Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ખેડૂતો બે-બે ગાયો પાળે તો ફરી કરોડો ગોવંશ થઈ જશે

બંસીગીર ગૌશાળામાં અનોખુ જીવદયાપ્રેમી સંમેલન : ગાયોની સંભાળથી લઇ તેના સંવર્ધન સહિતની ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન અપાયા : નિષ્ણાતો હાજર રહ્યા

અમદાવાદ, તા.૧: રાષ્ટ્રીય સેવા સંસ્થા સમસ્ત મહાજન દ્વારા અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે પર શાંતિપુરા ચોકડી પાસે આવેલ બંસીગીર ગૌશાળા ખાતે એક અનોખુ જીવદયાપ્રેમી સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ૪પ૦થી પણ વધુ જીવદયાપ્રેમીઓએ ઉપસ્થિત રહી ગોશાળાનાં પ્રવેશદ્વારથી લઈ એની આંતરિક રચના, ગાયોની સાર-સંભાળ, દૂધ દોહવાની રીત, પંચગવ્યથી ઉત્કૃષ્ટ ઉત્પાદનો બનાવવા અને વેચવા માટેની પદ્ધતિ, ગોપાલન પોષણ અને સંરક્ષણ તેમજ વિભિન્ન વિષયો અંગે બહુ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવ્યા હતા. આ અનોખા જીવદયા સંમેલનમાં જીવદયા પ્રેમીઓને સંબોધતાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે, જો સૌ ખેડૂતો બે-બે ગાયોનું પાલન પોષણ કરવા લાગે તો દેશમાં એકવાર ફરીથી કરોડો ગોવંશ થઈ જશે જેમકે આઝાદી પહેલાં હતું. ગાયને હિન્દુ ધર્મમાં અને શાસ્ત્રોમાં પણ માતા તરીકે વર્ણવવામાં આવી છે ત્યારે ગૌવંશનું જનત અને રક્ષણ આપણા સૌકોઇની નૈતિક ફરજ અને જવાબદારી બને છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગાયોના સંવર્ધન, જતન અને રક્ષણ માટે ગૌશાળા શ્રેષ્ઠ માધ્યમ છે પરંતુ તેમાં જનતાએ પણ ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકો પણ હકારાત્મક અને રચનાત્મક લોકભાગીદારી કેળવવી પડશે તો આ સમસ્યા આસાનીથી હલ થઇ શકશે. બંસીગીર ગૌશાળાની મુલાકાત સંમેલનમાં આવેલ જીવદયાપ્રેમીઓ માટે હંમેશા યાદગાર બની રહેશે. આ ગૌશાળાનું મેનેજમેન્ટ અપ્રતિમ છે. અહીં ગાયોની સાર-સંભાળની સાથે સાથે દેશી નસ્લની ગાયોનું સંવર્ધન કરવામાં આવે છે. શ્રેષ્ઠ ગૌશાળા એને કહેવાય જ્યાં ગૌમાતાનું ખ્યાલ, દૂધ ઉત્પાદન, દેશી ગાયોથી લાભ વગેરે મુદ્દાઓ ઉપર તેમણે ચર્ચા કરી નબળી ગૌશાળાનાં વિકાસ માટે આર્થિક આયોજન અને સહયોગ ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. આ સંમેલનમાં બંસીગીર ગૌશાળાનાં પ્રમુખ સંચાલકશ્રી ગોપાલભાઈ સુતરીયાએ જણાવ્યું હતું કે, દેશમાં શ્રેષ્ઠ કક્ષાની ગૌશાળાઓના નિર્માણ માટે સુનિયોજીત આયોજન સાથે આ દિશામાં ગૌશાળા સાથે જોડાયેલા આપણે સૌએ ભેગા મળીને કામ કરવું પડશે. આ સંમેલનના અંતે ગૌ તજજ્ઞો અને નિષ્ણાંતો દ્વારા ગૌસેવા પ્રતિનિધિઓ અને જીવદયાપ્રેમીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ યોજાયો હતો અને આર્થિક અને નબળી ગૌશાળાઓને પગભર કરવા ગૌશાળાના સંચાલકોને આર્થિક સહાયરૂપે સમસ્ત મહાજન સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અને ભારતીય પશુ કલ્યાણ બોર્ડના સદસ્યશ્રી ગીરીશભાઈ શાહના વરદ્ હસ્તે ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ગૌવંશના સંવર્ધન, જતન અને રક્ષણના ઉમદા આશય સાથે બંસીગીરી ગૌશાળા દ્વારા યોજાયેલું આ પ્રેરણારૂપ અને માર્ગદર્શક  આ અનોખુ જીવદયા સંમેલન સાચા અર્થમાં નોંધનીય બની રહ્યું હતું.

(10:11 pm IST)