Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ભગવાન જગન્નાથની રથયાત્રા પર મહંત દિલીપદાસજીનું મોટું નિવેદન

રથયાત્રા માટે અમદાવાદ પોલીસ કમિશનરમાં પરમિશન માંગી છે : હજુ સુધી કોઇ બાંહેધરી મળી નથી

અમદાવાદ,તા. ૧: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે શહેરમાં રથયાત્રા યોજાશે કે નહીં તે હજુ અસમંજસ જેવો માહોલ છે ત્યારે આગામી રથયાત્રાને લઈ મંદિરમાં તડામાર તૈયારી ચાલી રહી છે. રથયાત્રાને લઈ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સરકાર જે ગાઇડલાઇન આપશે તે પ્રમાણે રથયાત્રા નીકળશે. દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, રથયાત્રા માટે અમદાવાદ પોલીસ કમિશનરમાં પરમિશન માંગી છે. હજુ સુધી રથયાત્રાને લઇ સરકારે કોઈ બાંહેધરી આપી નથી.

ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાને હવે બસ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હજુ રાજ્ય સરકારે રથયાત્રાને લઈને કોઈ પણ પ્રકારનો નિર્ણય લીધો નથી, પરંતુ સરકાર અત્યારે ત્રણ એકશન પ્લાન બનાવી રહી છે. જે દિવસે રથયાત્રા નીકળવાની હોય ત્યારે રથયાત્રાના રૂટ ઉપર કર્ફ્યુ લગાવવામાં આવી શકે છે, જેથી કરીને લોકોની ભીડ એકત્રિત ન થાય અને સંક્રમણ નો ડર ન રહે.

બીજો એકશન પ્લાન રથયાત્રાના સમય મર્યાદામાં ઘટાડો કરે અને ત્રીજો એકશન પ્લાન જો સંક્રમણનો ફેલાવાનો ડર રાજ્ય સરકારને સતાવતો હોય તો મંદિર પરિસરની બહારથી લઈને જમાલપુર દરવાજા અને સપ્તર્ષિના આરાથી આ રથયાત્રા નિજ મંદિરે પરત ફરે તેવી વિચારણા સરકાર કરી રહી છે. જોકે, મંદિર ટ્રસ્ટ દ્વારા અત્યારે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મંદિરમાં લોકો મગનો પ્રસાદ અર્પણ કરવા માટે આવે છે. સાથે જ દોઢસો જેટલા ખલાસીઓ વેકિસનેશન સાથે રથયાત્રામાં ખેંચવા માટે જોડાય તેવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે.જોકે, ગત વર્ષે આ રથયાત્રા ખંડિત થઈ હતી પરંતુ હવે મોટા ભાગના લોકો વેકિસન લીધી હોવાના કારણે એવું અનુમાન લગાવી રહી છે કે માત્ર ખલાસી અને મંદિર ટ્રસ્ટ તેમજ મંદિરના સેવકો સાથે રથયાત્રા નીકળે મહત્વનું છે કે સવારના સાત વાગ્યાથી લઈને ચાર કલાકમાં રથયાત્રા નિર્ધારિત રૂટ ઉપરથી પસાર થઈ શકે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ૧૨ મી જુલાઇએ ગુજરાતના પ્રવાસે આવવાના છે ત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શાહ આ વખતે પણ ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રામાં મંગળા આરતીનો લ્હાવો લેશે એવું પણ મનાઈ રહ્યું છે હવે અમદાવાદમાં રથયાત્રા યોજાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. જોકે, કડક પ્રતિબંધો વચ્ચે રથયાત્રાનાં આયોજન અંગેની મંજુરી મળે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

(3:17 pm IST)