Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

આણંદ: આડા સંબંધના વહેમનો બોજ સહન ન કરી શકતા પરિણીતાએ જાત જલાવી

આણંદ : વિદ્યાનગર ખાતે રહેતી એક પરિણીતાને તેના પતિ અને સાસુ-સસરા દ્વારા આડા સંબંધનો વહેમ રાખીને શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારવામાં આવતાં તેણીએ શરીરે કેરોસીન છાંટીને અગનપિછોડી ઓઢી લેતાં ગંભીર હાલતમાં કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર કઠલાલ તાલુકાના ભાનેર ખાતે રહેતા ફરિયાદી નયનાબેન રમેશભાઈ સોઢા પરમારની પુત્ર કિંજલ (. . ૧૯)ના લગ્ન એક વર્ષ પહેલાં વિદ્યાનગર ઈસ્કોન મંદિર પાછળ રહેતા નરેશભાઈ ઉર્ફે મુકેશભાઈ દિનેશભાઈ પરમાર સાથે કરવામાં આવ્યા હતા. લગ્નના મહિના સુખરૂપ ચાલ્યા બાદ પતિ અને સાસુ-સસરા દ્વારા ખોટો વહેમ રાખીને તેણી પર ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. જેને પરિણીતા વારેઘડીયે પોતાના પીયર ચાલી જતી હતી. પરંતુ ઘરના સભ્યો તેણીનું લગ્નજીવન નંદવાઈ ના તે માટે સમજાવીને પરત મોકલી દેતા હતા. થોડા સમય પહેલાં પણ તેણી રીસાઈને પિયર આવતી રહી હતી જેથી પતિ નરેશભાઈ ઉર્ફે મુકેશભાઈ ૨૪મી તારીખના રોજ તેણીને તેડવા માટે ગયો હતો જ્યાં મોકલવાની ના પાડતાં તેણે મારા ઘરે જઈને તમારા બધાના નામો લખી પંખે લટકી જઈ મરી જવાની ધમકી આપતાં કિંજલને મોકલી હતી.  ત્યારબાદ પણ તેણી પર ત્રાસ ગુજારવાનો ચાલુ રાખ્યો હતો. પતિ દ્વારા તુ બીજા સાથે બોલે છે તેમ જણાવીને હું મરી જઈશ તેવી ધમકીઓ આપવાનું ચાલુ કરતા આખરે કંટાળેલી કિંજલે ગત ૨૯મી તારીખના રોજ બપોરના સુમારે શરીરે કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દેતાં તેણી ગંભીર રીતે દાઝી ગઈ હતી જેથી તેણીને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અંગે પોલીસે પતિ નરેશભાઈ સાસુ હંસાબેન તથા સસરા દિનેશભાઈ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(2:41 pm IST)