Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

વડોદરામાં વિશ્વામિત્રી અને મકરપુરા રેલવે સ્ટેશન વચ્ચે અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી મહિલાએ જીવન ટૂંકાવ્યું

વડોદરા:વિશ્વામિત્રી અને મકરપુરા રેલવે સ્ટેશન વચ્ચે આજે બપોરે એક ટ્રેન નીચે પડતું મૂકી મહિલાએ આપઘાત કરતા પોલીસે મહિલાની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

આ અંગેની વિગત એવી છે કે મુંબઇ તરફથી આવતી મુજફ્ફરપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન મકરપુરા રેલવે સ્ટેશન ક્રોસ કરી વડોદરા તરફ જતી હતી ત્યારે બપોરે એક વાગ્યાના સુમારે આ ટ્રેન નીચે ઝંપલાવીને એક મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી. ટ્રેનના ડ્રાઇવર દ્વારા આ અંગે સંદેશો આપતા રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ટ્રેન નીચે પડતું મૂકવાના કારણે મહિલાના શરીરના ટૂકડા થઇ ગયા હતાં.

આશરે ૪૨ વર્ષની મહિલાએ જમણા હાથ પર ગુજરાતીમાં જય માતાજી ત્રોફરાવેલ છે તેમજ શરીર પર કાળા રંગનો કુરતો અને સફેદ લેગીસ પહેરી હતી. ટ્રેન નીચે આપઘાત કરનાર મહિલા સ્થાનિક હોવાનું પોલીસ માની રહી છે. જો કે ક્યાં કારણોસર મહિલાએ આત્મઘાતી પગલું ભર્યુ તે તેની ઓળખ થયા બાદ જ ખબર પડશે.

(5:42 pm IST)