Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ગુજરાતમાં બિહારી યુવાનોને વિકાસમાં જોડાવવા અનુરોધ

યોજના આયોગના સંજયકુમાર ઝાની અપીલઃ ગાંધીની ભૂમિ ગુજરાતમાં બિહારના યુવાનોને ઔદ્યોગિક વિકાસમાં સહભાગી બનાવવા કોન્કલેવનું આયોજન થયું

અમદાવાદ, તા.૧: બિહારના યુવાનોમાં સાહસિકતા અને હુન્નર બન્ને છે, તેનો ઉપયોગ દેશ, રાજ્ય અને સમાજના વિકાસમાં થવો જોઈએ. ગુજરાતમાં વસતા બિહારના યુવાનો આગળ આવી ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંન્તિ લાવવા નાના-મોટા ઉદ્યોગો સ્થાપી સાહસિકતા બતાવે અને રોજગાર ક્ષેત્રે આગળ વધે. ગુજરાતમાં વસતા બિહારી લોકોએ ખાસ કરીને યુવાઓને ઔદ્યોગિક વિકાસની ક્રાંતિમાં જોડાઇ જવા એવો અનુરોધ બિહાર સરકારના યોજના આયોગના અધ્યક્ષ સંજયકુમાર ઝાએ કર્યો હતો. દેશમાં પ્રથમ વખત બિહાર રાજ્યની બહાર ગુજરાતમાં બિહારની સાંસ્કૃતિક ધરોહર અને યુવાનોને ઉદ્યમી તેમજ સાહસિક બનાવવા માટેના એક શ્રેષ્ઠ અભિયાનરૂપે ગાંધીનગરના ભાટ ગામે ઈ.ડી.આઈ ખાતે ખાસ કાર્યશાળા અને મિથિલા એન્ટરપ્રિન્યોર કોન્કલેવ યોજવામાં આવ્યો હતો. આ પ્રંસગે ગુજરાતમાં વસતા બિહારના યુવાઓ સહિતના લોકોને સંબોધન કરતાં મુખ્ય અતિથિપદેથી સંજયકુમાર ઝાએ આ પ્રમાણે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બિહારના લોકોને ગુજરાતના ઉદ્યોગો તેમજ અન્ય ક્ષેત્રે વિકાસ સાથે જોડવા ભારત સરકારના સાહસરૂપે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ લી. (એનએસઆઈસી) ગુજરાતના ક્ષેત્રિય પ્રબંધકશ્રી પી.કે. ઝાનું મહત્વપુર્ણ યોગદાન રહ્યું છે. બિહારના યુવાઓએ ગુજરાતના વિકાસપથમાં તેમની રીતે મહત્તમ યોગદાન આપવાનો પ્રયાસ કરવો જોઇએ. આ પ્રસંગે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ લી. (એનએસઆઈસી) ગુજરાતના ક્ષેત્રિય પ્રબંધક શ્રી પી.કે. ઝાએ ગુજરાતમાં એનએસઆઈસીની કામગીરી વિશે મહત્વપુર્ણ જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે, ગુજરાતની ઔદ્યોગિક ક્રાંન્તિના વિકાસમાં બિહારના વધુને વધુ યુવાનો અને લોકો જોડાઈ પોતાની સાહસિકતા દાખવે અને ભારત  સરકાર અને ગુજરાત રાજ્યની ઔદ્યોગિક યોજનાઓનો પુરેપુરો લાભ તેઓએ ઉઠાવવો જોઇએ. આ રોજગાર અને વિકાસ કાર્યમાં એનએસઆઈસી તેમજ અન્ય ઔદ્યોગિક સાહસો યુવાનોને પુરેપુરો સહકાર આપશે એવી ખાતરી પણ તેમણે આપી હતી.  આ પ્રસંગે બિહારના મૂળ બ્યુરોકેટ્સ અને રોજગાર સર્જનથી સંબધિત અનુભવી અધિકારીઓમાં પ્રિન્સિપાલ સેક્રેટરીશ્રી એમ.કે. દાસે (આઈએઅએસ) પોતાના સંબોધનમાં ગુજરાતમાં થયેલ ઔદ્યોગિક વિકાસની પ્રશંસા કરતાં આ ક્ષેત્રમાં જે નવા રોજગારની તકો ઉઘડી છે તેનો લાભ બિહારના યુવાનો ઉઠાવે અને એનએસઆઈસીની ઔદ્યોગિક યોજનાઓ અને પોલીસી અંગેની માહિતી મેળવી પોતાના નાના-મોટા ઉદ્યોગો સ્થાપી પગભર થાય એવી અપેક્ષા યુવાનો પાસે રાખી હતી.  આ પ્રસંગે ગુજરાતના ગૃહ સચિવશ્રી બ્રિજેશ ઝા, શ્રી મોહન ઝા (આઈપીએસ), સંદિપ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી સંદિપ ઝાએ પોતાના સંબોધનમાં બિહારના યુવાનોને ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતમાં વધુને વધુ રોજગાર મળે તેવો સુનિયોજીત આયોજન ઘડવા પર ભાર મૂક્યો હતો. બિહારના મુળ સફળ ઉદ્યોગપતિ અમેરિકામાં રહેતા શ્રી અજયકુમાર ઝાએ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પોતાના વિચારોના માધ્યમથી નવયુવાનોને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. આ સમગ્ર કાર્યશાળા અને મિથિલા મિરર કનકલેવના મુખ્ય સંચાલકશ્રી નાગેન્દ્ર ઝા, રાજીવ ઠાકુર, વિધાન ઝા, રાજીવ ઝા, આશુતોષ ચૌધરીએ પણ આયાચી ફાઉન્ડેશનની સ્થાપના દિવસના રૂપમાં આવા સુવર્ણ અવસરે બિહારી લોકો અને યુવાનોને ગુજરાતના વિકાસમાં જોડાવવા બિહારના યુવાનોને અનુરોધ કર્યો હતો.

(10:11 pm IST)