Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કોરોનાનો પ્રચંડ ભયઃસ્ટેથોસ્કોપનો ઉપયોગ ડોકટરોએ બંધ કરી દીધો !!

અમદાવાદ : કોઈપણ ડોક્ટરને જુઓ તો એક વસ્તુ તેમની પાસે ચોક્કસ જોવા મળે તે છે તેમનું સ્ટેથોસ્કોપ. ભાગ્યે જ કોઈ એવા ડોક્ટરને તમે જોયા હશે જેમના ગળામાં સ્ટેથોસ્કોપ ન લટકાતું હોય. દર્દી કોઈ સમસ્યા જણાવે એટલે ડોક્ટર્સ તરત જ આ સ્ટેથોસ્કોપના બે છેડા કાનમાં ભરાવે અને દર્દીના છાતી તેમજ હૃદયનો અવાજ સાંભળીને તેની આરોગ્ય સ્થિતિ અંગે નિદાન કરતા હોય છે. આ અવાજના આધારે જ દર્દીને કોઈ વધુ તપાસ કરાવવી પડશે કે નહીં તે વિશે પણ માહિતી આપતા હોય છે. પરંતુ હવે કોરોના મહામારી ડોક્ટરને તેમના આ અભિન્ન સાધનથી દૂર કરી હી છે.

અમદાવાદ દેશના ટોચના સૌથી વધુ કોરનાગ્રસ્ત શહેરો પૈકી એક છે. ત્યારે હવે ઘણા ડોક્ટર્સ ફિઝીકલ ડિસ્ટન્સિંગ માટે આપવામાં આવેલ ગાઈડલાઈન્સ મુજબ સ્ટેથોસ્કોપના ઉપયોગ માટે પણ પોતાના અને દર્દીને વચ્ચે ૬ ફૂટનું અંતર રહે તેનું ધ્યાન રાખતા હતા. પરંતુ દર્દીને તપાસવા માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ જરૂર કરતા હતા કેમ કે તેમના મતે દર્દીને ફક્ત દવા આપી દેવી યોગ્ય નથી જ્યાં સુધી તેમના આરોગ્યનું બરાબર એનાલિસિસ ન કરવામાં આવે. જોકે કેટલાક ડોક્ટર્સને આ કારણે જ કોરોના થયા બાદ હવે મોટાભાગના ડોક્ટર્સ સ્ટેથોસ્કોપનો ઉપયોગ ટાળી રહ્યા છે.

 વેજલપુલમાં જનરલ ફીઝિશિયલ તરીકે પ્રેક્ટિસ કરતા ડો. પ્રણવ શાહે પણ તેમાંથી એક છે તેમણે કહ્યું કે, પહેલા મારા ઘણા ડોક્ટર્સ મિત્રોએ સ્ટેથોસ્કોપનો ઉપયોગ ટાળી દીધો હતો પરંતુ મેં શરૂ જ રાખ્યો હતો મને એમ હતું કે પીપીઈ કિટ સહિતના પ્રોટેક્ટિવ વસ્તુના ઉપયોગ પછી મને કોરોના થઈ શકે નહીં પણ મે મહિનામાં મને સંક્રમણ થયું અને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાયા બાદ હવે મે સંપૂર્ણપણે સ્ટેથોસ્કોપનો ઉપયોગ બંધ કરી દીધો છે. અમે હવે દર્દીની હિસ્ટ્રી જાણીએ છે તેના આધારે દવા આપીએ છીએ જો ૨-૩ દિવસમાં ઠીક ન થાય તો સિટી સ્કેન અથવા એક્સ-રે કરવા માટે કહીએ છીએ.

તેમની જેમ જ અન્ય એક ડોક્ટર કાર્ડિયોલોજિસ્ટ ડૉ. જોયલ શાહે કહ્યું કે, કોરોના સંક્રમણના કારણે તેમણે પણ સ્ટેથોસ્કોપનો ઉપયોગ મૂકી દીધો છે અને ઈકો-ટુડી અને છાતીના સિટી સ્કેન જેવા ટેસ્ટ પર આધાર રાખવામાં આવે છે. જોકે કેટલાક ડોક્ટર્સ હવે ફરી ધીરે ધીરે સ્ટેથોસ્કોપ તરફ વળી રહ્યા છે કેમ કે સિટી સ્કેન અને એક્સ-રે તેમને ત્યાં આવતા દર્દીઓ માટે મોંઘા ઓપ્શન છે જ્યારે ડોક્ટર્સ દ્વારા સ્ટેથોસ્કોપથી ડાયગ્નોસિસ સહેલું રહે છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.પી. મોદીએ કહ્યું કે હોસ્પિટલમાં સ્ટેથોસ્કોપ બધે લઈ જવાની છૂટ આપવામાં આવી નથી. તેમજ દરેક ડોક્ટર્સને તેમના સ્ટેથોસ્કોપ નિયમિત ડિસઇન્ફેક્ટેડ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

(2:51 pm IST)