Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કોવિડ સેન્ટરથી ફરાર દર્દીએ કંટાળીને આત્મસમર્પણ કર્યું

દર્દી ફરાર થઇને સ્ટેડિયમમાં સંતાયો હતો : દર્દી નવરંગપુરાના સેન્ટરમાંથી ગુરુવારે ભાગી ગયો હતો

અમદાવાદ, તા. : શહેરના સમરસ કોવિડ કેર સેન્ટરમાં રહેલો કોરોના સંક્રમિત એક વ્યક્તિ ભાગીને ક્રિકેટ સ્ટેડિયમમાં છુપાઈ ગયો. પરંતુ બે દિવસ સુધી નિર્જન સ્ટેડિયમમાં રહ્યા બાદ તે બીજી બીમારી અને એકલતાથી કંટાળી ગયો. બાદ તેેણે પોલીસ સામે આત્મસમર્પણ કરી દીધું. ગુજરાત યુનિવર્સિટી પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ૨૨ વર્ષનો સમીર અંસારી નવરંગપુરામાં આવેલા કોવિડ સેન્ટરમાંથી ગુરુવારે ભાગી ગયો હતો. ભાગ્યા બાદ તે બાપુનગરના ગરીબનગરમાં આવેલા પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. પરંતુ તેનો વિસ્તાર પોલીસે ઘેરીને રાખ્યો હોઈ તેણે પોતાનો પ્લાન બદલી નાખ્યો. તે ત્યાંથી ભાગીને લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિમમાં પહોંચી ગયો. સ્ટેડિયમ ૧૯૬૦માં બન્યું હતું અને અમદાવાદનું પહેલું સ્પોટ્સ સ્ટેડિયમ હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સામાન્ય રીતે લોકો અહીં ચાલવા કે બેસવા માટે આવતા હોય છે.

           પરંતુ લોકડાઉનના કારણે તે નિર્જન થઈ ગયું હતું. એવામાં અહીં એકલા રહી ગયેલા અંસારીનું આઈસોલેશન તેને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું હતું. તેણે પોતાનો ફોન ચાલુ કર્યાે અને ભાઈનો સંપર્ક કર્યાે. તેના ભાઈએ તેને સારવાર માટે સમરસ હોસ્ટેલમાં પાછા જવા માટે સમજાવ્યો. અધિકારીએ જણાવ્યું, પૂછપરછ કરતા માલૂમ પડ્યું કે, અંસારીને હોસ્ટેલમાં તેનું મોત થઈ જશે તેવો ડર હતો. પરંતુ તે ત્યાં રહ્યો કારણ કે તે પોતાના પરિવારને સંક્રમિત કરવા નહોતો ઈચ્છતો. ગુજરાત યુનિ.પોલીસના ઇન્સ્પેક્ટર હરિત વ્યાસે કહ્યું, અંસારીએ શનિવારે સાંજે આત્મસમર્પણ કર્યું. તેને ફરીથી કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે પાછો મોકલવામાં આવ્યો છે અને સાજા થયા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે.

             કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અંસારી કોવિડ કેર સેન્ટરથી કદાચ એમ્બ્યુલન્સમાં બેસીને ભાગી ગયો હશે. કારણ કે સેન્ટરની અંદર કોઈ પ્રાઈવેટ વાહનને આવવાની મંજૂરી નથી. તેમણે કહ્યું, અંસારી ગાર્ડને છેતરીને કેવી રીતે ભાગ્યો તેની તપાસ કરવામાં આવશે. ઉપરાંત ગુજરાત યુનિ. થી બાપુનગર સુધીના ૧૪ કિલોમીટરના રૂટમાં કોઈ પોલીસે તેને જોયો નહીં. અન્ય અધિકારીએ જણાવ્યું કે, સેન્ટરના સીસીટીવી કેમેરામાં પણ અંસારી કેદ થયો નથી. જે ચિંતાનો વિષય છે. પહેલા ગુજરાત યુનિવર્સિટી પોલીસે અંસારી સામે  શુક્રવારે બેદરકારીથી કોરોના ફેલાવાની ફરિયાદ નોંધી હતી. અંસારી ભાગીને જે સ્ટેડિયમમાં રોકાયો હતો ત્યાં પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજયેપીય પણ ચૂંટણી રેલી માટે આવી ચૂક્યા છે.

(10:11 pm IST)