Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

દેશના વિકાસમાં કૃષિનો વિશેષ ફાળો છે : નીતિન પટેલનો મત

મહેસાણામાં ગ્રામ સ્વરાજ અભિયાન યોજાયો : મહેસાણા જિલ્લાના ખેડૂતો ડ્રીપ એરિગેશન ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અપનાવે તે આજના સમયની માંગ છે : પટેલ

અમદાવાદ,તા.૨ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ તાલુકાઓમાં કિસાન કલ્યાણ મહોત્સવ યોજાઈ રહ્યો છે. મહેસાણા જિલ્લો કૃષિ ઉત્પાદમાં મોખરે રહ્યો છે. જિલ્લામાં જીરૃ, વરીયાળી જેવા મસાલા પાકોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. મહેસાણા જિલ્લાના ખેડુતો ડ્રીપ ઈરીગેશન-ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અપનાવે તે આજના સમયની માંગ છે. મહેસાણા જિલ્લાના કિસાન કલ્યાણ મહોત્સવને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખુલ્લો મૂક્તાં કહ્યું કે, રાજ્યના ખેડુતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં ડબલ કરવાના હેતુસર રાજ્ય સરકાર આયોજીત આ કિસાન કલ્યાણ મહોત્સવમાં આધુનિક કૃષિ સહિત પશુપાલન સંબંધિત માહિતી ખેડુતો-પશુપાલકો મેળવીને સમૃદ્ધ ખેતી કરે એ જરૃરી છે. નાયબ મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના મહાઅભિયાન જળસંચયની માહિતી આપતાં કહ્યું કે, ૩૧ મે સુધી ચાલનારા આ અભિયાનમાં ખેડુતો-નાગરિકો જોતરાશે તો તેના પરિણામે મોટા પ્રમાણમાં જળસંચય થશે જેનો સીધો ફાયદો ખેડુતોને મળવાનો છે. સાંસદ જયશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં વર્ષોથી યોજાઈ રહેલા કૃષિ મહોત્સવની ખેડુતોના જીવનમાં આમુલ પરિવર્તન આવ્યું છે. ખેડુતો ખેતીમાં વૈવિધ્યતા લાવી ખેડુતોની ઉન્નતી થઈ છે. રાષ્ટ્રની ચોથા ભાગની આવક કૃષિ અને સંબંધિત ક્ષેત્રોમાંથી થાય છે. સરકારના પ્રયત્નો હમેશા કૃષિલક્ષી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી તેમજ મહાનુભાવો દ્વારા પ્રગતિશીલ ખેડુતોનું સન્માન તેમજ પથદર્શિકા પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ કૃષિ સંબંધિત સ્ટોલની મુલાકાત લઈ વિવિધ સુચનો કર્યા હતા. મહોત્સવમાં ખેડુતોની આવક બમણી કરવા અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન, વિવિધ વિભાગોની સહાયલક્ષી માહિતી, આઈ-ખેડુત પોર્ટલ સંબંધિત માહિતી, પ્રગતિશીલ ખેડુતોનું સન્માન, પશુપાલન સહિત કૃષિ સંબંધિત ક્ષેત્રોના વ્યવસાયોની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડુતો દ્વારા થયેલ કામોની માહિતી અન્ય ખેડુતો સમક્ષ મુકી જિલ્લાના ખેડુતોને પ્રોત્સાહિત કર્યા હતા.

(9:27 pm IST)