Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

અમદાવાદમાં વૃદ્ધાશ્રમમાં પાછલી જીંદગી સન્‍માન સાથે જીવવા પ્રયાસ કરતા વડિલોઃ અમદાવાદમાં અેક દશકામાં વૃદ્ધાશ્રમની સંખ્‍યા વધી અને વૃદ્ધોની સંખ્‍યા પણ ડબલ થઇ

અમદાવાદઃ પોતાની ઉંમરના 60ના દાયકામાં પહોંચેલું કપલ ગણપત અને રસિલા મકવાણા શહેરના નારણપુરમાં આવેલ જીવનસંધ્યા નામના વૃદ્ધાશ્રમમાં અન્ય 170 વૃદ્ધો સાથે પાછલા બે વર્ષથી રહે છે. પોતાની જીવનભરની મહેનતથી બનાવેલ ઘરમાંથી ઉંમરના પડાવમાં ત્રણ-ત્રણ સંતાનો દ્વારા ઘરમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ સમ્માન પૂર્વક જીવવા અને પોતાની માથે છાપરું પરત મેળવવા દંપત્તિ સંઘર્ષ કરી રહ્યું છે. અમદાવાદમાં તેઓ એકલા નથી તેમની સાથે બીજા પણ અનેક એવા વૃદ્ધો છે જે રીતે વૃદ્ધાશ્રમમાં પોતાની પાછલી જિંગદી સમ્માન સાથે જીવવા પ્રયાસ કરી રહ્યા છે.

આંખ અને ગળામાં ભિનાશ સાથે ગણપતભાઈએ કહ્યું કે, ‘અમે સંતાનોને મોટા કર્યા પણ હવે કોઈ સંતાન અમને સાચવવા તૈયાર નથી. ઉલ્ટાનું તેમણે અમને ઘરની બહાર હાંકી કાઢ્યા છે. વૃદ્ધાશ્રમમાં અમે પાછલી બાકી રહેલી જિંદગી સમ્માનપૂર્વક વિતાવવા આશરો મળ્યો છે.’

પાછલા એક દશકામાં અમદાવાદની પરિધમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી છે તેટલું નહીં તેમાં રહેતા વૃદ્ધોની સંખ્યા પણ ડબલ વધી છે. દશકા પહેલા જ્યાં અમદાવાદમાં 7 જેટલા વદ્ધાશ્રમ હતા ત્યાં અત્યારે 17 જેટલા વૃદ્ધાશ્રમો છે અને તમામ જગ્યાઓ હાઉસફુલ છે. એક સમયે શહેરના વૃદ્ધાશ્રમમાં 300 જેટલા વૃદ્ધો હતા તેની સામે આજે 600 જેટલા વૃદ્ધો રહે છે સંખ્યા ડબલ થઈ ગઈ છે. તેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આંકડા છે કે દર મહિને મોટાભાગના વૃદ્ધાશ્રમો 40-50 જેટલી અરજીઓ ફક્ત પોતાની પાસે હવે વધુ જગ્યા હોવાથી નકારી રહ્યા છે.

જીવન સંધ્યાના મેનેજિંગ ટ્રસ્ટી સુકેતુ નગરવાડિયાએ કહ્યું કે, ‘પાછલા એક દશકામાં શહેરમાં વૃદ્ધાશ્રમની સંખ્યામાં વધારો થયો છે એટલું નહીં તેમાં રહેતા વૃદ્ધોની સંખ્યામાં પણ જબરજસ્ત વધારો થયો છે. અમારી સંસ્થામાં દર મહિને જગ્યા પૂરતી હોવાના અભાવે અમે 20 જેટલી અરજીઓ જેમાં વડિલો અમારે ત્યારે રહેવા માગતા હોવાની અરજીઓ તો પરત કરી દેતા હોઈશું.’

શહેરમાં વૃદ્ધાશ્રમો ચલાવતી સંસ્થાઓ અને વ્યક્તિઓનું કહેવું છે કે તેમના આશ્રમમાં રહેતા મોટાભાગના એટલે કે 70% લોકો એવા છે જેઓ ઘરકંકાસના કારણે કે પછી સંતાનોથી તરછોડી દેવામાં આવ્યા હોવાના કારણે અહીં આવીને પોતાનું પાછલું જીવન સમ્માનપૂર્વક જીવવા પ્રયાસ કરાત હોય છે. જ્યારે બાકીના 30% અંગે જાણીને આશ્ચર્ય થશે પણ લોકો સામે ચાલીને વૃદ્ધાશ્રમમાં રહેવા આવે છે. તેની પાછળનું મુખ્ય કારણ છે ઘરમાં સંતાનો વગેરે બહારગામ રહેતા હોઈ એકલાતા સતાવવાત પોતાની ઉંમરના લોકો સાથે પાછલી જિંદગી પસાર કરવા આવે છે.

હિરામણી સંધ્યા જીવન કુટિરના ફાઉન્ડર નરહરિ અમિને કહ્યું કે, ‘અમારે ત્યાં 100 જેટલા વડિલો રહે છે. જોકે બધા લોકો ઘરથી તરછોડાયેલ નથી હોતા. ઘણા લોકો એવા પણ હોય છે કે તેમના સંતાનો કરિયર માટે વિદેશમાં સેટલ થઈ ગયા હોય અથવા સંતાનમાં ફક્ત પુત્રીઓ હોય અને તેમના લગ્ન થયા બાદ ઘરે એકલાવાયું જીવન જીવવા કરતા તેઓ સમાજની વચ્ચે રહી તેમની ઉંમરના લોકો સાથે રહીને કંઈક કન્સ્ટ્રક્ટિવ કરવા માગતા હોય છે.’

સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ અંગે કહ્યું કે, ‘વૃદ્ધાશ્રમ એટલે ઘરથી તરછોડાયેલ વૃદ્ધો માટેનું ઘર તેવો દ્રષ્ટિકોણ હવે બદલાઈ રહ્યો છે. આજકાલ વૃદ્ધાશ્રમોમાં એવા ઘણા છે જેઓ મિડલ ક્લાસ અથવા અપર મિડલ ક્લાસમાંથી આવે છે. જેના કારણે વૃદ્ધાશ્રમો પ્રત્યેની પૂર્વધારણા હવે ધીમે ધીમે દૂર થઈ રહી છે.’

અમદાવાદમાં આવેલ મણિલાલ ગાંધી વાનપ્રસ્થાશ્રમ નામના વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી ગિતા પટેલે કહ્યું કે, ‘ફક્ત કૌટુંબિક ઝગડા નહીં પણ એક સંતાન અથવા સંતાન હોવાના કારણે પણ પોતાના જીવના ઉત્તરાર્ધમાં ઘણા કપલને કોઈ કંપની કે મદદની જરુર પડે છે. આવા સમયે એક સંતાન હોવાથી તે વિદેશમાં સેટલ થયું હોય તો ત્યારે આવા વૃદ્ધો એકલા રહેવા કરતા તેમના હમઉમ્ર વડિલો સાથે રહેવાનું વધુ પસંદ કરે છે.’

(5:33 pm IST)