Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

દિલ્હીમાં યોજાયેલ તબલિગી જમાતના કાર્યક્રમમાં હાજરી આપનારા વલસાડ જીલ્લાના ૨૪ લોકો પરત ફર્યાઃ ૧૪ની શોધખોળઃ અન્ય લોકોને ચેપ ન લાગે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી

વલસાડ: દિલ્હીમાં યોજાયેલ નિઝામુદીન ખાતેના તબલિગી જમાતના કાર્યક્રમે કેન્દ્ર સરકારની સાથે વિવિધ રાજ્યોની સરકારની ઊંઘ ઉડાવી દીધી છે. દેશમાં હાહાકાર મચાવનારી આ ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત નિપજ્યા છે. તેમજ 450થી વધુ લોકોનો કોરોના (Corona virus) ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સમગ્ર દેશમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો છે. ત્યારે હાલ સરકાર આ કાર્યક્રમમાં હાજરી આપનારા લોકોને શોધી રહી છે. આ લોકો અન્ય લોકોને ચેપ ન લગાડે તેની કામગીરી યુદ્ધધોરણે ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાંથી પણ કેટલાક લોકો આ કાર્યક્રમમાં ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે તંત્ર આવા લોકોને શોધવા માટે એલર્ટ મોડ પર આવી ગયું  છે. વલસાડમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

વલસાડમાં 39માંથી 24 લોકો પરત આવ્યા

વલસાડ જિલ્લમાંથી પણ મોટી સંખ્યામાં નિજામુદ્દીન મરકજ પર ગયા હતા. કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા 39માંથી 24 લોકો વલસાડ જિલ્લામાં પરત આવ્યા છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસ તેમજ તંત્ર તપાસમાં જોતરાઈ ગઈ છે. વલસાડ જિલ્લામાં અલગ અલગ વિસ્તારના આ તમામ લોકો છે. તમામની ચકાસણી બાદ ખબર પડશે કે કેટલાને કોરોનાના લક્ષણ છે. હાલ ટીમો આ લોકોના એડ્રેસ મેળવીને તેઓને શોધવા માટે કામે લાગી ગયા છે. સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના પણ લોકોનો સમાવેશ થાય છે. જેમાં દાદરાનગર હવેલીના 6 લોકો અને દમણના 3 લોકોનો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લાના માત્ર 10 લોકોના સંપર્ક શક્ય બન્યા છે. 15 જેટલા લોકો હજી રાજ્ય બહાર છે. તો 14 લોકો હજી તંત્રની પહોંચ બહાર છે.

સુરતમાંથી 73 લોકોએ હાજરી આપી

સુરતથી મરકઝના ધાર્મિક પ્રસંગમાં 73 લોકો ગયા હોવાની માહિતી મનપા અને પોલીસને મળી છે. ત્યારે આ તમામ લોકોની મસ્જિદોમાં જઇ ઓળખ કરાઈ છે. તમામની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. એસઓજી, પીસીબી તથા અન્ય પોલીસે શોધખોળ હાથ ધરી છે. તમામ લોકોને કોરેન્ટાઈલ વોર્ડમાં ખસેડાશે. જેથી અન્ય લોકો તેમના ઝપેટમાં ન આવે.

કચ્છમાં પણ શોધખોળ શરૂ

મરકઝ કાર્યક્રમમાં કચ્છમાંથી કોઈ ગયું હતું કે કેમ એ અંગે કચ્છ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. દિલ્હીના કાર્યક્રમને પગલે દેશની સાથેસાથ હવે કચ્છમાં પણ દોડધામ વધી ગઈ છે. મુસ્લિમ સમાજના મરકઝ ધાર્મિક મેળાવડામાં કચ્છ ગુજરાતમાં પણ કેટલાક સભ્યો ભાગ લીધો હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. કોરોના મહામારી વચ્ચે તપાસમાં નવા ફણગાની શકયતા છે. લોકોએ ભાગ લીધો હોવાની વિગતો બહાર આવતા સુરક્ષા એજન્સી અને આરોગ્યતંત્ર ચિંતામાં આવી ગયું છે.

વડોદરામાંથી 4 લોકોની ઓળખ

વડોદરામાંથી મરકઝના ધાર્મિક પ્રસંગમાં લોકો ગયા હોવાની માહિતી વડોદરા પોલીસને માહિતી મળી છે. તબલીગ જમાતના કાર્યક્રમમાં ગયેલાઓની શોધખોળ શરૂ કરાઈ છે. અત્યાર સુધી 4 લોકો ગયા હોવાની માહિતી પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતને મળ છે. પોલીસ કમિશનરે આદેશ કર્યો કે, જમાતમાં ગયેલા લોકો હોસ્પિટલમાં પહોંચી સ્વૈચ્છિક સ્ક્રિનિંગ કરાવે. પોલીસ આવા લોકોને શોધશે અને ગુનો દાખલ કરાશે. વડોદરાથી હૈદરાબાદ, સોનીપત અને હરિયાણા જમાત ગઈ હોવાની પોલીસને માહિતી મળી છે.

(5:48 pm IST)