચિંતા વધારી દીધી છે. સરકારે સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારો, શેહરી વિસ્તારો અને મહાનગરપાલિકાના વિસ્કારોમાં લોકોને આરોગ્ય સેવા તેમના ઘર નજીક મળી રહે તે માટે ધન્વંતરી આરોગ્ય રથની શરૂઆત કરી છે. સરકારી યાદીના અનુસાર આ રથ દ્વારા લોકોને તાવ, શરદી, ઝાડા, ડાયાબિટીસ, બીપી, ચામડીના રોગો વગેરેની સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. ધન્વંતરી રથમાં એક ડોક્ટર, સ્ટાફ નર્સ, લેબ ટેક્નિશિયન અને ડ્રાયવરનો સમાવેશ થાય છે. તાજેતરમાં રાજ્યમાં ૯૯૨ ટીમો કાર્યરત છે અને આ ટીમે ૧૦ લાખથી વધુ લોકોને સુવિધા પુરી પાડી છે. આ રથમાં આયુર્વેદિક અને હોમિયોપેથિ દવાઓનું વિતરણ કરવામાં આવે છે.

             દરમિયાનમાં સરકારી યાદી મુજબ રાજ્યના વિવિધ જિલ્લામાં ૬૭૫ કોરોનાના કેસ નોંધાયા છે. અને ૨૧ જણાંના મોત થયા છે. જ્યારે ૩૬૮ દર્દી સાજા થઈને ઘરે પહોંચી ગયા છે. રાજયભરમાં અત્યાર સુધીમાં કુલ ૩,૮૦,૬૪૦ ટેસ્ટ કરવમાં આવ્યા છે જ્યારે ૨,૪૭,૦૬૭ લોકો હૉમ ક્વૉરેન્ટાઈન છે અને ૩,૨૯૦ લોકો ફેસિલિટી ક્વોરેન્ટાઈન છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૭૪૧૧ છે અને ૬૩ દર્દી વેન્ટિલેટર પર છે તથા ૭૩૪૮ દર્દી સ્ટેબલ હોવાનુપં જણાવાયું છે. આ ઉપરાંત ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા ૨૪૦૩૮ થઈ છે અને કુલ મૃત્યુ આંક ૧૮૬૯ થયો છે.

(9:20 pm IST)