Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

નિત્યાનંદ કેસમાં બંને બહેનો માટે લુકઆઉટ નોટિસ જારી

ઇન્ટરપોલ બ્લુકોર્નર નોટિસની પણ પ્રક્રિયા શરૂ : જોરદાર હોબાળો થયા બાદથી હિરાપુર ખાતે આશ્રમમાંથી કેટલાક લોકો નિકળી રહ્યા છે : નિત્યાનંદ પોતે હજુ પલાયન

અમદાવાદ, તા. ૧ : અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા નિત્યાનંદ આશ્રમ મામલામાં ઉંડી તપાસનો દોર યથાવતરીતે જારી રહ્યો છે. ઇન્ટરપોલ બ્લુકોર્નર નોટિસ પણ આ મામલામાં જારી થઇ ચુકી છે. કહેવાતા ગોડમેન નિત્યાનંદના સાથીઓ દ્વારા બે બહેનોને બળજબરીથી બાનમાં રાખવાના મામલામાં ઉંડી તપાસ ચાલી રહી છે. નિત્યાનંદ પોતે હાલ ફરાર છે. તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે જેમાં બે બહેનોને બળજબરીપૂર્વક બાનમાં રાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડિસ્ટ્રીક્ટ પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે, બ્લુકોર્નર નોટિસ પ્રક્રિયા ઉપરાંત તેમના તરફથી દેશભરમાં તમામ એરપોર્ટ ખાતે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. આ બંને બહેનો માટે લુકઆઉટ નોટિસ જારી કરાઈ છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, બ્લુકોર્નર નોટિસ એવા લોકો સામે જારી કરવામાં આવે છે જે લોકોની પોલીસને તલાસ હોય છે. આરોપી સામે આ નોટિસ જારી કરાતી નથી પરંતુ પીડિતો અથવા તો સાક્ષીઓ માટે આ પ્રકારની નોટિસ જારી કરવામાં આવે છે. અરજી સીઆઈડી ક્રાઈમ મારફતે મોકલી દેવામાં આવી છે.

               સીઆઈડી ક્રાઈમ દ્વારા આ અરજીને ત્યારબાદ સીબીઆઈને આપવામાં આવશે અને ત્યારબાદ વિદેશ મંત્રાલય મારફતે ઇન્ટરપોલ સુધી આ અરજી પહોંચશે. જિલ્લા શિક્ષણાધિકારી (ગ્રામ્ય) આરઆર વ્યાસનું કહેવું છે કે, તમામ પ્રક્રિયા ચાલી રહી છે. વધુને વધુ માહિતી મેળવવાના પ્રયાસ થઇ રહ્યા છે. શનિવારના દિવસે તલાટી સંબંધિત નિવેદન લેવામાં આવ્યા હતા. રેવેન્યુ ડિપાર્ટમેન્ટની મદદથી વધુ તપાસ કરવામાં આવનાર છે. ડીપીએસ ગ્રામ્ય સમીર શારદાએ કહ્યું છે કે, તેઓ બનાવટી એનઓસીની મૂળ કોપી પણ ફોરેન્સિક તપાસ માટે મોકલી ચુક્યા છે. હિરાપુરમાં આશ્રમમાં નિવાસીઓએ પણ અન્ય જવાની શરૂઆત કરી દીધી છે. ત્રણ નિવાસી પહેલા નિકળી ગયા હતા અને હવે અન્યો પણ નિકળી રહ્યા છે.

(9:37 pm IST)