Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

રાજયના તમામ લોકોને પોતાની અન્ટી બોડી ડેવલપ કરવા માટે વેક્સિન લેવી ખુબ જ જરુરી

કોરોનાને મ્હાત કરવા આપણે સૌ સામુહિક પ્રયત્ન કરીએ : મુખ્યમંત્રી રૂપાણીની પ્રજાજોગ અપીલ

અમદાવાદ : મુખ્યમંત્રી રુપાણીએ કોરોના વેક્સિનની માહિતી આપતા એક મહત્વની જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હાલ રાજયમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજયના તમામ લોકોને પોતાની અન્ટી બોડી ડેવલપ કરવા માટે વેક્સિન લેવી ખુબ જ જરુરી છે

1 એપ્રિલથી 45થી વધારે વર્ષના ઉંમરના લોકોને વેક્સિન આપવા માટેની શરુઆત કરવામાં આવશે. તેઓએ જણાવ્યુ છે કે, રાજકોટ શહેરમાં જયારે કોરોનાનો વાયરસનો પ્રથમ કેસ આવ્યો હતો અને તે 18 માર્ચના રોજ નોંધાયો હતો. ત્યારથી જ રાજય સરકાર કોરોના સામે લડવા માટે તૈયાર થઈ ગઈ હતી અને સજ્જ બનીને આ કોરોનાને મ્હાત કરવા આપણે સૌ સામુહિક પ્રયત્ન કરી રહ્યા છીએ

શરૂઆતમાં કોરોના એક નવો રોગ હતો. કઈ દવા, કઇ ટ્રિટમેન્ટ, શું વ્યવસ્થા કરવી પડશે. આ કલ્પના પણ ન હતી. મને બરાબર યાદ છે કે, અમદાવાદમાં 1200 બેડની હોસ્પિટલના નિર્ણયની જેહારાત કરી હતી ત્યારે લોકોએ કહ્યું હતું કે, 1200 બેડ જોઈશે. ત્યારે મેં એમ પણ કહ્યું હતું કે, ભગવાનને પ્રાર્થના કરું છું કે એક પણ બેડ ભરાય નહીં. પરંતુ જો મહામારીનો વ્યાપ વધે તો તેની ભવિષ્યની તૈયારી એટલા માટે આ 12 બેડની જાહેરાત કરી હતી.

આપણે તમામ મહાનગરોમાં પણ મોટી મોટી હોસ્પિટલો બનાવી. ખાનગી હોસ્પિટલોને પણ આ કાર્યમાં જોડી. ગુજરાત સરકારે દવાઓ, વેન્ટિલેટર, ધનવંત્રી રથ, ટેસ્ટિંગની વ્યવસ્થા, 104 સંજીવની રથ, લોકોને તરત વ્યવસ્થા અને લોકોને માર્ગ દર્શન મળે. લોકોને તરત ટ્રિટમેન્ટ મળે. પોતાના ઘર આંગણે ટેસ્ટિંગની વ્યવસ્થા મળે તેની વ્યાપક વ્યવસ્થાઓ કરી અને અત્યારસુધીના અલગ અલગ મહિનાઓમાં આવેલા સંક્રમણને આપણે ખાડી શક્યા છીએ.

પીએમ મોદીની દ્રઢ ઇચ્છા શક્તિ અને આપણા વૈજ્ઞાનિકોના પરિશ્રમથી આપણી પાસે કોરોના સામે લડવા માટે બે સ્વદેશી વેક્સીન કોવિશિલ્ડ અને કોવેક્સીન ઉપલ્બધ છે. આત્મનિર્ભર અભિયાન અંતર્ગત નિર્માણ થયેલી બંને વેક્સીન સંપૂર્ણ સુરક્ષિત છે અને વિશ્વના અસંખ્ય દેશો ભારતમાં બનેલી આપણી વેક્સીનનો ઉપયોગ કરી રહ્યા છે.

ભારતમાં લગભગ 6 કોરોડ લોકોએ વેક્સીન લીધી છે અને ગુજરાતમાં 6 હજાર વેક્સીન કેન્દ્રો પર 1 લાખ 50 હજારથી વધુ આરોગ્ય કર્મચારી, સરકારી કર્મચારી અને સ્વયંસેવકો દ્વારા વેક્સીનેશનનું કાર્ય આપણે સફળતા પૂર્વક કરી રહ્યા છીએ. 31 માર્ચ સુધીમાં ગુજરાતમાં ટોટલ લગભગ 55 લાખ લોકોને વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. આપણે ફ્રન્ટલાઇન વર્કર, હેલ્થ વર્કર, 60 વર્ષથી ઉપરના લોકો, 45 વર્ષથી ઉપરના અન્ય રોગ ધરાવતા લોકોને વેક્સીન આપી છે. સફળતા પૂર્વક આપી છે.

ગુજરાતમાં વેક્સીનની ઉત્તમ વ્યવસ્થાઓને કારણે ગુજરાત વેક્સીનેશનમાં આજે અગ્રમિ સ્થાન ધરાવે છે. આવતીકાલથી શરૂ થતાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન ગુજરાત સરકાર આપવાની છે. વ્યવસ્થા સુપેરે બનાવી છે. આ સાથે કોરોના સંક્રમણ વચ્ચે સીએમ રૂપાણીએ જન અભિયાનના સ્વરૂપમાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન લેવા માટે અપીલ કરી છે.

રાજ્યમાં બે દિવસ કોરોનાના કેસોમાં આંશિક ઘટાડા પછી આજે બુધવારે ફરી રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2360 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન વધુ 9 દર્દીના મોત થયા છે.

રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટને કોરોનાએ ભરડામાં લીધો હોય એવું જણાઇ રહ્યું છે. અહીં દૈનિક કેસોમાં અસામાન્ય વધારો થઈ રહ્યો છે. જેથી લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. આજ રોજ અમદાવાદમાં 620 કેસ, 3 લોકોના મોત, સુરતમાં 744 કેસ, 3 લોકોના મોત, વડોદરામાં 341, રાજકોટમાં 208 કેસ નોંધાયા છે.

આ ઉપરાંત ભાવનગરમાં 49 કેસ, જામનગરમાં 61, ગાંધીનગરમાં 47, જૂનાગઢમાં 16 કેસ, અમરેલી, આણંદમાં 18-18, અરવલ્લી 3 કેસ, બનાસકાંઠામાં 2, ભરૂચમાં 14, બોટાદમાં 4 કેસ, છોટા ઉદેપુરમાં 6, દાહોદમાં 9, ડાંગમાં એક કેસ, ગીર સોમનાથમાં 2, ખેડામાં 20, કચ્છમાં 18 કેસ, મહિસાગરમાં 14, મહેસાણામાં 22, પંચમહાલમાં 16 કેસ, મોરબી અને નર્મદામાં 19-19, નવસારીમાં 6 કેસ, પાટણમાં 26, સાબરકાંઠામાં 9, સુરેન્દ્રનગરમાં 9 કેસ, તાપીમાં 4, વલસાડમાં 9 કેસ નોંધાયા છે.

કોરોનાના નવા નોંધાયેલા કેસોની સામે ડિસ્ચાર્જ થનાર દર્દીની સંખ્યા ઓછી છે. જેથી રિકવરી રેટમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો રેસિયો ગુજરાતમાં 94.43 ટકા નોંધાયો છે. હાલ રાજ્યમાં 12,610 એક્ટિવ કેસ રહેલા છે, જેમાંથી 152 દર્દીઓની હાલત નાજૂક હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે, જ્યારે 12,458 દર્દીઓની હાલત સ્થિર છે.

(9:39 pm IST)