Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ગુજરાતમાં પણ કોરોના વેકસીનનું આયોજનબધ્ધ વિતરણ કરાશે : રૂપાણી

ગુજરાતનાં શહેરો વિશ્વના આધુનિક શહેરોની સમકક્ષ બને તે માટે રાજ્ય સરકારે શહેરોનાં સર્વાંગી વિકાસ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ ઉભી કરી છે : કોરોના કાળમાં પણ ૧૫ હજાર કરોડનાં વિકાસ કામોની ભેટ ગુજરાતની જનતાને આપી

જ્યાં માનવી ત્યાં સુવિધાના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે : જનતા જનાર્દનના સહકારથી કોરોના સંક્રમણને નિયંત્રિત કરવામાં આપણે સફળ રહ્યા છીએઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશમાં કોરોના સામે રક્ષણ માટે ઝડપથી વેકસીન પ્રાપ્ત થાય તેવા સતત પ્રયાસો કરી રહ્યા છે : મુખ્યમંત્રીના હસ્તે વડોદરા  મહાનગરપાલિકાના દ્વારા શહેરીજનોની જનસુવિધા-જનસુખાકારીમાં જનસુવિધા-જનસુખાકારીમાં વધારો : રૂ. ૩૪૪.૪૫ કરોડના વિવિધ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-શુભારંભ :  વડોદરાનાં લોકો માટે વિવિધ વિકાસ કાર્યોનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઇ-લોકાર્પણ -ખાતમુહૂર્ત કર્યું હતુ જે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ,તા. ૨: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતના શહેરો વિશ્વના આધુનિક શહેરોની સમકક્ષ બને તે માટે રાજય સરકારે શહેરોના સર્વાંગી વિકાસ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ વ્યાપક પ્રમાણમાં ઉભી કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, જયાં માનવી ત્યાં સુવિધાના ધ્યેય મંત્ર સાથે રાજય સરકાર આગળ વધી રહી છે અને શહેરોમાં લોકોને મજબૂત અને પાકા સસ્તા આવાસ લાઈટ પાણી સહિતની બધી જ સુવિધાઓ સરળતાથી મળે તે માટે પ્રતિબદ્ઘ છે

. કોરોનાના કપરાકાળમાં પણ વિકાસ ની ગતિ અટકી નથી અને રાજય સરકારે રૂ. ૧૫ હજાર કરોડના વિકાસના કામોની ભેટ ગુજરાતની જનતાને ધરી છે એમ પણ તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે ગાંધીનગરથી વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીની ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની જનસુખાકારી અને જનસુવિધાઓ અને પ્રાથમિક સુવિધાઓ સાથે અન્ય વિકાસના કામો તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના રૂ. ૩૪૪.૪૫કરોડના ખર્ચે વિવિધ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-શુભારંભ કરાવ્યો હતો.

આ અવસરે નર્મદા વિકાસ રાજયમંત્રીશ્રી યોગેશભાઇ પટેલ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ વડોદરાથી જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું કે, કોરોનાના કપરા કાળમાં જનતા-જનાર્દનના સહકારથી કોરોના સંક્રમણને નિયંત્રિત કરવામાં આપણે સફળ રહ્યા છીએ. કોરોના સંક્રમિતોને સારામાં સારી સારવાર મળી રહે તેની રાજય સરકારે સતત ચિંતા કરી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દેશમાં કોરોના સામે રક્ષણ માટે ઝડપથી વેકસીન પ્રાપ્ત થાય તેવા સતત પ્રયાસો કરી રહ્યા છે એમ જણાવતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું કે, ગુજરાત પણ કોરોના વેકસીનના અસરકારક ડીસ્ટ્રીબ્યુશન માટે ધ્યાન કેન્દ્રિત કરી જરૂરિયાતમંદો સુધી વેકસીન પહોંચે તે દિશામાં આયોજનબધ્ધ રીતે આગળ વધી રહ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં વિકાસ કામોમાં અનેક અવરોધો-રૂકાવટો આવતી હતી. પરંતુ પ્રવર્તમાન શાસનમાં પ્રજાના પરસેવાના એક એક પૈસાનો સદઉપયોગ થઇ રહ્યો છે, એટલું જ નહીં ભૂતકાળના શાસનમાં ખાતમુહૂર્તના નામે પથરા મુકાતા, પરંતુ વિકાસ કામો આગળ વધતા નહોતા. અમારી સરકાર જે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરે છે તેનું સમયબધ્ધ રીતે આયોજન કરી સમયમર્યાદામાં કામો પૂર્ણ કરી તેનું ઉદઘાટના પણ અમે કરીએ છીએ.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડોદરા શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં મહાનગરપાલિકાએ હરણફાળ વિકાસ કર્યો છે. એટલું જ નહીં કોરોના કાળમાં પણ શહેરની વિકાસ પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવી શહેરીજનોની સુખાકારીમાં વધારો કરતા અનેકવિધ કાર્યો કરવા બદલ તેમણે મહાનગરપાલિકાની ટીમને અભિનંદન આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ સૌના સાથ સૌના વિકાસ મંત્ર સાથે માત્ર વિકાસ એજ આપણો ધ્યેય મંત્ર સાથે કામ કરવા અનુરોધ કર્યો હતો.

વડોદરા શહેરમાં રૂ. ૩૪૪ કરોડના વિકાસ કામોની ભેટ મળતાં સાંસ્કૃતિક નગરી વડોદરાને નવી ઓળખ મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.પ્રારંભમાં મેયર ડો. જિગિષાબેન શેઠે સૌનો આવકાર કર્યો હતો. અંતમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી પી.સ્વરૂપે આભારવિધિ કરી હતી.

આ અવસરે ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ મહેતા, સીમાબેન મોહિલે, પૂર્વમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ લાખાવાલા, અગ્રણી ડો. વિજયભાઇ શાહ, ડેપ્યુટી મેયરશ્રી જીવરાજ ચૌહાણ, વિવિધ સમિતિના અધ્યક્ષો સહિત નગરસેવકો હાજર રહ્યા હતા.

(2:46 pm IST)