Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

સિંહોના રક્ષણ માટે કેન્દ્ર દ્વારા પૂરતું ફંડ હજુય અપાતું નથી

વાઘની તુલનામાં સિંહ પાછળ ઘણો ઓછો ખર્ચ : એશિયાટિક લાયનના નામે વિશ્વભરમાં ગૌરવ અને નામ કમાઇ લેતી સરકારને સિંહના સંરક્ષણમાં પુરતો રસ નથી

અમદાવાદ,તા. ૧ : એશિયાટીક લાયનના નામે વિશ્વભરમાં ગૌરવ અને નામ કમાઇ લેતી સરકારોને ગીરમાં સિંહોનું સાચા અર્થમાં સંવર્ધન અને રક્ષણ કરવામાં રસ જ નથી. ગુજરાત સરકાર ગીરના સિંહોના નામે પ્રવાસનનો પ્રચાર કરવા કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, પરંતુ આ સિંહોના રક્ષણ અને સંવર્ધન માટેના યોગ્ય નાણાં ન ફાળવતી હોવાથી સિંહોની આજે આ દુર્દશા થઇ છે. ચોંકાવનારી વાત તો એ છે કે, છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારે સિંહના સંવર્ધન અને રક્ષણ માટે ૨૬ કરોડ રૂપિયા ફાળવ્યા છે. છેલ્લા ૧૫ દિવસમાં ગીરના ૧૬ સિંહોના મોત મામલે ગુજરાત સરકારનું પેટનું પાણી પણ હલતું નથી. ગીરના સિંહોના રક્ષણ પ્રત્યે ગુજરાત સરકાર તો ઠીક કેન્દ્રની મોદી સરકાર પણ ગંભીર ઉદાસીન સાબિત થઇ છે. બીજી એક ગંભીર બાબત એ પણ સામે આવી છે કે, વાઘની સરખામણીએ સિંહના સંવર્ધન અને રક્ષણ માટે સરકાર દ્વારા ઓછો ખર્ચ કરવામાં આવે છે. ગીર અભયારણ્યમાં સિંહના સંવર્ધન અને સંરક્ષણ માટે સરકાર દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવે છે. તેમ છતાં સિંહ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતું ભંડોળ વાઘ પાછળ થતા ખર્ચના માત્ર ૨.૫૭ ટકા જ છે.  બીજી તરફ વાઘ માટે સરકાર દ્વારા કુલ ૧૦૦૭ કરોડ રૂપિયાનું જંગી ભંડોળ ફાળવવામાં આવ્યું છે. જો સરેરાશ દ્રષ્ટિએ જોઈએ તો પ્રતિ વાઘ દીઠ સરકાર દ્વારા ૧૫ લાખ રૂપિયા સંરક્ષણના પ્રયાસો પાછળ ખર્ચે છે. બીજી તરફ સિંહ દીઠ માત્ર રૂપિયા ૯૫ હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, ૨૦૧૬-૧૭ના વર્ષમાં પ્રોજેક્ટ ટાઈગર હેઠળ ફાળવવામાં આવતું ભંડોળ બમણું કરવામાં આવ્યું હતું. આ ભંડોળ ૨૦૧૫-૧૬માં ૧૫૫ કરોડ રૂપિયા હતું. જેવી રીતે વાઘને પ્રોજેક્ટ ટાઈગર હેઠળ બજેટમાંથી ભંડોળની ફાળવણી થાય છે તેવી રીતે આપણા સિંહ નસીબદાર નથી. કારણ કે સિંહ માટે અપાતી ભંડોળની રકમ નક્કી પ્રોજેક્ટને બદલે રજૂ કરવામાં પ્રોજેક્ટના હિસાબે આપવામાં આવે છે. ભાજપ સરકારમાં પણ સિંહ સાથે આ જ રીતે ભેદભાવ થયો છે. જો સરેરાશ દ્રષ્ટિએ જોઈએ તો પ્રતિ વાઘ દીઠ સરકાર દ્વારા ૧૫ લાખ રૂપિયા સંરક્ષણના પ્રયાસો પાછળ ખર્ચે છે. બીજી તરફ સિંહ દીઠ માત્ર રૂપિયા ૯૫ હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ અગાઉ વિધાનસભામાં પણ સરકારે કબૂલ કર્યું હતું કે, ૨૦૧૫થી ૨૦૧૬ સુધીમાં સિંહ માટે કોઈપણ વધારાની ગ્રાન્ટ આપવામાં આવી નથી. રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે, ૨૦૧૬-૧૭માં ૨૧.૮૮ કરોડ અને ૨૦૧૫-૧૬ ૧૪.૨૯ કરોડ રાજ્યની તિજોરીમાંથી સિંહના સંરક્ષણના પ્રયાસો માટે ફાળવવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિ જોતાં લાગી રહ્યું છે કે, સિંહને સરકારના વન્ય જીવોના સંકલિત વિકાસમાં કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. આ અગાઉ યુપીએ સરકાર દ્વારા પણ સિંહ મામલે બેદરકારીભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. યુપીએ સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, કોઈ એક વન્ય જીવ પાછળ મોટી સંખ્યામાં ખર્ચ કરવો યોગ્ય નથી. આ ઉપરાંત લોકસભામાં પણ સિંહના સંરક્ષણ માટે જરૂરી ભંડોળ ન હોવાની મજબૂરી વ્યક્ત કરવામાં આવી હતી. જો કે વાઘ પાછળ જંગી પ્રમાણમાં ખર્ચ કરવામાં આવે છે.જો કે અગાઉની સરકારમાં કોંગ્રેસના રેણુકા ચૌધરીની અધ્યક્ષતામાં બનેલી સંસદીય સમિતિએ ગીરમાં પ્રોજેક્ટ ટાઈગરની જેમ સિંહ માટે પણ વ્યવસ્થા કરવા ઉપર ભાર મુક્યો હતો. સરકાર દ્વારા દાખવાતી આટલી ગંભીર ઉદાસીનતા અને બેદરકારી વાઘ-સિંહ જેવા પ્રાણીઓના અસ્તિત્વ સામે ખતરો પેદા કરી રહી છે.

(8:14 pm IST)