Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

સુરતમાં વાવાઝોડાની ચેતવણીના પગલે જિલ્લાના ૩૨ ગામો એલર્ટ કરાયાઃ ઉમરગામના દરિયા કિનારા આસપાસના વિસ્‍તારો ખાલી કરાવાયા

સુરત: વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં થવાની છે. ત્યારે સુરતના દરિયા કાંઠે પણ ભારે અસર સર્જાશે. આ ડીપ ડિપ્રેશન સુરતથી 710 કિલોમીટર છે. જે આવતીકાલ સુધી ગુજરાતના દરિયાકાંઠે પહોંચી જશે. ત્યારે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે.

સુરત જિલ્લાના 32 ગામોને એલર્ટ કરાયા

દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં ડિપ્રેશન તરીકે છે. 24 કલાકમાં વાવાઝોડું વધુ પાવરફુલ થઈ શકે છે. 2 જૂનના રોજ સવારે વાવાઝોડું ઉત્તર દિશા તરફ જશે. જેમાં દમણ અને દક્ષિણ ગુજરાતમાં 3 જૂનના રોજ સાંજ અથવા રાત્રે અસર બતાવશે. દક્ષિણ ગુજરાતના બંદરો પર DC 1 સિગ્નલ  મૂકી દેવાયું છે. તો સાથે જ સુરત જિલ્લામાં 32 ગામોને એલર્ટ કરાયા છે. જરૂર જણાશે તો સ્થળાંતર કરવામાં આવશે તેવું સ્થાનિક તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

ઉમરગામના વિસ્તારો ખાલી કરવા તંત્ર પહોંચ્યું

સંભવિત વાવાઝોડાને લઈને નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. ઉમરગામ નવી નગરી વિસ્તાર ખાલી કરાવવા સ્થાનિક તંત્ર પહોંચી ગયું છે. તો બીજી તરફ, સ્થાનિકોએ ઘર ખાલી કરવા ઈન્કાર કર્યો હતો. આવામાં અધિકારીઓએ લોકોને સમજાવ્યા હતા. હાલમાં સમગ્ર વિસ્તાર ખાલી કરાવવાની તજવીજ હાથ ધરાઈ.

3 અને 4 જૂને લોકો ઘરની બહાર ન નીકળે

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે અને છુટોછવાયો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. 4 જૂનના રોજ પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરતમાં 3 જૂનથી પવનની ગતિમાં વધારો થશે. પહેલા 3 જૂનના રોજ સાંજથી 70 થી 80 કિલોમીટરે પવન ફૂંકાશે. તેના બાદ 90 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત માછીમારોએ તારીખ 4 સુધી દરિયો ન ખેડવા સુચના અપાઈ છે. 4 જૂન સુધી સુરતના દરિયા કિનારા ન જવા સૂચના લોકોને કહી દેવાયું છે. સુરતના કલેક્ટેરે લોકોને અપીલ કરી છે કે, 3 અને 4 જૂને લોકો ઘરની બહાર ન નીકળે. ગંભીર રોગથી પીડાતા લોકો, વૃદ્ધો અને બાળકોની ખાસ કાળજી રાખવા અનુરોધ કરાયો છે.

દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની આગાહી વચ્ચે આજે તાપી જિલ્લામાં વતારાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો. વ્યારા, વાલોડ સહિતના તાલુકાના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે.

ભરૂચમાં વાવઝોડાને લઇ ભાડભૂત ખાતે માછીમારોએ ૩૦૦ બોટ લંગારી દીધી છે. વાવઝોડાની દહેશતને લઇ સાવચેતીના ભાગરૂપે માછીમારોએ દરિયામાં જવાનું ટાળ્યું છે. આગામી ૪ દિવસ સુધી બોટ કાંઠે જ રહેશે. તંત્રના આદેશ બાદ બોટ દરિયામાં જશે. ભાડભૂત ખાતે નર્મદા નદીના તમારા ઉપર લાગેલી હોડીઓથી અનેરુ દ્રશ્ય સર્જાયું છે.

(4:32 pm IST)