Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બે ગણી કરવા ફરીથી મોદીની ખાતરી

આણંદમાં અમૂલના ૧૧૨૦ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુર્હૂત : કેન્દ્ર સરકાર સહકારિતાના તમામ નવા પ્રયોગો અને પહેલોને પીઠબળ આપશે નરેન્દ્ર મોદીએ જનધન, વનધન અને ગોબરધનનો આપેલો નવો વિકાસ મંત્ર

અમદાવાદ, તા.૩૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આણંદ જિલ્લાના મોગર ખાતે અમૂલ ડેરીના ૧૧૨૦ કરોડના નવીન પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમૂર્હૂત કર્યું હતું. મુંજકુવા સૂર્યઉર્જા સહકારી મંડળીનો શુભારંભ કરાવ્યો હતો. મોદીએ આ પ્રસંગે જનધન-વનધન અને ગોબરધનનો નવો વિકાસ મંત્ર આપ્યો હતો. અમૂલ માત્ર દૂધ ઉત્પાદક એકમ નથી પરંતુ ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગઈ છે તેમ જણાવી મોદીએ કહ્યું હતું કે, પ્રેરણાસ્ત્રોત અને અનિવાર્યતા બની ગયું છે. મોદીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજના ખેતીને નવી તાકાત આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકારીતાના સશકત મોડલને આધાર બનાવીને અમૂલ અને ગુજરાતના સહકારી સંઘો સ્વીટ રીવોલ્યુએશન અને ગોબરધનના નવા મોડલ પ્રચલિત કરે તેવી ભલામણ કરી હતી. ચરોતરમાં નવા પ્રયોગો કરવાની તાકાત છે. અમૂલના પ્રોફેશનલ્સ એમનું માર્ગદર્શન કરે એવા અનુરોધ સાથે પ્રધાનમંત્રીએ જનધન, વનધન અને ગોબરધનનો નવો વિકાસ મંત્ર આપ્યો હતો. તેમણે પશુધનના છાણમાંથી ઊર્જા ઉત્પાદનનું ગોબરધન મોડેલ મિશન મોડમાં વિકસાવવાનું સૂચન કર્યું હતું અને જણાવ્યું હતું કે, તેનાથી ભારત સ્વચ્છ બનશે, કચરામાંથી કંચન પેદા કરી શકાશે અને કલીન એનર્જી મળશે. અમરેલી અને બનાસ ડેરીની સફળતાના દાખલા ટાંકીને તેમણે સ્વીટ રીવોલ્યુશન માટે મધમાખી ઉછેર અને મધ ઉત્પાદનની નવી પહેલો અપનાવવા અને વિકસાવવાની હિમાયત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, સન ૨૦૨૨માં ભારતની આઝાદીને અને ૨૦૨૦માં અમુલની સ્થાપનાને ૭૫ વર્ષ પૂરાં થાય છે. અમૂલ તેને અનુલક્ષીને દૂધ ઉત્પાદન સહિત તમામ ક્ષેત્રોમાં સહકારીતાના નવા આયામો પ્રસ્થાપિત કરતાં લક્ષ્યો નિર્ધારીત કરે. ભારત મિલ્ક પ્રોસેસીંગમાં હાલમાં વિશ્વમાં ૧૦મા નંબરે છે, તેને ત્રીજા નંબરે લાવવાનો અમૂલ નિર્ધાર કરે. તેમણે જણાવ્યું કે, સરદાર સાહેબે અમૂલના માધ્યમથી સહકારીતાનું જે બીજ રોપ્યું એ સમાજવાદ અને મૂડીવાદની પ્રચલિત અર્થ વ્યવસ્થાઓની સામે એક વૈકલ્પિક સશકત અર્થ વ્યવસ્થાનું મોડેલ બની ગયું છે. ગુજરાતની સહકારીતા દેશ માટે નમૂનેદાર મોડેલ બની છે એમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આણંદ જિલ્લાના મોગર ખાતે અમૂલ ડેરીના ૧૧૨૦ કરોડના નવીન પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુર્હૂત કર્યું હતું. તેમણે ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ પાકોના વેલ્યુ એડીશન સહિત વિવિધ નવી પહેલો કરવા પર ભાર મૂકતાં જણાવ્યું કે આવા નવા પ્રયોગોને પીઠબળ આપવા ભારત સરકારે પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજના શરૂ કરી છે. તેમણે વિવિધ ક્ષેત્રોમાં સહકારીતાના નવા પ્રયોગો કરવાનું દિશાસૂચન કરતાં જણાવ્યું કે, ભારત સરકાર આવા તમામ પ્રયોગો, પહેલો અને મોડેલ્સને પીઠબળ આપશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, અમે શાસનની નિર્ણય પ્રક્રિયા અને કામ કરવાની પધ્ધતિ બદલી છે. એટલે ભૂતકાળમાં જયાં દેશમાં અભાવનો પ્રભાવ હતો તેની સામે આજે દેશ સમક્ષ વિપુલતાનો પડકાર સર્જાયો છે. શ્વેત ક્રાંતિની જેમ કૃષિ ક્રાંતિ થઇ છે. વિપુલ ખેત ઉત્પાદનને લીધે કયારેક કૃષિ પેદાશોના ભાવ ઘટી જાય છે. વેલ્યુ એડીશનથી તેનું નિવારણ કરી શકાશે. તેમણે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ગાંધીનગરમાં એવા શાસકો હતાં કે જેમની નીતિઓથી સહકારીતાના વિકાસમાં અવરોધ સર્જાયો હતો. રાજયના મુખ્ય મંત્રી તરીકે મેં આ અવરોધોનું નિવારણ કર્યું જેના લીધે કચ્છ અને સૌરાષ્ટ્રમાં દૂધ ઉત્પાદન સહકારીતા વ્યાપક બની છે. અમદાવાદના પ્રિતમનગરનો દાખલો ટાંકીને પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા પહેલા સરદાર વલ્લભભાઇ પટેલે ગૃહ નિર્માણમાં સહકારીતાના કરેલા પ્રયોગની વિગતો આપી હતી. જેમનામાં મારો વિરોધ કરવાની તાકાત ન હતી એવા વિરોધીઓ મારા નવા પ્રયોગોની મજાક ઉડાવતા હતા એવી લાગણી વ્યકત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ઉંટડીના દૂધના વેચાણનું મારૃં સૂચન એમણે મજાકને પાત્ર બનાવ્યું હતું. આજે અમૂલ ઉંટડીના દૂધમાંથી પૌષ્ટિક ચોકલેટ બનાવે છે અને ગાયના દૂધ કરતાં બમણા ભાવે ઉંટડીનું દૂધ વેચાય છે. અમૂલે મારૃં સ્વપ્ન સાકાર કર્યું છે. ઉંટના દૂધના માર્કેટીંગથી રણવાસી પશુપાલકોને રોજીરોટી અને બજાર મળશે એવો વિશ્વાસ વ્યકત કરવાની સાથે કચ્છના સફેદ રણમાં રણોત્સવના આયોજનની સફળતાની ભૂમિકા તેમણે આપી હતી. તેમણે અમૂલની સતત પ્રગતિ, નવા સાહસો અને વર્ક કલ્ચરના જવલંત ઉદાહરણ તરીકે મૂલવણી કરી હતી અને અમૂલના પ્રોફેશનલ્સને સહકારીતા આંદોલનનું નેતૃત્વ આગળ વધારવા પ્રોત્સાહિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ અમૂલ તેમજ સહકારી સંઘોને પોતાના પરિવહન નેટવર્ક સાથે સાંકળીને અને કુકીંગ પ્લાન્ટસ સ્થાપીને ઇસ્કોનની માફક મધ્યાહન ભોજન યોજનામાં જોડાઇને તેને વધુ મજબૂત કરવા ખાસ અનુરોધ કર્યો હતો અને આ રીતે બાળ કુપોષણના નિવારણમાં સશકત યોગદાન આપવા જણાવ્યું હતું. વડાપ્રધાનએ કહ્યું કે, આજે વિશ્વના ૪૦ જેટલા દેશોમાં અમૂલની ઓળખ પ્રસ્થાપિત થઇ છે અને વિદેશોના પ્રવાસ સમયે લોકો તેમના દેશમાં અમૂલના ઉત્પાદનો મળે એવી વ્યવસ્થા કરવા મને વિનંતી કરે છે.

આણંદ : મોદીએ શું કહ્યું

કૃષિ સંપદા ખેતીને તાકાત આપશે

*    જનધન-વનધન અને ગોબરધન ઉપયોગી રહેશે

*    અમૂલ માત્ર દૂધ ઉત્પાદન એકમ નથી. ગુજરાતની વૈશ્વિક ઓળખ પણ છે

*    ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બે ગણી કરવા ખેત ઉત્પાદનનો વેલ્યુએડિશન સહિત અનેક નવી પહેલ કરી છે

*    પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજના ખેતીને નવી તાકાત આપશે

*    ભારત સરકાર સહકારિતાના તમામ પ્રયોગો અને પહેલોને પીઠબળ આપશે

*    અમૂલ મિલ્ક પ્રોસેસિંગ ક્ષેત્રમાં ભારતને વિશ્વમાં ત્રીજા ક્રમે લાવવાનો નિર્ધાર કરે

*    ચરોતરમાં નવા પ્રયોગો કરવાની તાકાત છે

*    ભારત સ્વચ્છ બનશે અને કચરામાંથી કંચન પેદા કરી શકશે

*    સ્વિટ રિવોલ્યુશન માટે મધમાખી ઉછેર અને મધ ઉત્પાદનને મહત્વ આપવાની જરૂર છે

*    કૃષિ ક્ષેત્રે સરકાર દ્વારા વિવિધ પહેલ કરવામાં આવી રહી છે

*    નવી સરકારમાં નિર્ણય કરવાની પ્રક્રિયા અને કામ કરવાની પ્રદ્ધતિ બદલાઈ ગઈ છે

*        જેમનામાં વિરોધ કરવાની તાકાત ન હતી તેવા લોકો નવા પ્રયોગોની મજાક કરતા હતા

(9:37 pm IST)