Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કોવિડ-૧૯ના નિયમોનું પાલન નહીં કરનાર ઔદ્યોગિક એકમો સામે થશે કાર્યવાહીઃ જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલ

નિયમો કરતાં વધુ પેસેન્‍જરો લઇ જતા વાહનોનું ચેકિંગ હાથ ધરાશેઃ કસુરવારો સામે કડક કાર્યવાહી: જિલ્લાના અધિકારીઓની તાકીદની બેઠક યોજાઇ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : કોરોના વાઇરસના વધતા જતા સંક્રમણને ધ્‍યાને રાખી વલસાડ કલેક્‍ટર આર.આર.રાવલે જિલ્લાના અધિકારીઓની તાકીદની બેઠક યોજી હતી. કોરોના સંક્રમણને ધ્‍યાને રાખી દરેક પાસાઓની છણાવટ કરી ભવિષ્‍યમાં પડનારી જરૂરિયાતોને ધ્‍યાને રાખી કોવિડ-૧૯ હોસ્‍પિટલમાં બેડની સંખ્‍યા વધારવા તેમજ ખાનગી હોસ્‍પિટલોને કોવિડ હોસ્‍પિટલ તરીકે ઉપયોગમાં લેવા, હાઇ રિસ્‍ક વિસ્‍તારોમાં યુદ્ધના ધોરણે આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથિક દવાઓનું વિતરણ તેમજ જરૂરી તબીબી સારવાર પૂરી પાડવા, કોવિડ હોસ્‍પિટલોમાં જરૂરિયાત મુજબ ખાનગી ફીઝીશીયન ડૉક્‍ટરોને ફરજ સોંપણી કરવા સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

 

              જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને લક્ષમાં લઇ ઔદ્યોગિક વિસ્‍તારોમાં તમામ ઔદ્યોગિક એકમોને જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલે તાકીદ કરતાં જણાવ્‍યું છે કે, દરેક એકમો પોતાના દરેક કર્મચારીઓને ડિસ્‍પોઝલ માસ્‍ક પુરા પાડે, ઇન્‍ફેકશન કંટ્રોલ સીસ્‍ટમની અમલવારી કરે તે જરૂરી છે. આ ઉપરાંત દરેક કર્મચારીઓ પાસે આરોગ્‍ય સેતુ એપ ડાઉનલોડ કરાવવા, તમામ કામદારોને આયુર્વેદિક ઉકાળા પીવડાવવા શંમશમનીવટી, આર્સેનિક આલ્‍બમનું વિતરણ કરવા, આવતા-જતાં તમામનું હેલ્‍થ સ્‍કેનિંગ કરવાની સાથે સેનીટાઇઝરની વ્‍યવસ્‍થા પણ કરવાની રહેશે. સોશિયલ ડિસ્‍ટન્‍સનું ચુસ્‍ત પાલન કરવા, ઔદ્યોગિક એકમોમાં વેન્‍ટીલેશનની વ્‍યવસ્‍થા કરવાની સાથે જરૂરિયાત મુજબના જ કામદારો કામ કરે છે કે કેમ? તે માટે જી.આઇ.ડી.સી. મેનેજર, ફેક્‍ટરી ઇન્‍સ્‍પેકટર, ઇન્‍સ્‍પેકશન ઓફિસર સહિતની ટીમ ઔદ્યોગિક એકમોનું આકસ્‍મિક ચેકિંગ હાથ ધરશે. જેમાં ફેક્‍ટરી કે ઔદ્યોગિક એકમ કસૂરવાર ઠરશે તો કારખાના સીલ કરવા સુધીની કડક કાર્યવાહી કરાશે.
              જિલ્લામાં કે ઔદ્યોગિક વિસ્‍તારોમાં આવન-જાવન કરતા ટુ, થ્રી, ફોર વ્‍હીલર વાહનો કે પેસેન્‍જર બસોમાં કોવિડ-૧૯ની ગાઇડલાઇન કરતા વધુ પેસેન્‍જરો બેસાડવામાં આવશે, તો આર.ટી.ઓ. અને પોલીસ વિભાગ દ્વારા કડક ચેકિંગ હાથ ધરી પરમીટ રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે. આ ઉપરાંત માસ્‍ક વિના ફરતા તેમજ બિનજરૂરી લોકો ટોળે વળશે તો પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાશે.જિલ્લા કલેક્‍ટર રાવલે જિલ્લાની જનતાને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા, સીનિયર સીટીઝનો, સગર્ભા મહિલાઓ, ડાયાબીટીસ, ટીબી, હાઇપરટેન્‍શનના દર્દીઓ, દશ વર્ષ સુધીના બાળકોને જરૂરી કારણો સિવાય ઘરની બહાર ન નિકળવા અનુરોધ કર્યો છે. જિલ્લા કક્ષાના કંટ્રોલરુમમાંથી આ તમામ કામગીરીઓનું સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ તમામ કામગીરી પ્રાંત અધિકારી/ લાયઝન અધિકારીની નિગરાની હેઠળ દ્વારા કડક અમલવારી કરાવાશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નિવાસી અધિક કલેક્‍ટર એન.એ.રાજપૂત, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ.અનિલ પટેલ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.

(9:08 pm IST)