Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

રાજ્યના જરૂરતમંદ અનાથ-વિધવા માતાના સંતાનો-દિવ્યાંગો-લશ્કર-પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે રૂ. પાંચ લાખની સહાય સરકાર આપશે : વિજયભાઇ રૂપાણી

રાજ્યના શિક્ષણ વિભાગ યોજિત ત્રિદિવસીય ગ્રાન્ડ એજ્યુકેશન ફેરનો :પ્રારંભ કરાવતા શ્રી વિજયભાઇ રૂપાણી : ૮૪ હજાર યુવાછાત્રોએ કરાવ્યું રજીસ્ટ્રેશન

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના જરૂરતમંદ હોનહાર વિદ્યાર્થીઓ-યુવાઓને આર્થિક સ્થિતી-નાણાંના અભાવે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહેવું પડે તે માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

         આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, જરૂરતમંદ અનાથ બાળકો, યુવાઓ વિધવા માતાના સંતાનો, દિવ્યાંગો તેમજ સેના-પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે વધુમાં વધુ રૂ. પાંચ લાખની સહાય રાજ્ય સરકાર આપશે. આવાં રપ૦૦ જેટલા વિદ્યાર્થીઓને તેનો પ્રતિ વર્ષ લાભ મળશે તેમ તેમણે જાહેર કર્યુ હતું.

         મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે રાજ્યના શિક્ષણ વિભાગ આયોજીત  ગ્રાન્ડ એજ્યુકેશન ફેરનો પ્રારંભ કરાવ્યો હતો.

         આ ત્રિદિવસીય ફેરમાં ૮૪ હજાર ઉપરાંત યુવા વિદ્યાર્થીઓ કારકીર્દી ઘડતર વિષયક માર્ગદર્શન મેળવશે.

         શ્રી વિજયભાઇ રૂપાણીએ આ એજ્યુકેશન ફેરને ડેમોગ્રાફીક ડીવીડન્ડ સમી યુવાશકિત માટે શિક્ષણ-કારકીર્દી ઘડતરનું સમૂદ્ર મહામંથન અવસર ગણાવ્યો હતો.

         તેમણે કહ્યું કે, કારકીર્દી નિર્માણનો મહત્વનો સ્તંભ શિક્ષણ છે અને ૧૦માં ૧રમાં ધોરણથી જ આજનો યુવાન કારકીર્દી વિશે ગંભીરતાથી વિચારતો થઇ ગયો છે. વાલીઓની પણ જે સમયાનુકુલ ચિંતા પોતાના સંતાનના ભવિષ્યની કારકીર્દીની છે તેમાં રાજ્ય સરકાર આવા એજ્યુકેશન ફેર યોજીને પૂરક બનીને ઊભી છે. 

         મુખ્યમંત્રીશ્રીએ ‘‘C ફોર કોલેજ સાથે હવે C ફોર કેરિયરનો સમય પણ છે’’ તેની પ્રેરણા આપતાં કહ્યું કે, યુવાશકિતમાં સ્કીલ-વીલ-ઝિલ ત્રણેય પડેલા છે તેને યોગ્ય દિશાદર્શન આપી મંઝિલ સુધી પહોચાડવાનું કામ આવા ફેર થકી સરકાર કરી રહી છે.

         શ્રી વિજયભાઇ રૂપાણીએ યુવાશકિતને વૈશ્વિકરણ અને સ્પર્ધાત્મકતાના આ યુગમાં આધુનિક પ્રવાહો-સ્કીલ ડેવલપમેન્ટ અને ઇનોવેશન્સ સાથે કદમ મિલાવવાની આવશ્યકતા સમજાવી હતી.

         તેમણે ગુજરાતના યુવા વિદ્યાર્થીઓને આવડત-કૌશલ્ય જ્ઞાનનો વિશ્વામિત્ર બની પોતાના જ્ઞાન સામર્થ્યથી વિશ્વ મિત્ર બનવા કમર કસે તેવું પ્રેરણા આહવાન કર્યું હતું.

         મુખ્યમંત્રીશ્રીએ યુવાશકિત માટે જ્ઞાન-સંપદાના અનેક અવસરોને સ્કાય ઇઝ ધ લિમીટ ગણાવતાં ઉમેર્યુ કે ‘‘ટિચીંગ હેઝ લિમીટ-લર્નિંગ હેઝ નોટ’’ શિક્ષણની મર્યાદા હોય છે પરંતુ શીખવાની કોઇ મર્યાદા નથી. 

         તેમણે યુવા પેઢીને મેડીકલ, ઇજનેરી, પેરા મેડીકલ જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં સેલ્ફ ફાયનાન્સ ઇન્સ્ટીટયુટની ફીમાં જરૂરતમંદ યુવાનોની ૫૦ ટકા ફી રાજ્ય સરકાર મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તહેત આપે છે તેની વિશેષતા આપતાં ઉમેર્યુ કે રાજ્ય સરકાર દર વર્ષ આ માટે અંદાજે રૂ. ૮૦૦ કરોડ રૂપિયાની સહાય પૂરી પાડે છે.

         મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નયા ભારતા નિર્માણ માટે યુવાશકિતના ભરોસે જે સંકલ્પ કર્યો છે તેને પાર પાડવા અને ભારત માતાને વિશ્વગુરૂ બનાવવા રાજ્યની યુવાશકિત કારકીર્દી ઘડતર, ઉચ્ચ શિક્ષણથી રાષ્ટ્રનિર્માણમાં પ્રેરિત થાય તેવો અનુરોધ કર્યો હતો.  

         આ ઉદ્ધાટન સમારંભમાં મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોનાં હસ્તે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને ગુજરાત ટેનોકલોજીકલ યુનિવર્સિટીનાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન અંગેનાં ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. નેટ-સ્લેટમાં એવોર્ડ વિજેતાઓને પણ મહાનુભાવોનાં હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતાં.

         શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ શિક્ષણની વ્યાખ્યા કરતાં જણાવ્યું કે, શિક્ષણ એ લાંબી અને ધીમી પ્રક્રિયા છે. ગુજરાતને શિક્ષણમાં સતત સાતત્યપૂર્ણ વિકાસ માટે પ્રયત્નો કર્યા છે જેને લઇને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે તેનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો.

         આ ફેરમાં ૮૪ હજાર વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે. સેમિનાર માટે ૯ હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે તે આ ફેરની ગ્રાન્ડ નહીં ગ્રાન્ડ સકસેસ બતાવે છે તેમ જણાવી તેમણે ફ્રેન્કલીન રૂઝવેલ્ટને ટાંકીને ગુજરાતમાં યુવાનો માટે ભવિષ્ય નહીં, પણ ભવિષ્ય માટે યુવાનોનાં નિર્માણની નેમ વ્યક્ત કરી હતી.

         રાજ્ય સરકાર વાલીઓની પણ વાલી છે. તેમ જણાવી તેમણે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાં યુનિવર્સિટીઓ- યુનિવર્સિટીઓ વચ્ચે પ્રાદેશિક, રાષ્ટ્રીય સ્પર્ધા કરવાં આહવાન કર્યું હતું.

         વેદથી લઇ વેબ સુધી - અમે ભણીશું છેક સુધી, ભણી-ગણીને એક બનીશું- અમે હંમેશા નેક બનીશું અંગે સંકલ્પબધ્ધ થવાં વિદ્યાર્થીઓને તેમણે અનુરોધ કર્યો હતો.

         ઉચ્ચ શિક્ષણનાં અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માએ જણાવ્યું કે ગત વર્ષે શરૂ કરેલ આ એજ્યુકેશન ફેરને સફળતા મળતાં ચાલુ વર્ષે પણ આ ફેરનું આયોજન કર્યું છે. અન્ય યુનિવર્સિટીઓ કે વિદેશમાં અભ્યાસ કરવાં જવાં માંગતા વિદ્યાર્થીઓને આ ફેરમાંથી આગળનાં અભ્યાસ માટેની જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહેશે.

         ઉલ્લેખનીય છે કે, આ એજ્યેકશન ફેરમાં ગુજરાતની ૪૪ યુનિવર્સિટીઓનાં ૫૫ સ્ટોલ, ઉચ્ચ અને ટેકનીકલની ૫૮ કોલેજોનાં ૬૪ સ્ટોલ, પ્રાઇવેટ ફોરેન કન્સલ્ટન્ટનાં ૧૧ સ્ટોલ, ફોરેન કાઉન્સીલનાં ૨ સ્ટોલ, બેંકનાં ૪ સ્ટોલ, અન્ય સંસ્થાઓનાં ૧૭ સ્ટોલ અને ૮ ફુડ સ્ટોલનું આયોજન અને ૮ ફુડ સ્ટોલનું આયોજન કરવામાં  આવ્યું છે.

         આ અવસરે રાજય કક્ષાનાં શિક્ષણ મંત્રીશ્રી  શ્રીમતી વિભાવરીબેન દવે, ધારાસભ્યશ્રી, રાકેશભાઇ શાહ, ટેકનીકલ શિક્ષણનાં કાર્યકારી નિયામક શ્રીમતી સંધ્યા ભુલ્લર ઉચ્ચ શિક્ષણ નિયામકશ્રી પટેલ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં ચેરમેન શ્રીમતી ભાવનાબેન દવે, ગુજ.યુનિવર્સીટીના કુલપતિ  શ્રી હિમાંશુભાઇ પંડ્યા, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ  શ્રી નવીનચંદ્ર શેઠ, કે.સી.જી.ના એડવાઈઝર શ્રી પ્રો. એ.યુ.પટેલ, વિવિધ યુનિવર્સિટીઓનાં કુલપતિશ્રીઓ, કોલેજ આચાર્યશ્રીઓ, શિક્ષણ વિદો, પ્રાધ્યાપકો, વાલીઓ તથા વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.  

(7:29 pm IST)