Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો કાલે જન્મદિવસઃ નોખુ-અનોખું વ્યકિતત્વ ધરાવનાર સૌમ્ય પ્રતિભાઃ ૧૯૮૭ના રાજકોટના કોર્પોરેટર તરીકે જવાબદારી સંભાળીને ભાજપમાં જુદા-જુદા હોદા ઉપર સેવાઓ આપીઃ કટોકટી વખતે સૌની નાની વયે એક વર્ષ સુધી જેલવાસ પણ ભોગવ્યોઃ પારદર્શક, સંવેદનશીલ નિર્ણાયક અને પ્રગતીશીલ ગુજરાત સરકારના મુખ્યમંત્રી પદે કાર્યરત રહીને લોકહિતમાં અનેક નિર્ણયો

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો 'તાજ' જેમના પર તા. ૦૭-૦૮-૨૦૧૬થી પહેરાવાયો છે એવા શ્રી વિજયભાઈ રૂપાણી એક નોખું-અનોખું વ્યક્તિત્વ ધરાવનારી સૌમ્ય પ્રતિભા છે.

સંઘના સંસ્કાર, શિસ્ત અને સતત પરિશ્રમનો પ્રભાવ એમની કારકિર્દીના પ્રારંભિક પાસાં રહ્યાં છે, ક્રાંતિનો મહિનો ૨ ઓગસ્ટ ૧૯૫૬ના રોજ જન્મ. આજે ૬૧મા વરસે એમના શિરે એક અપૂર્વ દાયિત્વ માટે આધારભૂત રહ્યો છે.

બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવકના સંગઠનના રંગે રંગાયેલ વિજયભાઈની જીવનશૈલી એક અણીશુદ્ધ, કર્મશીલ કાર્યકરને શોભે તે રીતે આગળ ધપતી રહી. વિદ્યાર્થી વયથી જ રાષ્ટ્રસેવા, દેશપ્રેમના સંસ્કારનું એમનામાં સિંચન થતું રહ્યું. જૈન પરિવાર અને જન્મજાત શ્રેષ્ઠીના સંસ્કાર એમની પ્રતિભાનું પ્રબળ પાસું બની રહ્યાં. જન્મ્યા બર્માના રંગુનમાં પણ જીવન ઘડતર અને સંગઠનના ગુણોનું ચણતર રાજકોટમાં થયું. જવાબદારી વહન કરવાની એમની ક્ષમતા અને તત્પરતાને કારણે એ જ્યાં જ્યાં જોડાયા ત્યાં વિજયનું હીર ઝળકી રહ્યું, એ જવાબદારી પછી સંઘ-કાર્ય માટેની હોય કે નવનિર્માણ આંદોલન સમયે છાત્ર સંઘર્ષ સમિતિ માટે હોય, રૂપાણીએ ક્યાંય પાછી પાની કરી નથી. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી બી.એ. (POLITICAL SCIENCE) અને એમ. એમ. પી. લૉ કોલેજમાંથી એલએલ. બી.નો અભ્યાસ કર્યો. નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારમાં ઉછરેલા શ્રી વિજયભાઈએ પોતાના અભ્યાસકાળ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને સમર્પિત રહીને વિદ્યાર્થી હિત માટે સતત ખેવના કરી. તેઓ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં સ્ટુડન્ટ યુનિયનના (GS) જનરલ સેક્રેટરી પદે જંગી બહુમતીથી ચૂંટાયા હતા.

  • કર્તૃત્વનું નેતૃત્વ-સફળ આંદોલનકારઃ

એમનામાં આગેવાની લેવાની ઇન્તેજારી પ્રબળ હોવા છતાં સ્વભાવિક લો-પ્રોફાઇલમાં રહી પોતે કાર્યની સમજ અને કાર્યકરો સાથેનો સમન્વય જાળવી જાત સાથેની વાતમાં વધુ મજબૂત બનતા રહ્યા. રાષ્ટ્ર નાયક સ્વ. જયપ્રકાશ નારાયણ જેવી વિભૂતીની વિચારસરણીના વાહક બની એમણે ભ્રષ્ટાચાર વિરોધી ચળવળમાં પોતાની પ્રબળ ઇચ્છાશક્તિને કામે લગાડી અને કોલેજ કાળમાં યુવાનીની ઊર્જાનો ઉત્તમ ઉપયોગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું કાર્ય સંભાળવામાં કર્યો. વિદ્યાર્થી કાળ દરમિયાન તેઓએ ઈ.બી.સી. (ઈકોનોમિકલ બેકવર્ડ ક્લાસ)ની ફી માફી મર્યાદા વધારવાના આંદોલનનું નેતૃત્વ સંભાળીને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓના હિતમાં જબરજસ્ત સંઘર્ષ કર્યો.

  • કટોકટી વખતે જેલવાસ... સૌથી નાની વયેઃ

લોકશાહીના આત્માને પવિત્ર પ્રેરકતા સાથે શ્રેષ્ઠતા તરફ પહોંચાડવા એ સદા કૃતનિશ્ચયી બન્યા હતા. શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા ૧૯૭૫માં લાદવામાં આવેલી કટોકટી વખત જેલયાત્રા પણ ખેડી હતી. ભૂજ અને ભાવનગરની જેલમાં એક વર્ષ સુધી જેલમાં લોકશાહીના ટેકેદાર તરીકે તત્પર બની રહ્યા અને એ પણ સૌથી નાની વયે. તત્કાલિકન શાસકોએ લોકશાહીને ગળે ટૂંપો દઈને કટોકટી લાદી ત્યારે ૧૯૭૬માં જુલ્લી 'મીસા'ના કાયદા હેઠળ જેલમાં જનારા સૌથી નાની વયના કાર્યકર શ્રી વિજયભાઈ રૂપાણી હતા. તેમણે 'મીસા' હેઠળ એક વર્ષ સુધી કારાવાસ ભોગવ્યો.

  • ભાજપમાં સક્રિયઃ

સેવા અને સમર્પણની આંતરિક તાલાવેલી એમને શહેરના સ્થાનિક રાજકારણમાં ખેંચી લાવી અન્યાયને પડકારવો એ એમની હિંમત બની ત્યારે માત્ર ૨૪ વર્ષની વયે એમણે ભાજપમાં સક્રિય પદાર્પણ કર્યું.

પછી તો રાજકારણ થકી જનસેવાની કેડી પર એમનું કર્મઠ પ્રયાણ શરૂ થયું. રાજકોટ શહેરમાં મહામંત્રી તરીકે અને ૧૯૮૭માં કોર્પોરેટરના રૂપમાં ગતિશીલ બન્યું. રાજકોટને એક ઉત્તમ નગરી બનાવવા શ્રી વિજયભાઈ એમની સૌજન્યમય શૈલીને કામે લગાડતા રહ્યા. વિદ્યાર્થી કાળ પછી સક્રિય રાજનીતિમાં પદાર્પણ કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મહાનગરના એકમની વિવિધ જવાબદારી સંભાળી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧૯૮૭ની ચૂંટણી દરમિયાન ચૂંટાયા બાદ સ્ટેન્ડીંગ કમિટીના અધ્યક્ષ તરીકે પાર્ટીએ તેમને જવાબદારી સોંપી ત્યારે આ પદ સંભાળનાર તેઓ સૌથી નાની વયની વ્યક્તિ હતા.

નગર નિયોજનમાં એમની નજર સ્વચ્છતા તરફ વધુ શાર્પ હતી. શહેરમાં આરોગ્ય અને સ્વચ્છતા અંગે વધુ ધ્યાન અપાય એ સંદર્ભે એમની વરણી ‘‘ડ્રેનેજ કમિટી’’ના ચેરમેન તરીકે કરાઇ. આરોગ્ય બાદ શિક્ષણનો વ્યાપ વધે તેવા સ્થાનિક પ્રયાસોમાં એ સતત સામેલ રહ્યા. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે સતત આઠ વર્ષ ૧૯૮૮ થી ૧૯૯૬ સુધી કાર્યરત રહ્યા ત્યારબાદ રાજકોટના મેયર તરીકે ૧૯૯૬ થી ૧૯૯૭ સુધી પદ પર રહી અનેક વિકાસના કામો કર્યા. તેમના જૈન સંસ્કારને અનુરૂપ "વિવાદ નહીં સંવાદ"ના ધ્યેય સાથે રાજકોટના સર્વાંગી વિકાસ માટે ઢગલાબંધ પ્રકલ્પો, કાર્યક્રમો હાથ ધર્યા અને દીર્ઘદૃષ્ટિવાળા વહીવટદાર તરીકે તેમની અમીટ છાપ જાહેર જીવન પર પડી.

રાજકોટના મેયર તરીકે ચૂંટાયા અને વહીવટી અનુભવ અને વ્યવહાર કુશળતાને કારણે રાજકોટની વિકાસની ગતિ વધુ તેજ બની. તેમના સમયગાળા દરમિયાન કેન્દ્રના વિદેશ મંત્રાલયની મંજૂરી સાથે રાજકોટ અને યુ.કે.ના લેસ્ટર વચ્ચે "TWIN CITY"ના ઐતિહાસિક કરાર થયા, જે ત્યારે કોઈપણ ભારતીય શહેરના કોઈપણ વિદેશ શહેર સાથેના પ્રથમ કરાર હતા. આ કરારથી રાજકોટના વિકાસનું વધુ એક દ્વાર ખૂલ્યું. પ્રત્યેક કાર્યમાં એમની પ્રતિબદ્ધતા અને સહકાર્યકરોમાં સેવાપરાયણતાનું જોમ રેડવાની એમની ક્ષમતાએ એમની રાજકીય પ્રગતિની ગતિમાં તેજી લાવી દીધી.

જનહિતમાં એક કુશળ વહીવટદાર તરીકે પ્રસ્થાપિત થયેલા શ્રી વિજયભાઈ રૂપાણી એક અચ્છા અને બાહોશ આર્થિક - નાણાકીય નિષ્ણાત પણ છે અને સૌરાષ્ટ્ર - કચ્છ સ્ટોક એક્સચેંજ જેવી માતબર અને પ્રભાવી સંસ્થાના અધ્યપદે રહીને અર્થવ્યવસ્થાપન ક્ષેત્રે પોતાની કાબેલિયત પૂરવાર કરી ચૂક્યા છે.

  • પ્રદેશ ભાજપમાં મહામંત્રી અને પ્રદેશ પ્રવક્તાઃ

એમની સૌમ્ય સમજદાર અને છટાદાર વાણીના પ્રતાપે પ્રદેશ ભાજપના પ્રવક્તા અને મહામંત્રી તરીકે પસંદગી પામ્યા. પક્ષના શીર્ષઆગેવાનો સાથેની એમની વૈચારિક લયબદ્ધતા અને અદના કાર્યકર્તા સાથેની એમની આત્મીયતા, પક્ષના વિકાસ માટેની મજબૂત કડી તરીકે ઉભરી આવ્યા. પક્ષના પ્રદેશ પ્રવક્તા તરીકે એમની વિચક્ષણતા, પક્ષની નીતિ અને સિદ્ધાન્તો તથા રોજબરોજની રાજકીય સ્થિતિની સચોટ જાણકારી સાથેના સ્પષ્ટીકરણો થકી એમણે સત્યપરાયણતા માટેના અનેક સમીકરણો બદલી નાખ્યાં.

રાજકોટમાં તેમના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીએ કરેલી એકધારી આગેકૂચને ધ્યાનમાં રાખીને ભાજપાની નેતાગીરીએ શ્રી વિજયભાઈ રૂપાણીને ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી તરીકે પણ જવાબદારી સોંપી અને જામનગર - કચ્છ - જૂનાગઢ - પોરબંદર વગેરે જિલ્લામાં પ્રભારી તરીકે તેમણે કાર્યભાર સંભાળીને અનેક પ્રસંગે ભાજપાને ફતેહ અપાવી.

સંગઠક આગેવાનો સાથેનો એમનો તાલમેલ અદભુત રહ્યો. ભાજપ પ્રદેશ પ્રમુખો સાથેની એમની સહાયક સક્રિયતા પક્ષના પ્રદેશ મહામંત્રીના હોદ્દાની ગરિમા વધારનારી બની. ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે શ્રી રાજેન્દ્રસિંહ રાણા, શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા અને તત્કાલિન પ્રદેશ પ્રમુખ શ્રી આર. સી. ફળદુ વગેરે માટે એક આદર્શ સહભાગી બની રહ્યા.

૨૦૦૬ના વર્ષને 'પ્રવાસન વર્ષ' તરીકે ઉજવવાના ગુજરાત સરકારે કરેલા નિર્ણય પછી પ્રવાસન વર્ષ દીપી ઊઠે તે આશયથી શ્રી વિજયભાઈ રૂપાણીને તા. ૧લી જાન્યુઆરી, ૨૦૦૬ના રોજ ગુજરાત પ્રવાસન નિગમના અધ્યક્ષપદે નિયુક્ત કર્યા. જે કામગીરી તેમણે તા. ૧૩-૦૩-૨૦૦૬ સુધી ખૂબ જ જવાબદારી સાથે વહન કરી.

જવાબદારીઓ વધતી ચાલી, જનતાનો વિશ્વાસ જીતતા ગયા કાર્યકરોમાં પોતાની કર્મઠતાનો પ્રતાપ વધારતા ગયા તેમ તેમ વરિષ્ઠોનો વિશ્વાસ પણ એમની આગળની યાત્રાને ઉજળી બનાવતો રહ્યો.

એક કુશળ વહીવટકાર અને વાણીની પ્રખરતા સાથેની વિનમ્રતા અને સૌજન્ય એમના વ્યક્તિત્વના ઉજળા પાસાં છે. એક કુશળ સંગઠક, વ્યવહારકુશળ વહીવટકર્તા, પ્રતિબદ્ધ કાર્યકર, અર્થવ્યવસ્થાપનના નિષ્ણાત તરીકે સતત સમાજ પ્રત્યે સમર્પિત રહી કાર્ય કરતા રહ્યા. નાનામાં નાના કાર્યકરને પીછાણી લેવામાં એમનામાં રહેલી માનવીય લાગણી, પીઢતા અને સલુકાઇ શ્રેષ્ઠતાએ પહોંચેલાં છે. વણીક હોવાને નાતે સત્ય અહિંસાને ધર્મ ગણી આગળ વધતા રહેવાની કુનેહ ધરાવે છે.

ગુજરાતની ગતિશીલતા, સૌનો સાથ સૌનો વિકાસ અને સ્વચ્છ ગુજરાત એ એમની અગ્રિમતાને સાથે રાખી માન. વડાપ્રધાન શ્રી તથા માન. મુખ્યમંત્રીશ્રીની નીતિઓને સામાન્ય જનના કલ્યાણ માટેનો સમન્વય એમના અંતરે વસ્યો છે.

માધ્યમો અને પત્રકારો સાથે એક પીઢ પ્રવક્તાના રૂપમાંથી શ્રી વિજયભાઈની ઠાવકાઇ, સૂઝબૂઝ અને સમગ્ર સ્થિતિઓ અંગેની જાણકારી એમનું પ્રવક્તા તરીકેનું વિચક્ષણ પાસું છે.

વિજયભાઈ સારી રીતે અવગત છે કે, પક્ષના પાયાની મજબૂતીમાં અદના કાર્યકરોનો આદર એ મૂળમંત્ર ગણાય સહકાર્યકરો હોય કે સાવ છેવાડાના વિસ્તારનો નાનો કાર્યકર હોય, સૌ કોઇને માટે વિજયભાઈ સુધી પહોંચવું સરળ અને સુગમ બનાવવાનો એમનો સ્વભાવે એમને સૌના આદરણીય બનાવ્યા છે. ગુજરાતની ગતિશીલતાનો મંત્ર જરાય ઝાંખો ન પડે. સર્વત્ર જનતા જનાર્દનની અપેક્ષાનો જ વિજય થતો રહે. પક્ષ સંસ્થા અને શાસનની સમન્વયતા થકી કપરા સંજોગોમાં પણ વિજયભાઈનું હીર, રાજ્યની ગતિશીલતા માટે ઝળકતું રહે.

યુવા પેઢી માટે શિક્ષણ રોજગારી અને કારકિર્દીનું ઘડતર એ મહત્ત્વપૂર્ણ પ્રશ્નો રહ્યા છે જેની જાણકારી સાથે પક્ષના આ મહત્ત્વપૂર્ણ હોદ્દા પર જ્યારે એ આરૂઢ થાય છે ત્યારે સૌ કોઇની અપેક્ષાઓને નવો આધાર મળશે એ નિશ્ચિત બાબત છે

વિજયભાઈ રહ્યા સંગઠનના માણસ. વ્યક્તિ વિકાસની કેડી પરથી સમાજ વિકાસને કંડાનારા. સમાજ વિકાસની વાત લઇને રાષ્ટ્ર વિકાસ સુધીની મજલ કાપવા જનાંદોલનનું જોમ એમની વાણીમાં રહ્યું. ભારતીય જનતા પક્ષ તરફની નિષ્ઠા વિજયભાઈની રગેરગમાં સમાઇ છે.

  • ચેરમેન - સંકલ્પ પત્ર અમલીકરણ સમિતિઃ

૧૯૯૮ થી ૨૦૦૨ રાજ્ય સરકારમાં સંકલ્પ પત્ર અમલીકરણ સમિતિના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી. ત્યાર બાદ ૨૦૦૬માં ગુજરાત પ્રવાસન નિગમના ચેરમેન તરીકેની એમની કામગીરી થકી ખુશ્બુ ગુજરાતની સમગ્ર દેશ અને પરદેશના પ્રવાસીઓ માટે માટીની મહેક અને હસ્ત કારીગરોની રોજગારની તકોને દ્વિગુણી કરવામાં આગળ વધ્યા.

  • રાજ્યસભાના સદસ્ય - સાંસદઃ

ત્યાર બાદ ૨૦૦૬-૧૨ સુધી રાજ્યસભાના સભ્ય રહી સાંસદ તરીકે જવાબદારી વહન કરી. આ દરમ્યાન કેન્દ્ર સરકારની વોટર રિસોર્સ કમિટી, સબઓર્ડીનેટલોજી સ્ટેશન કમિટી, હ્યુમન રીસોર્સ ડેવલોપમેન્ટ કમિટી, પેપર લેડ ઓન ટેબલ કમિટી, ફુડ, કસ્ટમ અફેર્સ એન્ડ પબ્લિક ડીસ્ટ્રીબ્યુશન કમિટી, પબ્લિક અન્ડર ટેકિંગ કમિટી જેવી જુદી જુદી કમિટીઓમાં સભ્ય તરીકે કામગીરી કરી.

  • ચેરમેન-ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડઃ

૨૦૧૩માં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તરીકેની કામગીરી સંભાળી અને ૧૫૯ જેટલી નગરપાલિકાઓને વિકાસની દિશા આપી. તેમની વહીવટી સૂઝ અને રાજકોટ મહાનગરના 'સ્ટેન્ડીંગ કમિટી'ના ચેરમેન તરીકેના આઠ વર્ષના અનુભવના આધારે તેમણે ગુજરાતની ૧૫૯ નગરપાલિકાઓને વિકાસની નવી દિશા સૂચવી, અને સુચારુ વહીવટનો શંખનાદ ફૂંક્યો.

  • રાજકોટ-૬૯ ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં કેબીનેટ મંત્રીઃ

વર્ષ ૨૦૧૫માં રાજકોટ-૬૯ની બેઠકના ધારાસભ્ય બન્યા જેમાં જંગી બહુમતી, એમની પ્રજાને પારખવાની ક્ષમતાના પારખા રૂપ બની. કેબીનેટ મંત્રી તરીકે વાહન વ્યવહાર, પાણી પુરવઠા ખાતા અને શ્રમ અને રોજગાર વિભાગનો હવાલો હાથમાં લીધો.

પાણી પુરવઠામાં કામકાજોના વિલંબની વાતો વિજયભાઈની કાર્યક્ષમતાને કારણે બંધ થઇ. સૌરાષ્ટ્રની સૂકી ધરતીને લીલોતરી અને હરીયાળીમાં ફેરવી દુષ્કાળને ભૂતકાળ બનાવી મંત્રી તરીકે અપાર લોકચાહના મેળવી. વિજયભાઈ હવે સંગઠનસર બની પ્રદેશ ભાજપનું નેતૃત્વ કરશે. શ્રમયોગી કલ્યાણ મેળા, નવા લેબર લો અને યુવીડી કાર્ડ જેવી છેવાડાના માનવીની સવલતો યુક્ત યોજના વિજયભાઈએ તરતી મૂકી.

સંસ્થા અને સરકારમાં સત્તાનાં સમીકરણો બદલાતાં હોય ત્યારે પણ કુનેહથી કામ પાર પાડવામાં એમનો પ્રભાવ કામે લાગતો રહ્યો. નેપથ્થમાં રહી સૌજન્યપૂર્ણ સલુકાઇ સાથે વિજયભાઈએ પક્ષના કટોકટી કાળમાં પ્રશંસનીય કામગીરી સંભાળી. સૌરાષ્ટ્રના પ્રભારી તરીકે એમની સંગઠન ભૂમિકા થકી પક્ષને એ વિસ્તારમાં અખંડિત રાખી પ્રાણવાન બનાવવામાં એમનું પ્રદાન સદા પ્રભાવી રહ્યું.

  • ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખઃ

તા. ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ને શુક્રવાર, મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક પૂ. શ્રી ગોલવલકરજી - ગુરૂજીના જન્મ દિવસે ગુજરાત ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઈ હતી. તેમની નવી 'જવાબદારી'ને પક્ષના વરિષ્ઠો અને નાનામાં નાના કાર્યકરોએ વધાવી લીધી હતી. 'સંગઠનના માણસ' તરીકે ઓળખાતા વિજયભાઈએ, પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પક્ષને આગામી પડકારો સામે સજ્જ કરવા 'ધૂણી ધખાવી'ને કાર્ય આરંભ્યું. કૃષિ સંમેલનો, મહિલા સંમેલનો, મહિલા સંમેલનો, યુવા સંમેલનો ઉપરાંત પ્રશિક્ષણ શિબિરોની શ્રૃંખલા મારફત તેમણે કાર્યકરને દોડતો કર્યો, લોકાભિમુખ બનાવ્યો.

  • ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે :

૦૭ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે બપોરે ૧૨.૦૦ કલાકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકેના શપથ લીધા અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શ્રી વિજયભાઈ રૂપાણીને ભારતીય જનતા પાર્ટીના "મોવડી મંડળે" સત્તા સ્થાને આરૂઢ કર્યા.

  • મુખ્યમંત્રી તરીકેની કામગીરીઃયુવાનો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયઃ

રાજ્ય સરકાર વર્ગ-૩ની જગ્યાઓ પર સીધી ભરતીમાં પ્રતિક્ષા યાદીનું કદ ૧૦ ટકા થી વધારીને ૨૦ ટકા કરાયું વર્ગ-૩માં સીધી ભરતી પામેલ વ્યક્તિની જગ્યા એક વર્ષની અંદર સંજોગોવશાત ખાલી પડે તો તે જ કેટેગરીના પ્રતિક્ષા યાદીના ઉમેદવારથી ભરવામાં આવશે. આ નિર્ણય માન. વિજયભાઈની અધ્યક્ષતામાં મળેલ પ્રથમ કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો.

  • સુશાસનના ચાર આધાર સ્તંભ પર કાર્યરતઃ

મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ માન. શ્રી વિજયભાઈ રૂપાણીએ સુશાસનના ચાર આધાર સ્તંભ કાર્યાન્વિત કર્યા.

  • પારદર્શક સરકાર
  • સંવેદનશીલ સરકાર
  • નિર્ણાયક સરકાર
  • પ્રગતિશીલ સરકાર
  • સુજલ સૌરાષ્ટ્ર, સમૃદ્ધ ગુજરાતઃ

         મુખ્યમંત્રી બન્યાના ગણતરીના દિવસોમાં સૌરાષ્ટ્રની ધરા ઉપર નર્મદાના અવતરણનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું. ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવેલું શોણલું તેમના હસ્તે જ સાકાર થયું. નર્મદાનદીનું એક મિલીયન એકર ફૂટ પાણી સૌરાષ્ટ્રની કાયાપલટ કરશે.

  • ટોલ ટેક્સમાંથી મુક્તિઃ

૧૫ ઓગસ્ટથી રાજ્ય હાઈવે પર નાના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી જેના લીધે દૈનિક ૮૬૦૦૦ થી વધુ વાહન ચાલકોને લાભ મળશે.

  • રાજ્ય સરકારના કર્મયોગીઓને ૭મા પગારપંચનો લાભઃ

રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકારની ભલામણ અનુસાર ૭મા પગાર પંચનો ૧લી ઓગસ્ટ ૨૦૧૬થી લાભ આપવામાં આવ્યો. ૭માં પગારપંચ આપવામાં ગુજરાતે પ્રથમ રાજ્ય બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.

  • ખેડૂતોને ૧૦ કલાક વીજળીઃ

કૃષિ અને કૃષિકારોને પ્રાધાન્ય મળે તે માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો. ખેડૂતોને વીજળી ૮ કલાક મળતી હતી તેને વધારી હવે ૧૦ કલાક વીજળી આપવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી.

  • ખેડૂતોના હિતમાં લોકાભિમુખ સુધારાઃ

જમીન સંપાદન અધિનિયમ ૨૦૧૩ના અમલીકરણમાં ઘણી વિસંગતાઓ હતી. ખેડૂતોને પુનઃસ્થાપના કે પુનર્વસનની જોગવાઈ જટિલ હતી. લાંબી પ્રક્રિયા બાદ જમીન માલિકોને પૂરતું વળતર મળતું ન હતું. સુધારા વિધેયક ૨૦૧૬ને તા. ૮ ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિશ્રીની અનુમતિ મળી ગઈ. વિધેયકનો ૧૫ ઓગસ્ટથી અમલ શરૂ થયો.

  • આઠમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ

સાતત્યપૂર્ણ આર્થિક અને સામાજિક વિકાસના લક્ષ્ય સાથે ‘‘પૂર્વની દાઓસ’’ તરીકે પ્રસિદ્ધ, આઠમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે તા. ૧૦ થી ૧૩ જાન્યુઆરી ૨૦૧૭ દરમિયાન યોજાઇ હતી. ૧ર જેટલા દેશોના વડાઓ, વૈશ્વિક ઉદ્યોગગૃહોના સુત્રધારો અને હજારો બૌદ્ધિકોની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલમાં ઉપસ્થિત રહ્યા હતાં.

  • એલઈડી બલ્બના ભાવો ઘટાડવાનો નિર્ણય

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ઉજાલા યોજના અંતર્ગત ગુજરાતના લોકો તરફથી મળેલા અદભુત પ્રતિસાદના કારણે એલઈડી બલ્બની કિંમત ઘટાડવાનો નિર્ણય લીધો. રાજ્યમાં બલ્બ રોકડામાં રૂપિયા ૬૫માં એક બલ્બ અને ઈએમઆઈમાં રૂપિયા ૭૦માં એક બલ્બના ભાવે વેચાશે અને રહેણાંક તેમજ વ્યાપારિક ગ્રાહકો માટે એકજ ભાવ રહેશે. શ્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ઘરેલુ કાર્યક્ષમ ઉજાસ કાર્યક્રમ હેઠળ એલઈડી ટ્યુબ લાઈટ અને ફાઈવ સ્ટાર રેટિંગના ઉર્જાક્ષમ પંખા વેચવાનું શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેમના નિર્ણય અનુસાર, ૨૦ વૉટની એક એલઈડી ડ્યુબ લાઈટ ગ્રાહકને રોકડામાં રૂ. ૨૧૦માં આપવામાં આવશે જે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલી કિંમત કરતા ૨૦ રૂપિયા ઓછા ભાવે મળશે. ફાઈવ સ્ટાર રેટિંગ વાળા ઉર્જાક્ષમ પંખા રૂ. ૧,૧૧૦માં વેચવામાં આવશે જે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારે નક્કી કરેલી કિંમત કરતા ૪૦ રૂપિયા સસ્તા ભાવે અપાશે. એલઈડી ડ્યુબ લાઈટ અને પંખાની ઈએમઆઈ કિંમત અનુક્રમે રૂ. ૨૩૦ અને રૂ. ૧૨૬૦ રહેશે

  • અટલ સ્નેહ યોજના ગુજરાત

ગુજરાતની રાજ્ય સરકાર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસ ૨૫ ડિસેમ્બરના રોજ અટલ સ્નેહ યોજના (એએસવાય) શરૂ કરી છે. ગાંધીનગર ખાતે રાજ્યવ્યાપી શાળા સ્વાસ્થ્ય કાર્યક્રમના પ્રારંભ વખતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ યોજનાની જાહેરાત કરી હતી. અટલ સ્નેહ (SNEH) (સ્ક્રિનિંગ ઓફ ન્યૂબોર્ન ફોર એન્હેસ્મેન્ટ ઓફ હેલ્થ) યોજના નવજાત શીશુઓમાં કોઈપણ ખામીની તપાસ કરવા માટે ખાસ શરૂ કરવામાં આવી છે.

  • ,૦૦૦ ગામડા ડિજીટલ હાઈવે સાથે સંકળાયા

ગાંધીનગર ખાતે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે તારીખ ૮મી સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ૬,૦૦૦ ગામડાને જોડતો સૌથી હાઈસ્પીડ ડિજીટલ કનેક્ટિવિટી (જીસ્વાન) પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો અને ૧૮,૦૦૦ ગામડામાં આ સેવાઓ પહોંચાડવા માટે સરકારની કટીબદ્ધતા વ્યક્ત કરી હતી. ડિજીટલ ઈન્ડિયાનું વિઝન સાર્થક કરવા માટે ઈ-ગ્રામ વિશ્વગ્રામની સિદ્ધિ હાંસલ કર્યા બાદ ૬,૦૦૦ ગામડાઓમાં કનેક્ટિવિટી સુવિધા આપીને ગુજરાત ડિજીટલ ક્રાંતિ તરફ આગળ વધ્યું છે.

  • નર્મદા ડેમના દ્વાર બંધ કરીને ઉઘાડ્યા સમૃદ્ધિના દ્વાર

ગુજરાતની જળસમસ્યાને તિલાંજલી આપવા માટે સક્ષમ એવી નર્મદા યોજના આજે રાજ્યના ઉજ્જવળ દ્વાર ખોલવાના તબક્કે પહોંચી ચુકી છે. નર્મદા નિયંત્રણ ઑથોરિટીની નવી દિલ્હી ખાતે મળેલી બેઠકમાં સરદાર સરોવર બંધના દરવાજા બંધ કરવાની અનુમતિ તા. ૧૭-૦૬-૨૦૧૭ ના રોજ આપી દેવામાં આવી હતી. હરખને તેડાં ના હોય તેમ માનતા ગુજરાતના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીએ તાત્કાલિક કેવડિયા કૉલોની ખાતે પહોંચી જઇને ગુજરાતની આ મહત્વકાંક્ષી ડેમ યોજનાના દરવાજા બંધ કરીને ડેમની પાણી સંગ્રહ ક્ષમતા લગભગ ત્રણ ગણી વધારી દીધી હતી. આ દરવાજા બંધ થવાથી ગુજરાતના કૃષિ અને ઉદ્યોગ જગતના વિકાસના દરવાજા ખુલ્યા છે.

  • ૨૦૧૭ વિધાનસભાની સામાન્ય ચૂંટણીઃ

૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ નીચે લડી અને સતત છઠ્ઠી વાર ગુજરાતમાં સત્તા હાંસલ કરવામાં ભાજપા સફળ રહી.

શ્રી વિજયભાઈ રૂપાણી પોતે રાજકોટ (પશ્ચિમ)માંથી ભાજપાના ઉમેદવાર તરીકે ૫૪,૦૦૦ની ધીંગી સરસાઈ સાથે વિજયી નીવડ્યા અને એક લોકપ્રિય નેતા તરીકે તેમની છબી બરકરાર રહી.

  • પુનઃ મુખ્યમંત્રી પદેઃ

વિધાનસભામાં બહુમતી મેળવવામાં શ્રી વિજયભાઈનું નેતૃત્વ અને દિશાસૂચકનું યોગદાન મહત્વનું રહ્યું અને તેથી ૨૨મી ડિસેમ્બર-૨૦૧૭ના રોજ મળેલી ભારતીય જનતા પાર્ટીનો વિધાનસભા પક્ષની બેઠકમાં તેમને પક્ષના નેતા તરીકે એટલે કે મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર સર્વાનુંમતે પસંદ કરાયા હતા.

(2:51 pm IST)