Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

બિનજરૂરી સોશ્યલ મીડિયાના બદલે અમદાવાદના લોકોઅે જરૂરી ઉપયોગ કેમ થાય તે શીખડાવ્યુ

અમદાવાદઃ અમદાવાદના લોકોઅે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો તે બિનજરૂરી સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતા લોકોને શીખડાવ્યુ છે.

આવું જ વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા સ્થાનિકોએ પોતાના વિસ્તારની સમસ્યા ઉકેલવા માટે અમદાવાદ ડેવલપમેન્ટ અેન્ડ સિટીઝન વેલ્ફેર ગ્રૂપ નામનું વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું છે. ગ્રૂપમાં પોતાના વિસ્તારના ગંદકી, ગટર-પાણીની સમસ્યા તેમજ રોડ-રસ્તાની ફરિયાદ મ્યુનિસિપલના જે તે અધિકારીને વોટ્સએપમાં મોકલે છે અને તેના આધારે અધિકારીઓ પણ વોટ્સએપ પર આવેલી ફરિયાદનું ત્વરિત નિરાકરણ લાવે છે, જો શહેરીજનો જાગૃત થાય અને આ રીતે નાગરિકો દ્વારા પોતાના વિસ્તારમાં સામૂહિક પ્રયાસ કરવામાં આવે તો ઝડપી કામગીરી થાય અને સત્તાવાળા પણ કામ કરવામાં મજબૂર બને.

આ ગ્રૂપ દ્વારા એક કમિટી પણ બનાવવામાં આવી છે, ધારો કે કોઈ વિસ્તારની ફરિયાદ, વોટ્સએપ, ફેસબુકના માધ્યમથી મળે તો તે અધિકારીઓને વોટ્સએપ દ્વારા રજૂઆત કરવામાં આવે છે અને જરૂર પડે તો જે તે અધિકારીને ઈ-મેઇલ મારફતે પણ રજૂઆત કરવામાં આવે છે.

તા.૧-૧-ર૦૧૮ના રોજ શરૂ થયેલા આ ગ્રૂપમાં ૧૧૦થી વધુ ફરિયાદનો અધિકારીઓની મદદથી નિકાલ કરવામાં આવ્યો છે, જેમાં આ ગ્રૂપ દ્વારા રતનપુર તળાવનો વિકાસ અને હાથીજણ ડિસ્ટ્રિબ્યૂટરીના ડ‌િસ્ટંગકામ કરાવવાં તેમજ હાલમાં ખારીકટ કેનાલ સાફ કરવા તેમજ ગંદકી ન થાય તેના માટે ખાસ ઝુંબેશ કરવામાં આવી હતી.

તમામ પ્રધાન તેમજ અધિકારીઓને રોજેરોજ રજૂઆત કરતાં સરકારે ગંભીરતા લઈને નરોડાથી અસલાલી સુધી સફાઈ હાથ ધરવામાં આવી હતી તેમજ હાલમાં બે દિવસ પહેલાં આ ગ્રૂપમાં આંગણવાડીમાં ભારે ગંદકી અને કચરાના ઢગલા હતા તે ફોટા અધિકારીને વોટ્સએપ કરવામાં આવ્યા. આ અધિકારીએ તરત આંગણવાડીની સાફસફાઈ કરાવી દીધી હતી તેમજ આ ગ્રૂપ દ્વારા લોકોને ગંદકી ન કરવા તેમજ કેનાલમાં કાચો ન નાખવા માટે પણ જાગૃત કરવામાં આવે.

ઘણી બધી સમસ્યાનો જાતે જો જાગૃત વ્યક્તિ ફરિયાદ કરે તો કોર્પોરેશનના અધિકારીઓ ગંભીરતાપૂર્વક ફરિયાદ લઈને તેનો નિકાલ કરતા હોય છે. લોકોએ પણ જાગૃત થઇને આ પ્રયાસ કરવા જોઈએ. અમદાવાદ ડેવલપમેન્ટ અેન્ડ સિટીઝન વેલ્ફેર ગ્રૂપના ડે. ચેરમેન સંતોષ મિશ્રાએ જણાવ્યું કે અમે થોડાં વર્ષ પહેલાં વસ્ત્રાલ વિસ્તારની સમસ્યા માટે વોટ્સએપ ગ્રૂપની રચના કરી હતી તે વખતે વધુ લોકો જોડાયા ન હતા, પરંતુ આજે ૧૦૦થી વધુ લોકો ગ્રૂપમાં જોડાયા છે અને રોજની ચારથી પાંચ ફરિયાદ વોટ્સએપ દ્વારા અધિકારીઓને મોકલીએ છીએ અને અધિકારીઓ ઝડપી નિકાલ પણ કરી દે છે. કોઈ ફરિયાદ અધિકારીઓ ન સાંભળે તો અમે ઉચ્ચ અધિકારી કે પછી પ્રધાન સુધી રજૂઆત કરીએ છીએ.

વસ્ત્રાલમાં રહેતા વિત્તલપરા વિનયે જણાવ્યું કે બે દિવસ પહેલાં મેં આંગણવાડીની બહાર ગંદકીના ફોટા વોટ્સએપ ગ્રૂપમાં મોકલ્યા હતા અને જે તે અધિકારીને મોકલાતાં તેમણે બીજા જ દિવસે સાફ-સફાઈ કરાવી દીધી હતી અને આ ગ્રૂપ દ્વારા ઘણી ફરિયાદનો તો વોટ્સએપથી અ‌િધકારીએ ઉકેલ લાવી દીધો હતો. લોકોએ પણ વોટ્સએપનો પોતાના વિસ્તારમાં સારી રીત ઉપયોગ કરવો જોઈએ.

(6:34 pm IST)