Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

હિંમતનગરના મોતીપુરામાં તસ્કરોએ હેડ કોન્સ્ટેબલના મકાનમાંથી 2.60 લાખની મતાનો હાથફેરો કર્યો

સાબરકાંઠા:જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના મોતીપુરા વિસ્તારની શારદાકુંજ સોસાયટીમાં આવેલ પોલીસ હેડ કોન્સ્ટેબલ કોદરભાઇ પરમારના બંધ મકાન ઉપર ગઇકાલે ધોળે દહાડે તસ્કર ટોળકી ત્રાટકી હતી. આ મકાનના બંધ દરવાજાનો નકુચો કોઇ વજનદાર હથિયારથી તોડી નાંખીને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. બપોરના બાર વાગ્યાથી સાડા ત્રણ વાગ્યા સુધીના ત્રણેક કલાકના સમયગાળા દરમ્યાન તસ્કરોએ તિજોરી તથા કબાટોના દરવાજા ખોલી નાંખીને રૂા. ૧૦ હજારની રોકડ રકમ તથા સોનાચાંદીના દાગીના વગેરે મળીને એકંદરે રૂા. ૨ લાખ ૬૦ હજારની મતાની આરામથી ચોરી કરી હતી. ત્યારબાદ તસ્કર ટોળકી ચોરીના મુદ્દામાલ સાથે ચૂપચાપ રવાના થઇ ગઇ હતી.
પોલીસ હેડ કોન્સ્ટેબલ કોદરભાઇ પરમારના પત્ની જશોદાબેન બપોરના સાડા ત્રણેક વાગ્યાના સુમારે તેમના નિવાસ સ્થાને પાછા ફર્યા ત્યારે તેમને ઘરમાં ચોરી થયાની જાણ થઇ હતી. આથી જશોદાબહેન કોદરભાઇ પરમારે હિંમતનગર '' ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્રે પણ ઘડીભર માટે આંચકો અનુભવ્યો હતો, ત્યારબાદ વરિષ્ઠ પોલીસ અધિકારી ઉપરાંત સ્થાનિક પોલીસ મથકના અધિકારી તેમની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમજ ફીંગર પ્રિન્ટ એક્સપર્ટ તથા ડૉગ સ્ક્વોડને બોલાવીને તસ્કર ટોળકીનું પગેરું શોધી કાઢવા કવાયત શરૂ કરી હતી.
 

(5:33 pm IST)