Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

જમાત કાર્યક્રમોથી ગુજરાતમાં કેટલા આવ્યા તેને લઇ સસ્પેન્સ

દરિયાપુરમાંથી ૨૯ની અટકાયત કરાઈ : દિલ્હીના કાર્યક્રમમાં ગયેલા અને તેમના સંપર્કમાં આવેલા ૨૦૦૦ લોકોને ક્વોરન્ટાઇન કરવા માટે કાર્યવાહી જારી

અમદાવાદ,તા. ૧ : દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીક એ જમાતના ધાર્મિક કાર્યક્રમ પછી દેશમાં કોરોનાના કેસ વધી ગયા છે, ધાર્મિક કાર્યક્રમ વખતે લોકડાઉનનો અમલ ન કરનારા અહીની ૬ માળની બિલ્ડીંગમાં રોકાયેલા ૨૦૦૦ લોકોને કારણે આજે ચિંતા વધી ગઇ છે, ધાર્મિક પ્રસંગ મરકઝમાંથી પરત ફરેલા ૨૪ લોકોના કોરોના કેસ પોઝિટિવ આવ્યાં છે, અંદાજે ૩૦૦ લોકોને કોરોનાનો ચેપ લાગ્યાની શક્યતા છે. તો, બીજીબાજુ, જમાતના આ કાર્યક્રમમાંથી ગુજરાતમાં એક હજાર લોકો આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે, જેને લઇ પોલીસ, અમ્યુકો અને વહીવટી તંત્રએ હવે સંયુકત રીતે સઘન તપાસ હાથ ધરી છે. જેમાં પ્રાથમિક તબક્કે શહેરના દરિયાપુર વિસ્તારમાંથી ૨૯ લોકોને ઝડપી લેવાયા છે. જેને લઇ હવે આ વિસ્તારમાં સ્થાનિકોમાં કોરોનાને લઇ ફફડાટ વ્યાપી ગયો છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીક એ જમાતના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેનારા હજારો લોકો પૈકીના ૧૦ લોકોનાં મોત થઇ ગયા છે.

                  સૌથી વધુ તેલંગાણામાં મોત થયા છે, આ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ દિલ્હીથી ગુજરાતમાં પણ અનેક લોકો આવ્યાં છે, અંદાજે ૧૦૦૦ લોકો ગુજરાતમાં ઘુસ્યાં છે, તેઓ કવોરોન્ટાઇન થવાને બદલે બહાર ફરી રહ્યાં હોવાની વાત સામે આવતાં તંત્ર દોડતુ થયુ છે અને આવા લોકોને શોધી તેઓને કવોરન્ટાઇન કરવાની કવાયત હાથ ધરી છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાંથી ૨૯ લોકોને દરિયાપુર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ અને એસઓજીએ ઝડપી લીધા છે, તેમને કવોરોન્ટાઇન કરાયા છે, તેમાથી મોટાભાગના લોકો ગુજરાત બહારના હોવાનું જાણવા મળ્યુ છે. આ જ પ્રકારે, દિલ્હીથી કાર્યક્રમમાં ભાગ લઇને પાછા આવેલા ભાવનગરના ૧૩ અને બોટાદના ૪ લોકોને કવોરોન્ટાઇન કરાયા છે, આ બેદરકાર લોકો પરત આવીને કવોરોન્ટાઇન પણ થયા ન હતા અને કાયદાનો ભંગ કર્યો હતો. રાજયભરમાંથી જોવા જઇએ તો, સુરતમાંથી ૭૫, વલસાડમાંથી ૫૦ રાજકોટમાંથી ૧૨, મોરબીના ૩, જૂનાગઢમાંથી ૫ અને અમદાવાદમાંથી ૩૦૦ જેટલા લોકો અહી ગયા હોવાની માહિતી પોલીસને મળી છે, આ તમામની શોધખોળ થઇ રહી છે, તેઓ જેમના સંપર્કમાં આવ્યાં છે, તેવા લોકોને પણ ક્વોરોન્ટાઇન કરાશે, એક અંદાજ પ્રમાણે દિલ્હીના આ ધાર્મિક કાર્યક્રમમાં ગયેલા અને તેમના સંપર્કમાં આવેલા ૨૦૦૦ લોકોને ક્વોરોન્ટાઇન કરવાની કાર્યવાહી ચાલુ છે.

(9:46 pm IST)