Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા વિદ્યાર્થીઓને વાહક જન્ય રોગ નિયંત્રણ અંગે માહીતી અપાઇ

શેઠ એમ જે સ્કુલમાં વિદ્યાર્થીઓને મેલેરીયાથી બચવાના ઉપાયો, નિદાન, સારવાર અંગે સમજ આપવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ: એક ચેપી મચ્છરનો ડંખ મોટા આઘાતો આપી શકે છે. મચ્છર કરડવાથી ગંભીર સ્થિતિ બની શકે છે. એક ચેપી મચ્છરના કારણે મેલેરિયા, ડેન્ગ્યું, ચિકનગુનિયા જેવા રોગ થઇ શકે છે અને જો યોગ્ય સારવાર લેવામાં ન આવે તો મચ્છર દર્દીને મૌતના મુખમાં પણ ધકેલી શકે છે.

   અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાના માર્ગદર્શન મુજબ તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા શેઠ એમ જે સ્કુલ ખાતે વિદ્યાર્થીઓને વાહકજન્ય રોગોથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા.  

   આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના નીલકંઠ વાસુકિયા, ગૌરીબેન મકવાણા, દિવાનભાઇ ઠાકોર, હાર્દિકભાઇ પટેલ, ધનલક્ષ્મીબેન સોની, શેઠ એમ જે સ્કુલના મહેશભાઇ દેત્રોજા, નુતનબેન ટપરીયા સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.      ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મેલેરીયા મુક્ત ગુજરાત ૨૦૨૨ નો લક્ષાંક હાંસલ કરવા એક રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરેલ છે. 

  આ અભિયાનમાં સરકારના પ્રયત્નો ઉપરાંત જનસહયોગ તથા અન્ય વિભાગો, ખાનગી તબીબો, સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરેની સામેલગીરી અનિવાર્ય છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓમાં પણ મેલેરીયા અંગેની જાગૃતિ કેળવાય તે માટે શેઠ એમ જે સ્કુલમાં વિદ્યાર્થીઓને મેલેરીયાના રોગથી બચવાના ઉપાયો અને નિદાન, સારવાર અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી.

   અત્રે ઉલ્લેખનિય છે કે,  ઉલટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા. પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે. સખત તાવ આવવાની સાથે આંખના ડોળાની પાછળ દુખાવો થાય કે હાથ અને ચહેરા પર ચકામા પડે, નાક, મોં તેમજ પેઢામાંથી લોહી પડે તો ડેન્ગ્યુ હોઇ શકે છે. ડેન્ગ્યુ જેવા કોઇ પણ લક્ષણ જોવા મળે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો જોઇએ તેવી લોકોને માહિતી આપવામાં આવી હતી.

(5:01 pm IST)