Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

પાલનપુરમાં ધૂળેટી પર્વની રજા બાદ માર્કેટીંગ યાર્ડ ખુલતાવેંત ડુંગળીના પુરતા ભાવ ન મળતા ખેડૂતો હેરાન-પરેશાન

બનાસકાંઠા: હોળીના તહેવારો બાદ પાલનપુર માર્કેટયાર્ડ ફરીથી શરૂ થતા ઘઉં ભરાવવા આવતા ખેડૂતોને ઘઉંના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. હોળીના તહેવારોમાં ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં મિની વેકેશન રાખતા તમામ માર્કેટયાર્ડ બંધ હતા. જોકે ગઈકાલથી તમામ માર્કેટયાર્ડ સહિત પાલનપુર માર્કેટયાર્ડ ફરીથી રાબેતા મુજબ ચાલુ થતાં પાલનપુર માર્કેટયાર્ડમાં ઘઉંની આવક શરૂ થઈ છે અને પાલનપુર માર્કેટયાર્ડમાં 1200 બોરીની આસપાસ ઘઉંની આવક નોંધાઈ છે અને ખેડૂતોને ઘઉંના મણે 325થી 420 રૂપિયા આસપાસના ભાવ મળી રહ્યા છે.

ઘઉં લઈને આવેલા ખેડૂતો નિરાશ થયા

રાજ્યના તમામ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડીંગ હોવાથી સાત દિવસથી રજા હતી. ત્યારે આજથી માર્કેટિંગ યાર્ડ ફરી શરૂ થયા છે. પાલનપુર માર્કેટ યાર્ડના કર્મચારી કેશરભાઈ પટેલે જણાવ્યું કે, ઘઉંની ખરીદી શરૂ થઈ છે અને ખેડૂતોને મણે 325થી 420 રૂપિયા આસપાસ ભાવ મળી રહ્યા છે. માર્કેટયાર્ડમાં અત્યાર સુધી 1200 બોરી આસપાસ આવક નોંધાઈ છે. માર્કેટયાર્ડ ફરીથી ધમધમતા થતાં ખેડૂતો પોતાના ઘઉં વેચવા માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે. જોકે માર્કેટયાર્ડમાં ખેડૂતોને મણે 325 થી 420 રૂપિયાના જ ભાવ મળતાં હોવાથી ખેડૂતોના નારાજગી જોવા મળી રહી છે. જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે અન્ય સેન્ટરોની જેમ પાલનપુરમાં પણ ટેકાના ભાવે ઘઉંની ખરીદી થવી જોઈએ. જેથી ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે.

ખેડૂતોની માંગમી, સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરે

માર્કેટ યાર્ડમાં આવેલ ખેડૂત રામજીભાઈ ચોધરીએ જણાવ્યું કે, હું ઘઉં ભરાવવા આવ્યો છું, પણ પૂરતા ભાવ જ નથી. તો અન્ય ખેડૂત પ્રવીણભાઈ જુડાળે જણાવ્યું કે, હાલ જે ઘઉંના ભાવ છે તે ખૂબ જ ઓછા છે. જેથી ખેડૂતોને કંઈ મળતર રહેતું નથી. સરકારે પાલનપુરમાં પણ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવી જોઈએ. આજે હોળીના મિની વેકેશન બાદ ફરીથી માર્કેટયાર્ડ ધમધમતા થયા છે. ઉલ્લેખનીય છે કે જે સેન્ટર ઉપર ઘઉંની વધારે આવક હોય ત્યાં સરકાર દ્વારા ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરાઈ રહી છે. પરંતુ પાલનપુર સેન્ટરમાં ઘઉંની આવક ઓછી હોવાથી અહીં ટેકાના ભાવે ખરીદી ન થતી હોવાથી ખેડૂતો ઓછા ભાવે પોતાના ઘઉં વેચવા મજબૂર બન્યા છે. જેથી ખેડૂતો માંગ કરી રહ્યાં છે કે, પાલનપુરમાં ટેકાના ભાવે ઘઉં ખરીદવામાં આવે.

જેતપુર યાર્ડમાં પણ ડુંગળીના યોગ્ય ભાવ ન મળ્યાં

જેતપુર માર્કેટિંગ યાર્ડની જો વાત કરવામાં આવે તો તમામ જણસીની પુષ્કળ આવક જોવા મળી હતી. તો સાથે ડુંગળીની પણ આવક થઈ હતી. લાલ ડુંગળીના 20 કિલોના 180 રૂપિયા, તો સફેદ ડુંગળીના 20 કિલોના 190 રૂપિયા સુધી ભાવ બોલાયા હતા. ત્યારે, ખેડૂતોએ મોંઘાદાટ બિયારણનો ઉપયોગ કરીને ડુંગળીનું વાવેતર કર્યું હતું. પરંતુ સામે ડુંગળીના ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા. ખેડૂતોને ખેતરમાં કરેલ મજૂરીનો ખર્ચ પણ નીકળે એમ નથી એટલા ભાવો ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવો મળી રહ્યા છે. ખેતરેથી માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી લઈને આવવું તે પણ ખેડૂતોને પોસાય તેમ નથી. સરકાર ડુંગળીની નિકાસ કરે, અથવા ડુંગળીની ખરીદી કરે તેવી ખેડૂતોએ માંગ કરી હતી. ત્યારે ખેડૂતોને પોષણસમ ભાવો નથી મળી રહ્યા તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.

(5:06 pm IST)