Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

ગુજરાતમાં આજે સવારથી બપોર સુધીમાં ૫ લાખ પરિવારોને સરકારી અનાજ વિતરણ

ગઇકાલે એક જ દિવસમાં ૧૦.૨૨ લાખ રેશનકાર્ડ ધારકોને ચીજવસ્તુઓ અપાયેલ : ગઇકાલની અફડાતફડી બાદ આજે મહાનગરોમાં કોર્પોરેશનને જવાબદારી

રાજકોટ તા. ૨ : રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિને અનુલક્ષીને ગરીબ રેશનકાર્ડ ધારકોને એપ્રીલમાં ઘઉં, ચોખા, ખાંડ વગેરે વિનામૂલ્યે આપવાનું જાહેર કરેલ. તે મુજબ ગઇકાલથી વિતરણનો પ્રારંભ થયો છે. ગઇકાલે પ્રથમ દિવસે રાજકોટ - અમદાવાદ જેવા શહેરોમાં ભારે ગીર્દી સાથે અફડાતફડી થતાં મુખ્યમંત્રીએ તાત્કાલિક મહાનગરની વિતરણ વ્યવસ્થા માટે જે તે મ્યુનિ. કોર્પોરેશનના સ્ટાફને કામે લાગવા સૂચના આપી છે. પ્રથમ દિવસના અમુક શહેરોના અનુભવથી મુખ્યમંત્રીએ કોર્પોરેશનના અમુક અધિકારીઓને ટપાર્યા હતા. આજથી રેશનકાર્ડની દુકાનો પર રાશન વિતરણમાં કોર્પોરેશનના સ્ટાફની પણ ભૂમિકા રહેશે. પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. આજે સવારે ૮ થી બપોરે ૨ વાગ્યા સુધીમાં પાંચ લાખ જેટલા પરિવારોને રાશન વિતરણ થઇ ગયું છે. વિતરણ વ્યવસ્થા થાળે પડી રહી છે.

ગઇકાલે પ્રથમ દિવસે સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી સસ્તા અનાજની દુકાનો ખુલ્લી રખાયેલ. ગઇકાલે રાત સુધીમાં ૧૦.૨૨ લાખ રેશનકાર્ડ ધારકોને મળવા પાત્ર જથ્થો આપી દેવાયાનું સરકારે જાહેર કરેલ છે. કુલ ૬૩ લાખ જેટલા પરિવારોને મફત અનાજ આપવાનું આયોજન છે. ગઇકાલના ૧૦.૨૨ લાખ અને આજે બપોર સુધીના ૫ લાખ મળી કુલ ૧૫ લાખથી વધુ પરિવારોને મળવા પાત્ર ચીજવસ્તુઓ મળી ગઇ છે. રાત સુધીમાં કુલ આંકડો ૨૦ લાખે પહોંચે તેવી ધારણા છે. ગાંધીનગરથી વિતરણ વ્યવસ્થા પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

(3:48 pm IST)