Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલ આઈશરે બાઇકને હડફેટે લેતા બે યુવાનના ઘટનાસ્થળેજ મૃત્યુ

આણંદ:જિલ્લાના ઉમરેઠ તાલુકાના હમીદપુરા ગામ નજીક આવેલ દાદુરામ મંદિર પાસે ગઈકાલ રાત્રિના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલ એક આયસર ટેમ્પાના ચાલકે એક મોટરસાયકલને અડફેટે લેતા મોટરસાયકલ ઉપર સવાર બે આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે જ કરૃણ મોત નીપજ્યા હતા. આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે આયસર ટેમ્પાના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ ઉમરેઠ તાલુકાના હમીદપુરા ગામે મોટા ફળીયામાં રહેતા કમલેશભાઈ સોમાભાઈ સોલંકી ગઈકાલ રાત્રિના સુમારે પોતાના પિતરાઈ ભાઈ વિપુલકુમાર પરવતભાઈ સોલંકી સાથે એક મોટરસાયકલ ઉપર સવાર થઈ ઓડ ગામથી હમીદપુરા તરફ પરત આવી રહ્યા હતા. દરમ્યાન તેઓની મોટરસાયકલ હમીદપુરા ગામ નજીક આવેલ દાદુરામ મંદિર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ઉમરેઠ તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલ એક આયસર ટેમ્પાના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા મોટરસાયકલ ઉપર સવાર બંને યુવકો ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. આ બંને યુવકોને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા બંનેનું ઘટના સ્થળે જ કરૃણ મોત નીપજ્યું હતુ. અકસ્માત બાદ અજાણ્યો ટેમ્પાચાલક ટેમ્પાને ઘટના સ્થળે બિનવારસી હાલતમાં મુકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. દરમ્યાન ઉમરેઠ પોલીસની ટીમ પણ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને યુવકોના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.  બીજી તરફ હમીદપુરા ગામના બે આશાસ્પદ યુવાનોના અકસ્માતમાં અકાળે મૃત્યુ થયા હોવાના સમાચાર હમીદપુરા ગામમાં ફેલાતા સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે આયસર ટેમ્પાના ચાલક વિરૃધ્ધ અકસ્માતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ બાદ બંને યુવકોના મૃતદેહ તેઓના પરિવારજનોને સોંપતા આજે ગામમાં બંને યુવકોની એકસાથે અંતિમયાત્રા નીકળતા ગમગીની છવાઈ ગઈ હતી.

(5:18 pm IST)